1 |
[ સં. ] |
पुं. |
ન્યાયશાસ્ત્ર; ન્યાયદર્શનૃ; કોઈ વસ્તુના યથાર્થ જ્ઞાન માટે વિચારોનું યોગ્ય નિરૂપણ હોય એવું શાસ્ત્ર; તત્ત્વનિર્ણયોનાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ. મીમાંસા અને વેદાંત એ છ માંહેનું દરેક શાસ્ત્ર; વેદના ચાર માંહેનું એક ઉપાંગ. એને આન્વિક્ષિકી વિદ્યા પણ કહે છે. ન્યાયના કર્તા ગૌતમ ઋષિ છે. તે મિથિલાના નિવાસી કહેવાય છે. ગૌતમનું ન્યાયસૂત્ર આજ સુધી પ્રસિદ્ધ છે. તે ઉપરથી વાત્સ્યાયને ભાષ્ય રચ્યું છે. આ ભાષ્ય ઉપર ઉદ્યોતકરે વાર્ત્તિક લખેલ છે. વાર્ત્તિકની વ્યાખ્યા વાચસ્પતિ મિશ્રે ન્યાયવાર્ત્તિકતાત્પર્ય ટીકા એ નામે લખી છે. આ ટીકાની પણ ટીકા ઉદયનાચાર્ય કૃત તાત્પર્યશુદ્ધિ છે. આ પરિશુદ્ધિ ઉપર વર્દ્ધમાન ઉપાધ્યાય કૃત પ્રકાશ છે. ગૌતમનો ન્યાય માત્ર પ્રમાણ, તર્ક વગેરેના નિયમ નિશ્ર્ચિત કરનાર શાસ્ત્ર નથી, પણ આત્મા, ઇંદ્રિય, પુનર્જન્મ, દુઃખ, અપવર્ગ વગેરે વિશિષ્ટ પ્રમેયોની વિચાર કરનારૂં દર્શન છે. ગૌતમે સોળ પદાર્થોનો વિચાર કર્યો છે અને તેના સમ્યક્ જ્ઞાન વડે અપવર્ગ કે મોક્ષની પ્રાપ્તિ કહી છે. તે સોળ પદાર્થ આ પ્રમાણે છેઃ પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન. આ વિષયો ઉપર કોઈ મધ્યસ્થની સામે વાદી પ્રતિવાદીના કથોપકથનના રૂપમાં વિચાર કરવામાં આવ્યો છે. કોઈ બાબતમાં વિવાદ ઉપસ્થિત થતાં બંને વાદીઓ ક્યાં ક્યાં પ્રમાણ માનશે તે બાબતનો પ્રથમ નિર્ણય થવો જોઈએ. આથી પહેલાં પ્રમાણ લેવામાં આવેલ છે. તે પછી વિવાદને વિષય અર્થાત પ્રમેયનો વિચાર કરાયો છે. વિષય નક્કી થયાં પછી મધ્યસ્થના ચિત્તમાં આનું યથાર્થ સ્વરૂપ શું છે તે બાબતનો સંશય ઉત્પન્ન થશે. સંદેહ ઉપરાંત મધ્યસ્થના ચિત્તમાં આ વિષયના વિચારોનું પ્રયોજન શું એવો વિચાર આવે.સંદિગ્ધ વિષય ઉપર વાદી પોતાનો પક્ષ દૃષ્ટાંત આપી બતાવે, તે દૃષ્ટાંત પદાર્થ છે. જે પક્ષને વાદી પુષ્ટ કરીને બતાવે તે સિદ્ધાંત કહેવાય. વાદીનો પક્ષ બતાવાઈ જતાં પક્ષસાધનની જે જે યુક્તિઓ કહેવાઈ હોય તેના કટકે કટકા કરી ખંડન કરવામાં પ્રતિવાદી પ્રવૃત થાય છે. યુક્તિઓના આ ખંડનને અવયવ કહે છે. પોતાની યુક્તિઓનું ખંડન દેખી વાદી ફરીથી બીજી યુક્તિઓ આપે છે, જેથી પ્રતિવાદીની યુક્તિઓનો ઉત્તર મળી જાય છે. આને તર્ક કહે છે. તર્ક વડે વાદી પોતાના પક્ષને સ્થિર કરે તે નિર્ણય કહેવાય છે. પ્રતિવાદી આટલેથી સંતુષ્ટ નહિ થતાં બંને પક્ષ દ્વારા પંચાવયવયુક્ત કથન કરે તે વાદ કહેવાય છે. વાદ કે શાસ્ત્રાર્થ દ્વારા સ્થિર સત્ય પક્ષને ન માની જો પ્રતિવાદી જીતની ઇચ્છાથી પોતાની ચતુરાઈના બળ વડે વ્યર્થ ઉત્તર પ્રત્યુત્તર કરે તે જલ્પ કહેવાય છે.