1 |
[ સં. ] |
न. |
મૂર્તિનું બહારની દૃષ્ટિએ ચિહ્ન કે તેનો દેખાવ. ચિત્રસૂત્રમાં જુદી જુદી મૂર્તિઓનાં લક્ષણો નીચે પ્રમાણે ગણાવ્યાં છે: રાજાની મૂર્તિનાં લક્ષણ: રાજાઓની મૂર્તિ મહાપુરુષનાં લક્ષણવાળી કરવી. ચક્રવર્તી રાજાના હાથ અને પગ જાળથી યુક્ત કરવા. તેમનાં ભવાંની વચ્ચે રૂવાં કરવાં. રાજાઓના હાથમાં ત્રણ મનોહર રેખા કરવી. તે પાતળી, વાંકી અને સસલાના લોહી જેવી હોય . તેને કપાળ આઠ આંગળનું લમણો ચાર આંગળનો , ગાલ પાંચ આંગળના, ચાર આંગળનો હનુ, બે આંગળના કાન, કાનનો વચલો ભાગ એક આંગળનો, નાક ચાર આંગળનું, હોઠની વચ્ચેનો ભાગ અરઘા આંગળનો અને ઉપલો હોઠ એક આંગળનો હોય છે. પુરુષની મૂર્તિનાં લક્ષણ: પગથી ઘૂંટી સુધીની ઊંચાઈ ત્રણ આંગળ, ઘૂંટીથી ઘૂંટણ સુધીનો ભાગ ૨૪ આંગળ, સાથળ ૨૪ આંગળ, લિંગથી નાભિ એક તાલ એટલે ૧૨ આંગળ, તેટલું જ નાભિથી હૃદય પણ ૧૨ આંગળ, કપાળના ઉપર માથું તાલ, છઠ્ઠા ભાગનું રાખવું. સ્ત્રીની મૂર્તિનાં લક્ષણ; પુરુષની સમપી રહેલી સ્ત્રી માણસના ખભા બરાબર કરવી. સ્ત્રીનો મધ્ય ભાગ પુરુષના કરતાં બે આંગળ પાતળો કરવામાં આવે છે અને કટિભાગ ચાર આંગળ વધારે હોય છે. તેનો નીચલો હોઠ એક આંગળનો અને ચિબૂક બે આંગળની હોય છે. તેને ચોવીસ દાંત અને આઠ દાઢ હોય છે. દાંત અરઘા આંગળના ઉચ્છ્રીયવાળા હોય છે. આંગળના બારમાં ભાગની દાઢ હોય છે. તેને ચાર આંગળ લાંબાં ભવાં, વચ્ચેનું અંતર બે આંગળનું, આંખના ખૂણાથી કાનના છિદ્ર સુધી ચાર આંગળનું અંતર, દશ આંગળ વિસ્તારવાળી ને એકવીશ આંગળના ઘેરાવાવાળી ડોક, બાહુનો ઘેરાવો મૂળ બગલ કે આગળ સોળ આંગળ, સાત આંગળની હથેલી, પાંચ આગળના વિસ્તારવાળી વચલી આંગળી, તેનો ઉપલો વેઢો બાદ કરીએ તેવડી પ્રદેશિની એટલે અંગૂઠા પાસેની આંગળી, તેના જેવડી અનામિકા, તેનાથી નાની ટચલી, દરેકના ત્રણેય વેઢા સરખા, વેઢાથી અરધા ભાગના નખ, ત્રણ આંગળનો અંગૂઠો, જઠરનો ઘેરાવો બેતાળીસ આંગળ, એક આંગળની નાભિ, કેડ વિપુલતામાં અઢાર આંગળ અને તેનો ઘેરાવો ચુંમાલીસ આંગળ હોય છે. દેવની મૂર્તિનાં લક્ષણ: દેવની આંખની પાંપણો અને ભવાંમાં માત્ર વાળ કરવા બાકીના ભાગમાં દેવોને વાળરહિત કરવા. દેવોને સોળ વરસના કરવા. તેઓ પ્રસન્ન વદનવાળા, હમેશ હસતી આંખોવાળા, મુકુટ, કુંડળ, હાર, કેયૂર બાજુબંધ અને કડાંથી શણગારેલા, મોટી કટિમેખલાથી યુક્ત, યજ્ઞોપવીતવાળા, કાનમાં ઘરેણા ડાબી બાજુ ઘૂંટણ સુધી લટકતાં સુંદર કટિવસ્ત્રવાળા હોય છે. દેવોના સંબંધમાં ઊર્ધ્વદૃષ્ટિ, અધોદૃષ્ટિ, ત્રાંસી દૃષ્ટિ, અધૂરી અથવા વધારે પડતી ક્રુદ્ધ તથા રક્ષદૃષ્ટિનો ત્યાગ કરવો. કારણ કે ઊર્ધ્વથી મરણ થાય છે, નીચીથી શોક, ત્રાંસીથી ધનવિનાશ, અધૂરીથી મૃત્યુ, અધિકથી શોક, દીનથી પણ શોક અને રુક્ષથી ધનક્ષય થાય છે. ક્રુદ્ધ ભય વધારે છે. દેવોની મૂર્તિ બેસી ગયેલા પેટવાળી તેમ જ મોટા પેટવાળી ન કરવી તેમ જ ક્ષતવાળી પણ ન કરવી. ઓછાવત્તા માપવાળી, રુક્ષણવર્ણવાળી, નમેલી, પ્રમાણથી ઓછા અથવા વધારે અંગોવાળી ન કરવી, બેસી ગયેલા પેટવાળી મૂર્તિ ભૂખ અને ભયને આપવાવાળી છે. મોટા પેટવાળી મૂર્તિ મરણ આપનારી છે. ક્ષતવાળી પણ તેવી જ છે. ઓછા પ્રમાણવાળી ધનક્ષય કરનારી છે. વત્તા પ્રમાણવાળી શોક કરનારી, રુક્ષ વર્ણવાળી ભય આપનારી, વળેલાં મોઢાંવાળી કુળનો નાશ કરનારી છે. તેમના માથા ઉપરનું પ્રભામંડળ પૂર્વમાં હોય તો ધનનો નાશ કરે છે, દક્ષિણમાં હોય તો મૃત્યુ કરે છે, પશ્ચિમમાં હોય તો પુત્રનાશ કરે છે, ઉત્તરમાં હોય તો ભય વધારે છે. પ્રમાણથી ઓછી દેવની મૂર્તિ નાશ કરે છે. પ્રમાણથી અધિક દેશનો નાશ કરે છે. રુક્ષ મૂર્તિ મરણ માટે કરેલી છે. કુદ્ધ રૂપનો નાશ કરે છે. પ્રમાણમાં ઓછી અને લક્ષણથી રહિત મૂર્તિમાં બ્રાહ્મણોએ આહ્વાન કર્યા છતાં દેવો પ્રવેશ કરતા નથી. તેમાં હમેશ પિશાચો, દૈત્ય અને દાનવો પ્રવેશ કરે છે. માપ વિનાની મૂર્તિનો ત્યાગ કરવો. દેવો હમેશ શોભાવાળા, સિંહ, વૃષભ, હાથી અને હંસની ગતિની સમાન ગતિવાળા કરવા.
|