2 |
[ સં. નૌ ] |
स्त्री.;न. |
વહાણ; હોડી; નૌકા. નાવ ઘણા પ્રાચીન કાળથી બનતી આવે છે. ભારતવર્ષ, મિસર, ચીન વગેરે દેશોના લોકો વેપાર માટે સમુદ્રની મુસાફરી કરતા હતા. ઋગ્વેદમાં સમુદ્રમાં ચાલતી નાવોનો ઉલ્લેખ છે. પ્રાચીન હિંદવાસીઓ સુમાત્રા, જાવા, ચીન આદિ ભાગ તરફ પોતાનાં જહાજ લઈને જતા હતા. ઈશુથી ત્રણસો વર્ષ પહેલાં કલિંગ દેશનું તામ્રલિપ્ત નગર ભારતનું પ્રસિદ્ધ બંદરો માંહેનો એક હતું. ત્યાંથી જહાજમાં બેસી સિંહલના રાજાએ પ્રસિદ્ધ બોધિદ્રુમ લઇને સ્વદેશ તરફ પ્રયાણ કર્યું હતું. ઈશુની પાંચમી શતાબ્દિમાં ચીની મુસાફર ફાહિયાન બૌદ્ધ ગ્રંથોની નકલ આદિ લઇને તામ્રલિપ્તથી જહાજમાં બેસી સિંહલ ગયો હતો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો વેપાર લાંબા વખત સુધી અરબોના હાથમાં જ હતો. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં વાહન બે પ્રકારનાં હતાં: સ્થલયાન અને જલયાન. જલયાનને નિષ્પદયાન પણ કહેતા. મુક્તિકલ્પતરુ નામના ગ્રંથમાં નૌકા બનાવવાની યુક્તિનું વર્ણન છે. તેમાં સૌથી પહેલાં લાકડાનો વિચાર કર્યો છે. લાકડાની પણ ચાર જાત નક્કી કરેલી છેઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જે લાકડું હલકું, મુલાયમ ને ઘડવા યોગ્ય હોય તેને બ્રાહ્મણ, જે કઠણ, હલકું ને ઘડવા યોગ્ય હોય તેને ક્ષત્રિય, જે મુલાયમ ને ભારે હોય તેને વૈશ્ય અને જે કઠણ ને ભારે હોય તેને શૂદ્ર કહેલ છે. તેમાંથી પહેલી ત્રણ જાતનું લાકડું હોડી બનાવવા માટે યોગ્ય કહેલું છે. સામાન્ય નાની નાવ દશ પ્રકારની કહેલી છે. ક્ષુદ્રા, મધ્યમા, ભીમા, ચપલા, પટલા, અભયા, દીર્ધા, પત્રપુટા, ગર્ભરા અને મંથરા. આ પ્રમાણે જહાજ એટલે મોટી નાવના પણ દશ પ્રકાર બતાવ્યા છેઃ દીર્ધિકા, તરણિ, લોલા, ગત્વરા, ગામિની, તરિ, જંઘલા, પ્લાવિની, ધરણી અને વેગિની. જે નાવ ઉપર સમુદ્રયાત્રા થતી તેને પ્રાચીન ભારતવાસી સાધારણતઃ યાનપાત્ર કહેતા હતા.
ઉપયોગ
ઉડુપ પોત નૌકા પ્લવ તરિ વહિત્ર જલયાન; નામ નાવ ચડી ભવઉદધિ તર્યા ઘણાક અજાન. – પિંગળલઘુકોષ
|