આ રીતે પ્રતિવાદી કેટલાક વખત સુધી થોડી સારી યુક્તિઓ આપે અને પછી વળી જેમ તેમ બકે તેને વિતંડા કહે છે. આ વિતંડામાં જેટલા હેતુ દેવામાં આવે તે બરાબર ન હોય, તે માત્ર હેત્વાભાસ હોય. આ હેતુઓ અને યુક્તિઓ ઉપરાંત જાણી બૂઝીને વાદીને ગભરાવવા માટે તેના વાક્યોનો આડોઅવળો અર્થ કરી ગરબડ ઊભી કરવા ચાહે તો તે તેનું છળ કહેવાય અને જો વ્યાપ્તિનિરપેક્ષ સાધર્મ્ય વૈધર્મ્ય આદિની મદદથી પોતાનો પક્ષ સ્થાપિત કરવા લાગે તો તે જાતિમાં આવે. આ પ્રમાણે થતાં થતાં શાસ્ત્રાર્થમાં એવી સ્થિતિ આવી જાય કે પ્રતિવાદીને રોકીને શાસ્ત્રાર્થ બંધ કરવામાં આવે, ત્યારે નિગ્રહસ્થાન આવે છે. ન્યાયનો મુખ્ય વિષય આ પ્રમાણે છે. આ પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાનનું કારણ પ્રમાણ કહેવાય છે. ગૌતમે ચાર પ્રમાણ માન્યાં છેઃ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. એ પ્રમાણો વડે નીચેની બાર બાબતોનો તેણે નિર્ણય કર્યો છેઃ આત્મા એટલે બધી વસ્તુઓનો જોનારો, ભોગ કરનારો, જાણનારો અને અનુભવ કરનારો, શરીર એટલે ભોગોનો આયતન અથવા આધાર, ઈંદ્રિય એટલે ભોગોનું સાધન, અર્થ એટલે વસ્તુ જેનો ભોગ થાય છે, બુદ્ધિ એટલે ભોગ, મન એટલે અંતઃકરણ અર્થાત્ જેના દ્વારા બધી વસ્તુઓનું જ્ઞાન થાય છે તે ભીતરી ઇંદ્રિય, પ્રવૃત્તિ એટલે વચન, મન ને શરીરનો વ્યાપાર, દોષ એટલે જેને કારણે સારાં કે બૂરાં કામોમાં પ્રવૃત્તિ થાય છે, પ્રેત્યભાવ પુનર્જન્મ, ફલ એટલે સુખદુઃખનું સંવેદન યા અનુભવ, દુઃખ એટલે પીડા, કલેશ, અને અપવર્ગ એટલે દુઃખથી અત્યંત નિવૃત્તિ અથવા મુક્તિ. આથી એમ નથી સમજવાનું કે આ બાબતો ઉપરાંત બીજી બાબતો પ્રમાણનો વિષય કે પ્રમેય થઈ શકતી નથી. પ્રમાણ દ્વારા ઘણી બાબત સિદ્ધ કરી શકાય છે. પણ ગૌતમે પોતાના સૂત્રમાં આ બાબતો ઉપર વિચાર કર્યો છે, જેના જ્ઞાનથી અપવર્ગ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમાં આત્મા, મન અને ઇંદ્રિયના સંયોગરૂપ જે જ્ઞાનનું કારણ કે પ્રમાણ છે તે પ્રત્યક્ષ કહેવાય છે. વસ્તુ સાથે ઇંદ્રિયનો સંયોગ થવાથી તેનું જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ કહે છે. પ્રત્યક્ષ ઉપરથી જે જ્ઞાન થાય તે અનુમાન અનુમાનના પાંચ અવયવ છેઃ (૧) પ્રતિજ્ઞા એટલે સાધ્યનો નિર્દેશ કરનાર વાક્ય અર્થાત્ અનુમાનથી જે વાત સિદ્ધ કરવાની હોય તે