11 |
|
पुं. |
( પિંગળ ) પચ્ચીશ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં આઠ સગણ અને ગુરુ હોય છે. તેમાં બારમાં અક્ષર પછી યતિ આવે, આ છંદનાં મુદિર, મલ્લી, સુમિલા, માધવી, અમલા, ચંદ્રકાલા, સુછંદ, સુંદરી, સવૈયા, સુખદા, સુખદાની એવાં નામ છે.
|
28 |
|
न. |
ગર્ભાસ્થાનનો નીચલો ભાગ; ગર્ભાશયનું મોઢું; ગર્ભાશયની દીવાલ સાથે ગર્ભ જે ઠેકાણે ચોટેલ છે અને જ્યાં ગર્ભની નાલનો છેડો હોય તે અંગ. કમલ એક ગર્ભધારક ગોળાકાર અંગ છે અને એ વડે ગર્ભ માતાના શરીર સાથે જોડાયેલ રહે છે. તે ગર્ભને પોષણપદાર્થ પૂરો પાડે છે. કમળ સામાન્ય રીતે ગર્ભાશયના ઉર્દ્વાંશની નજીક કે તેની આગલી અથવા પાછલી દીવાલોમાં બને છે. એ ઠેકાણે કમલની ઉત્પત્તિ ઠીક રહેતી નથી, કેમકે ગર્ભના વધવાથી ગર્ભાશય પણ વધે ત્યારે એ ઠેકાણે રક્તસ્ત્રાવ થઇ ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાત થવાનો ભય રહે છે ને માતાના જીવનની પણ શોચનીય દશા થઇ જાય છે. એવા કમલને પૂર્વકમલ કહે છે. કમલના નાનો ને મોટો એમ બે ભાગ જુદા જુદા હોય છે. મોટા ભાગમાંથી નાનામાં રક્તસંચાર થાય છે. પ્રસવકાલમાં નાનો ભાગ ગર્ભાશયની અંદર રહી જવાનો ભય રહે છે. તે ભાગ જો અંદર રહી જાય તો કાં તો જોરદાર રક્તસ્ત્રાવ થાય છે, અથવા ગર્ભ ગર્ભાશયની અંદર સડી જઇ વિષજ લક્ષણ ઉત્પન્ન થાય છે. ગર્ભને ત્રીજે મહિને કમલ પૂર્ણ બને છે. પૂર્ણ બન્યા પછી નાલની રક્તવાહિનીઓ કેવળ કમલના સ્થાનમાંથી જ પૌષ્ટિક પદાર્થ ગ્રહણ કરે છે. કમલ ગર્ભનાં ફેફસાંનું કામ કરે છે. પ્રસવકાલમાં કમલ ગોળાકાર અને ચપટું અંગ બની જાય છે. તેનો વ્યાસ ઘણું કરીને નવ ઇંચ ને મોટાઇ મધ્યમાં પોણો ઇંચ હોય છે. ગર્ભ તરફની બાજુના મધ્યમાં નાલ જોડાયેલ હોય છે. કમલનો ભાર ઘણું કરીને ગર્ભના ભારનો છટ્ટો ભાગ એટલે કે ૧ પૌડથી થોડોક વધારે હોય છે. શ્વોસચ્છ્વાસ, પોષક અને શરીરની રચનામાં સાકર ઉત્પન્ન કરનાર પદાર્થ ઉત્પન્ન કરવા તથા ગર્ભનું રક્ષણ કરવું એ કમલનું કર્તવ્ય છે. માતાના રોગ ઘણું કરી કમલ દ્વારા ગર્ભમાં પહોંચી શકતા નથી. સામાન્ય રીતે માતાના લોહીથી ગર્ભના લોહીમાં જવાનો કોઇ એવો રસ્તો નથી કે જેથી મલેરિઅ જેવા રોગના મોટા કીટાણુ જઇ શકે, પણ ટાઇફોઇડનાં જંતુ કમલ દ્વારા ગર્ભમાં પેસી જાય છે. કમલનું પતન થતું ન હોય તો ભોજપત્ર, લાંગલીકંદ, કડવી તુંબી, સર્પની કાંચળી અને સરસવ એ બધાંનો યોનિ ઉપર લેપ કરવાથી કે ધુમાડો દેવાથી તરત જ પ્રસવ થાય છે ને કમલપતન થાય છે. વળી કૂઠમીઠી અને તાલીસપત્રના કલ્કને સુરામંડની સાથે અગર કળથીના યૂષની સાથે કે બિલ્વાસવની સાથે પીવરાવવાથી તરત જ કમલ પતન થાય છે. જો કમલ કે ઝિલ્લીનો કોઇ ભાગ અંદર રહી ગયો હોય તો દશમૂલારિષ્ટ દેવું.
