2 |
[ સં. દેવ + યાન ( માર્ગ ) ] |
पुं. |
શરીરથી છૂટા થઈ જીવાત્માને જવાના બે માંહેનો એક માર્ગ. જે માર્ગે થઈને જીવાત્મા બ્રહ્મલોકમાં જાય અને જન્મમરણના ફેરામાંથી કાયમનો છૂટે છે તે માર્ગને દેવયાન કહે છે. તેના નીચે પ્રમાણે માર્ગ છેઃ (૧) દેવપથ, (૨) બ્રહ્મપથ, (૩) સૂર્યમાર્ગ, (૪) વિરજમાર્ગ, (૫) જ્ઞાનમાર્ગ, (૬) વિદ્યુન્માર્ગ, (૭) અર્ચિરાદિમાર્ગ, (૮) નિવૃત્તિમાર્ગ, (૯) શ્રેયમાર્ગ. ઉપનિષદોમાં જીવાત્માના ઉત્ક્રમણ એટલે એક શરીરમાંથી બીજા શરીરની અથવા એક લોકથી બીજા લોકની પ્રાપ્તિની કથા ઘણી છે. પ્રશ્નોપનિષદમાં લખ્યું છે કે, સંવત્સર એ પ્રજાપતિ છે. દક્ષિણ અને ઉત્તર એમ તેના બે અયન છે. જે કોઈ ઈષ્ટાપૂર્ત અને કૃત એટલે યજ્ઞ વગેરે કર્મકાંડની ઉપાસના કરે છે, તે ચંદ્રલોકને પ્રાપ્ત કરે છે અને ફરી ત્યાંથી પાછા આવીને ફરી દક્ષિણાયનમાં જાય છે, જેને પિતૃયાન કહે છે. જે તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને વિદ્યાથી આત્માનું અન્વેષણ કરે છે, તે ઉત્તરાયણ માર્ગથી આદિત્યલોકને પ્રાપ્ત કરે છે. આ માર્ગથી આદિત્યલોકને પ્રાપ્ત કરે છે. આ માર્ગથી જનાર પાછો ફરતો નથી. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે, જે શ્રદ્ધા અને તપની ઉપાસના કરે છે તે અર્ચિ એટલે આગની લૂ ને પામે છે. અર્ચિમાંથી અહન એટલે દિવસને, અહનમાંથી આપૂર્યમાણ એટલે શુક્લપક્ષને, આપૂર્યણમાંથી ઉત્તરાયણના છ મહિનાને, ઉત્તરાયણથી સંવત્સરને, સંવત્સરથી આદિત્યને, આદિત્યથી ચંદ્રમાને, ચંદ્રમાંથી વિદ્યુતને પામે છે અને ત્યાંથી અમાનવ એટલે દેવ થઈ જાય છે. આ માર્ગને દેવયાન કહે છે. આ રસ્તેથી મરનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સૂર્યથી પરબારૂં વિદ્યુતને પ્રાપ્ત કરતું હોવાનું લખ્યું છે અને ચંદ્રમાને છોડી દીધેલ છે અને અમાનવની જગ્યાએ અમાનસ શબ્દ આવે છે, જેનો અર્થ એક જ છે. દેવયાન અને પિતૃયાનનો અર્થ માત્ર એટલો જ છે કે, બ્રહ્મજ્ઞાની મરીને ઉત્તરોત્તર પ્રકાશમાન, લોક અથવા સ્થિતિઓમાં થઈને બ્રહ્મલોક અથવા બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને કર્મકાંડમાં આસક્તિવાળો માણસ ધૂમરાત્રિ, કૃષ્ણપક્ષ, દક્ષિણાયન વગેરે ઉત્તરોત્તર અંધકારની સ્થિતિને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ફરીને પાછો જન્મ લે છે. સારાંશ એટલો કે, એક બાજુ પ્રકાશની ઉત્તરોત્તર વૃદ્ધિની પરંપરાનો ક્રમ રાખ્યો છે અને બીજી તરફ અંધકારનો રાખ્યો છે. વેદાંતસૂત્રના ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવના આ બે માર્ગો ઉપર ઘણો ઊહાપોહ કરવામાં આવ્યો છે. ગીતાના આઠમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે પણ આ માર્ગનું વર્ણન કર્યું છે. ઉપનિષદમાં ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાન કહેલ છે. તેનું કારણ એ છે કે, સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં હોય તે વખતે મરણ મોક્ષદાયક માનવામાં આવે છે. એથી મહાભારતમાં સૂર્ય ઉત્તરાયણના થયા ત્યાંસુધી ભીષ્મ બાણની પથારી ઉપર પડ્યા રહ્યાનું લખ્યું છે. કર્મઠ અને કર્મયોગી જ્ઞાનીને મળનારાં ફળ આ પ્રમાણે ભિન્ન હોવાથી તે મેળવવા માટે પ્રત્યેકને ભિન્ન ભિન્ન માર્ગે ભિન્ન ભિન્ન લોકમાં જવું પડે છે. દેહપાત પછી શરીર ચિતામાં ભસ્મ થઈ જાય તે પછી તે અગ્નિમાંથી નીકળેલી જ્યોતિ દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસમાંથી પ્રયાણ કરતી કરતી બ્રહ્મપદ સુધી પહોંચે છે. ત્યાં તેને મોક્ષ પ્રાપ્ત થતાં તે પુનઃ મૃત્યુલોકમાં પાછી આવતી નથી. પણ જે કેવળ કર્મઠ છે એટલે જેને જ્ઞાન નથી તે તે જ અગ્નિમાંથી ધૂમ, રાત્રિ, કૃષ્ણપક્ષ અને દક્ષિણાયનના છ મહિના, એ ક્રમે ચંદ્રલોક સુધી પહોંચે છે. ત્યાં તેણે કરેલાં પુણ્યનો સર્વ ઉપભોગ તેને પ્રાપ્ત થાય છે અને પછી ફરીને આ લોકમાં જન્મ લે છે. એ રીતે આ બે માર્ગમાં ભેદ છે. જ્યોતિ એટલે જ્વાલા એને બદલે ઉપનિષદમાં અર્ચિ એટલે જ્વાલા એ શબ્દ છે, તેથી પહેલા માર્ગને અર્ચિરાદિ માર્ગ કહે છે અને બીજાને ધૂમાદિ એવું નામ આપવામાં આવ્યું છે. ઉત્તરાયણ એટલે ઉત્તર ધ્રુવના સ્થાનમાં રહેનાર દેવનો દિવસ, દક્ષિણાયન એટલે તેમની રાત, એ પરિભાષા લક્ષમાં રાખતાં, આ બે પૈકી પ્રથમ અર્ચિરાદિ અથવા જ્યોતિરાદિ માર્ગ આરંભથી અંત સુધી પ્રકાશનો અને બીજો એટલે ધૂમાદિ અંધકારનો છે એ સ્પષ્ટ છે. જ્ઞાન એ પ્રકાશમય અને પરબ્રહ્મ એ જ્યોતિની જ્યોતિ અથવા તેજનું તેજ છે એટલે દેહપાત પછી જ્ઞાની પુરુષનો માર્ગ પ્રકાશમય હોય એ જ યોગ્ય છે અને તેથી ગીતામાં આ બે માર્ગને શુક્લ અને કૃષ્ણ એવી જે સંજ્ઞા આપવામાં આવી છે તે પણ પ્રકાશમય અને અંધકારમય એ બે અર્થમાં બરાબર જ છે. ગીતામાં ઉત્તરાયણની આગળની પાયરીઓ કહેવામાં આવી નથી, પણ યાસ્કના નિરુક્તમાં ઉત્તરાયણ પછી દેવલોક, સૂર્ય, વૈદ્યુત અને માનસ પુરુષ એનું વર્ણન છે. દેવયાનમાં ઉપનિષદોમાં જે વર્ણનો છે તેની એકવાક્યતા કરીને વેદાંતસૂત્રમાં ઉત્તરાયણ પછી સંવત્સર, વાયુલોક, સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, વરુણલોક, ઇંદ્રલોક, પ્રજાપતિલોક અને આખર બ્રહ્મલોક એ રીતે આગળની સર્વ પાયરીઓ આપેલી છે. વેદમાં વસંતસંપાત મૃગશીર્ષમાં થતો અને ત્યારથી દેવયાન સમય એટલે ઉત્તરાયણનો કાળ શરૂ થતો.
|