સિદ્ધ કરનારૂં. વાક્ય. જેમકે, અહીં અગ્નિ છે. (૨) હેતુ એટલે જે લક્ષણ વડે વાત સિદ્ધ કરવામાં આવે તે. જેમકે, કારણ કે અહીં ધુમાડો છે, (૩) ઉદાહરણ એટલે સિદ્ધ કરવાની બાબત બતાવેલ ચિહ્ન સાથે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. જેમકે, રસોડામાં (૪) ઉપનય એટલે બતાવેલ ચિહ્મ હોવાનું પ્રગટ કરનાર વાક્ય. જેમકે, અહીં ધુમાડો છે. (૫) નિગમન એટલે સિદ્ધ કરવાની બાબત સિદ્ધ થઈ ચૂકી એવું કથન. સાધારણ રીતે આ પાંચ અવયવ યુક્ત વાક્યને ન્યાય કહે છે. નવા નૈયાયિકો આ પાંચ અવયવને માનવાને આવશ્યક ગણતા નથી. તેઓ પ્રમાણને માટે પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાંતને વાજબી માને છે. મીમાંસક અને વેદાંતી પણ આ ત્રણને માને છે. બૌદ્ધ નૈયાયિક પ્રતિજ્ઞા અને હેતુ એ બે અવયવને માને છે. દુષ્ટ હેતુને હેત્વાભાસ કહે છે. પણ તેનું વર્ણન ગૌતમે પ્રમાણની અંદર ન કરતાં તેને જુદો પદાર્થ અથવા વિષય માની કરેલ છે.આ પ્રમાણે છલ, જાતિ, નિગ્રહસ્થાન વગેરે પણ વાસ્તવિક રીતે હેતુદોષ, જ કહી શકાય. કેવળ હેતુનો સારી રીતે વિચાર કરતાં અનુમાનના બધા દોષ પકડી શકાય છે અને અનુમાન બરાબર છે કે નહિ તે માલૂમ પડે છે. ગૌતમનું ત્રીજું પ્રમાણ ઉપમાન છે. કોઈ જાણેલી વસ્તુના સાદશ્યથી ન જાણેલી વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે, તે ઉપમાન છે. જેમકે, નીલગાય ગાય જેવી હોય છે, એવું કોઈને મોઢેથી સાંભળીને જંગલમાં નીલગાય દેખતાં જ જ્ઞાન થાય છે કે આ નીલગાય છે. આથી પ્રતીત થયું કે કોઈ વસ્તુનો તેના નામની સાથે સંબંધ જ ઉપમિતિ જ્ઞાનનો વિષય છે. વૈશેષિક અને બૌદ્ધ નૈયાયિક ઉપમાનને જુદું પ્રમાણ નથી માનતા. પ્રત્યક્ષ અને શબ્દ પ્રમાણની અંતર્ગત તેને માને છે. ચોથું પ્રમાણ શબ્દ છે. સૂત્રમાં લખ્યું છેકે, આપ્તોપદેશ એટલે આપ્ત પુરુષનું વાક્ય શબ્દપ્રમાણ છે ન્યાયમાં આ ચાર પ્રમાણ માનેલ છે. મીમાંસક અને વેદાંતી અર્થાપત્તિ, ઐતિહ્ય, સંભવ અને અભાવ એ ચાર વધુ પ્રમાણ કહે છે. નૈયાયિકો આ ચારને પોતાના ચાર પ્રમાણની અંદર આવી જતાં માને છે. ન્યાયમાં ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાનને આત્માનું લિગ એટલે અનુમાનનું સાધન, ચિહ્ન કે હેતુ કહેલ છે, જોકે શરીર, ઇંદ્રિય તથા મનથી આત્માને જુદો માનેલ છે. વૈશેષિકમાં પણ ઇચ્છા, દ્વેષ, સુખ દુઃખ વગેરેને આત્માના લિંગ કહેલ છે. શરીર, ઇંદ્રિય અને મનથી આત્મા જુદો હોવાના હેતુ ગૌતમે આપેલ છે. વેદાંતીઓની માફક નૈયાયિકો એક જ આત્માને નથી