|
32 |
[ સં. કમલ; પ્ર. અપ. કવલું, કમલુ ] |
न. |
પાણીમાં થતું લાંબી દાંડીવાળું એક ફૂલ. એનાં કંદ ગોળ કે લંબગોળ હોય છે તેને લોઢ કહે છે. એ કંદ ઉપર દાંડી આવી ફૂલ થાય છે. દાંડી લાંબી ને પોલી હોય છે. તેનાં મૂળ જળાશય, કુંડ, તળાવ, સરોવર, ખાબોચિયાના તળિયામાં રહેલા કાદવ કીચડમાં હોય છે. તેની દાંડી સદા સર્વદા મીઠા પાણીમાં જ રહે છે ને દાંડીનો ચાર આંગળ જેટલો ભાગ પાણી બહાર રહી તેના ઉપર વિવિધ રંગવાળાં ફૂલ થાય છે. કમળ સદા પાણીમાં રહેવા છતાં ફૂલ પાણીથી અલગ રહે છે. ગમે તેવો સખત વરસાદ વરસે છતાં આ ફૂલ ડૂબી ન જતાં પાણીની સપાટી ઉપરનું પોતાનું હતું તેનું તે અંતર જાળવી રાખે છે. કમળના આ સ્વભાવને શાસ્ત્રમાં બહુ મહત્ત્વ અપાયું છે. સંસારમાં રહીને સંસારવ્યાપાર કર્મબંધનથી અલિપ્ત કહેવાનું શિક્ષણ આ પુષ્પ આપે છે. કેટલીક જાતનાં કમળ વાસવાળાં અને કેટલાંસ વાસ વગરનાં હોય છે. ચોમાસામાં આ ફૂલ વધારે આવે છે. કમળનાં ફળને ઘીતેલાં કહે છે. તેમાં બી અથવા ઠળિયા હોય તેને કમળકાકડી કહે છે. રાતું કમળ કોકનદ, ધોળું કમળ કુમુદ કે પુંડરીક, કાળું કમળ નીલોત્પલ કે ઇંદીવર અને પીળું કમળ પીતકમળ કહેવાય છે. રાત્રિવિકાસી, દિવસવિકાસી તથા સંધ્યાવિકાસી એવી પણ તેની જાત છે. કમલાક્ષ નામે એક કમલની જાત છે. તેનં પાંદડાં છત્રી જેવાં મોટાં હોઇ તે જમવામાં ઉપયોગી છે. સરોવરમા ઊગતા કમલને સરોજ કહે છે. પર્વત ઉપરના પ્રદેશમાં જમીન ઉપર છૂટા પરંતુ સામાન્ય રીતે ઝાડના મૂળ પાસે ઊગતા કમલને નાગફેણી કમલ કહે છે. બીજાં કમલમાં જ્યારે અનેક પાંખડીઓ હોય ત્યારે આ નગફેણી કમલમાં એક જ પાંખડી નાગની ઊંચી કરેલી ફેણના જેવી હોય છે. ઔષધ તરીકે ફૂલનો ઉપયોગ ખાંસી અને રક્તસ્ત્રાવમાં શરબત તરીકે થાય છે. ડાંડલી તથા પાન બળતરા ઉપર વાટીને ચોપડાય છે. કમળ શીતળ, સ્વાદુ, સુગંધી, ભ્રાંતિહારક, તાપનાશક, વર્ણકર ને તૃપ્તિકર છે. રક્તપિત્ત, શ્રમ, કફ, પિત્ત, તરસ, બળતરા, વિસ્ફોટક, રક્તદોષ, ગૂમડાં, વિસર્પ અને ઝેરનો તે નાશ કરે છે. દૂઝતા હરસ, નાક અને જઠરમાંથી લોહીનું વહેવું અને બડખામાં લોહીનું પડવું વગેરે રક્તસ્ત્રાવમાં કમલ અસરકારક ઔષધ મનાય છે. કમલનાં પંકજ, જલજ, અબજ, અંબુજ, અંભોજ, પદ્મ, નલિન, અરવિંદ, મહોત્પલ, સહસ્ત્રપત્ર, શતપત્ર, કુશેશય, તામરસ, સારસ, સરોજ, પુષ્કર, પુંડરીક, કુવલય, કુંજ, મકરંદી, પંકેરૂહ, સરસિરૂહ, બિહ, પ્રસૂન, રાજીવ, અંભોરૂહ એવા ઘણાં નામ છે. સંસ્કૃત સાહિત્યકારો શરીરના અવયવોમાં કમળની સુંદરતા જુએ છે. દેવની કથાઓમાં લક્ષ્મી, બ્રહ્મા વગેરેની ઉત્પત્તિના સ્થાનરૂપ કે આસનરૂપ કમળ મનાયું છે. તત્ત્વજ્ઞાનના કઠિન પ્રદેશમાં પણ તેણે પ્રવેશ કરી સહસ્ત્ર દલપદ્મને નામે પરબ્રહ્મના આસનરૂપ હોવાની મહત્તા પ્રાપ્ત કરી છે.
ઉપયોગ
કમલ હંસ નઇ કુસુમની, તિયમતિ જાણી અલી. – પ્રબોધચિંતામણી
|