1 |
|
स्त्री. |
મૂળા વગેરેની જાતનું એક અતિ ઉગ્ર વાસવાળું અને ઉપરાઉપરી વીંટાયેલાં કોમળ પડની ગાંથ જેવું કંદમૂળ; પલાંડું; પ્યાજ; સુંકુદક; તીક્ષ્ણકંદ; કાંદો; ડૂંગળી; કૃષ્ણાવળી. ડુંગળીનું વાવેતર આખા હિંદુસ્તાનમાં તમામ પ્રકારની ચીકશ વગરની જમીનમાં થાય છે એક એકરમાં આશરે શેર બી વાવી ચોમાસું ગયા બાદ ક્યારામાં તેના રોપા કરાય છે. દોઢ બે માસના રોપા થયા પછી ફેરવીને વાવે છે. ડુંગળીના રોપા માટે જમીન છ વખત ઊંડી ખોદી કળિયું ચલાવી સાફ કરવી પડે છે. એક એકરે ૫૦ ગાડાં ઉકરડાનું ગળતિયું ખાતર નખાય. ક્યારા બાંધવાને તેમાં ચાર ઇંચ છેટે ડુંગળીના રોપા વાવવા ને પાણી પાવું. રાખનું ખાતર ડુંગળી ફેરવ્યા પછી વીશ દિવસે નાખવાથી ડુંગળીને રોગ થતો અટકે છે. પાણી છ દિવસે પાતાં રહેવું. ફાગણ માસમાં ડુંગળી સુકાઈ જાય એટલે ખોદી લેવી. સફેદ, લાલ તથા પીળી રંગની ડુંગળી થાય છે. ડુંગળીને હવાવાળી જગામાં ખુલ્લી રાખવામાં આવે તો બગડ્યા વગર એક વરસ રહે છે. દવામાં ડુંગળી ઉપયોગી મનાય છે. ડુંગળીનું શાક થાય છે. પરંતુ ઉગ્રગંધી હોવાથી સારા લોક તેને ખાતા નથી. ડુંગળીનો કાંદો પૌષ્ટિક મનાય છે. ધોળી ડુંગળી બલકર, તીખટ, વૃષ્ય, ગુરુ, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર, ધાતુવર્ધક, નિદ્રાપ્રદ તથા દીપક છે અને ક્ષય, હૃદ્રોગ, ઊલટી, અરુચિ, રક્તપિત્ત, વાત, પિત્ત, કફાર્શ, વાતાર્શ, પરસેવો, સોજો તથા રક્તદોષનો નાશ કરે છે. લીલી ડુંગળીના ગુણ ધોળી ડુંગળીના જેવા છે. રાતી ડુંગળી શીતળ, સ્નિગ્ધ, અગ્નિદીપક, ગુરુ, તીખી, મધુર, જરા ઉષ્ણ, પિત્તકર, વૃષ્ય અને બળકારક છે, તથા કફ, વાયુ, સોજો અને કૃમિનો નાશ કરે છે. તે બલદાયી મનાતી હોવાથી કાંદો મર્દનો બાંધો એવી કહેતી ચાલે છે. કાંદાનાં બીજ વૃષ્ય છે અને દાંતમાંના કૃમિ તથા પ્રમેહનો નાશ કરે છે.
|