માનતા, અનેક આત્માને માને છે, સાંખ્યમતવાળા પણ અનેક પુરુષ માને છે, પણ તેઓ પુરુષને અકર્તા તથા અભોક્તા માત્ર સાક્ષી કે દ્રષ્ટા માને છે. નૈયાયિકો આત્માને કર્તા, ભોક્તા વગેરે માને છે. સંસાર રચનાર આત્મા જ ઈશ્વર છે. નૈયાયિકો આત્માની માફક ઈશ્વરમાં પણ સંખ્યા, પરિણામ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, ઇચ્છા, બુદ્ધિ, પ્રયત્ન એ ગુણો માને છે, પણ તે નિત્ય કરીને માને છે. ન્યાયમંજરીમાં લખ્યું છે કેઃ દુઃખ, દ્વેષ અને સંસ્કાર સિવાય બાકીના આત્માંના બધા ગુણ ઈશ્વરમાં છે. ઘણા લોકો શરીરને પાંચ ભૂતોનું બનેલું માને છે, પણ ન્યાયમાં શરીર કેવળ પૃથ્વીના પરમાણુઓથી બનેલ માન્યું છે. ચેષ્ટા, ઇંદ્રિય અને અર્થના આશ્રયને શરીર કહે છે. જે પદાર્થથી સુખ થાય તે મેળવવું અને જેથી દુઃખ થાય તે દૂર કરવું તેના વ્યાપારને ચેષ્ટા કહે છે. આથી શરીરનાં જે લક્ષણ કહ્યાં છે તેમાં વૃક્ષોનું શરીર પણ આવી જાય છે. પણ વાચસ્પતિ મિશ્રે કહ્યું છે કે, આ લક્ષણ વૃક્ષના શરીરમાં બંધબેસતાં નથી. તેથી માત્ર મનુષ્યશરીરનો અભિપ્રાય સમજવો જોઈએ. શંકર મિશ્રે વૈશેષિક સૂત્રોપસ્કારમાં કહ્યું છે કે, વૃક્ષોને શરીર છે પણ તેમાં ચેષ્ટા અને ઇંદ્રિયો સ્પષ્ટ દેખાતી નથી, તેથી તેને શરીર કહી શકાતું નથી. પૂર્વજન્મનાં કર્મો અનુસાર શરીર ઉત્પન્ન થાય છે. પાંચ ભૂતોથી પાંચ ઇંદ્રિયોની ઉત્પત્તિ કહેલી છે. ઘ્રાણેંદ્રિય વૃથ્વીથી, જીભ જલથી, ચક્ષુ તેજથી, ચામડી વાયુથી અને શ્રવણેંદ્રિંય આકાશથી બનેલ છે. સાંખ્યમાં પાંચ કર્મેંદ્રિયો અને મન લઈને અગિયાર ઇંદ્રિયો માની છે. ન્યાયમાં કર્મેંદ્રિયોને નથી માની, પણ મનને એક કરણ અને અણુરૂપ માનેલ છે. ન્યાયમાં બુદ્ધિને જ્ઞાન અથવા ઉપલબ્ધિનું બીજું નામ કહેલ છે સાંખ્યમાં બુદ્ધિને નિત્ય પણ ન્યાયમાં અનિત્ય કહેલ છે. વૈશેષિકોની માફક નૈયાયિકો પણ પરમાણુવાદી છે એટલે કે પરમાણુઓના યોગથી સૃષ્ટિને માની છે. પ્રમેયોના સંબંધમાં ન્યાય અને વૈશેષિક મત લગભગ એક સરખો છે, તેથી દર્શનમાં બંનેનો મત ન્યાયમત કહેવાય છે. વાત્સ્યાયને પણ ભાષ્યમાં કહી દીધું છે કે, વિસ્તારભયથી ગૌતમે સૂત્રમાં જે બાબત ન જણાવી હોય તે વૈશેષિકથી ગ્રહણ કરવી જોઈએ. આ બધી બાબતથી જોઈ શકાશે કે, ગૌતમનો ન્યાય કેવળ વિચાર કે તર્કના નિયમ નક્કી કરનારૂં શાસ્ત્ર નથી, પણ પ્રમેયનો વિચાર કરનારૂં દર્શન છે. ન્યાયશાસ્ત્રનો ભારતમાં ક્યારે પ્રાદુર્ભાવ થયો તે બરાબર કહી શકાતું નથી. નૈયાયિકોમાં ચાલતા પ્રવાદ અનુસાર ગૌતમ વેદવ્યાસના સમકાલીન ઠરે છે, પણ તેનું કોઈ પ્રમાણ નથી. ન્યાયના પ્રાદુર્ભાવ સંબંધમાં સાધારણ રીતે બે પ્રકારના મત છેઃ કેટલાક પાશ્ર્ચાત્ય વિદ્વાનોનું માનવું છે કે, બૌદ્ધ ધર્મનો પ્રચાર છતાં તેના ખંડન માટે આ શાસ્ત્રનો અભ્યુદય થયો. પણ કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે, વૈદિક વાક્યોના પરસ્પર સમન્વય અને સમાધાન માટે જૈમિનિએ પૂર્વમીમાંસામાં જે યુક્તિઓ અને તર્કોનો ઉપયોગ કર્યો, તેને પ્રથમ ન્યાય નામ અપાતું હતું. કેટલાક બંગાલી પંડિતો કહે છે કે, ન્યાય બધાં દર્શનોમાં પ્રાચીન છે, કેમકે બીજાં બધાં દર્શનસૂત્રોમાં અન્ય દર્શનનો ઉલ્લેખ મળે છે, પણ ન્યાયસૂત્રમાં ક્યાંય કોઈ બીજા દર્શનનું નામ મળતું નથી. જોકે ન્યાય બધાં દર્શનમાં પ્રાચીન છે એમ કહી શકાતું નથી, તોપણ એટલું તો ચોક્કસ કહી શકાય છે કે, તર્કના નિયમ બૌદ્ધ ધર્મના પ્રચાર પહેલાં ઘણો વખત અગાઉ પ્રચલિત હતા. હેમચંદ્રે ન્યાયસૂત્રો ઉપર ભાષ્ય લખનાર વાત્સ્યાયન અને ચાણક્યને એક જ વ્યક્તિ માનેલ છે. આ બરાબર હોય તો ભાષ્ય પણ બૌદ્ધ ધર્મપ્રચાર પહેલાંનું ઠરે છે, કેમકે બૌદ્ધ ધર્મનો પ્રચાર અશોકના સમયથી થયો અને બૌદ્ધ ન્યાયનો આવિર્ભાવ અશોકની પછી મહાયાન શાખા સ્થાપિત થતાં થયો. પણ વાત્સ્યાયન અને ચાણક્ય એક એમ હેમચંદ્રના શ્લોક ઉપરથી જ બરાબર માની શકાય નહિ. વાત્સ્યાયને દશાવયવાદી નૈયાયિકોનો ઉલ્લેખ કર્યો છે, તેથી સિદ્ધ થાય છે કે, તેની પહેલાં ભાષ્યકાર નૈયાયિકોની પરંપરા ચાલી આવતી હતી. આથી ન્યાયસૂત્રોની રચનાનો કાળ બૌદ્ધ ધર્મના પ્રચાર પહેલાંનો માનવો પડે છે. વૈદિક, બૌદ્ધ અને જૈન નૈયાયિકો વચ્ચે ઈ.સ. ના પાંચમાથી તેરમા સૈકા સુધી વિવાદ ચાલુ હતા. તેથી ખંડનમંડનના પણ ઘણા ગ્રંથ બન્યા. ચૌદમા સૈકામાં ગંગેશોપાધ્યાય થયા, જેણે નવ્યન્યાય શરૂ કર્યો. પ્રાચીન ન્યાયમાં પ્રમેય વગેરે જે સોળ પદાર્થ હતા, તેમાંથી બીજા બધાને મૂકી દઈ કેવળ પ્રમાણને લઈ ભારે શબ્દાડંબર ઊભો કર્યો. આ નવ્યન્યાયનો આવિર્ભાવ મિથિલામાં થયો, ત્યાંથી નદિયામાં પહોંચી નવ્યન્યાયે ઘણું ભયંકર રૂપ ધારણ કર્યું. તેમાં ન રહ્યો તત્ત્વનિર્ણય કે ન રહ્યું તત્ત્વનિર્ણયનું સામર્થ્ય. ગૌતમે માનેલા સોળ પદાર્થઃ (૧) પ્રમાણઃ યથાર્થ જ્ઞાનનું સાધન. તે ચાર છેઃ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૨) પ્રમેયઃ યથાર્થ જ્ઞાનનો વિષય બની શકે તે. તે બાર છેઃ આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, પ્રેત્યભાવ, દોષ, ફલ દુઃખ અને અપવર્ગ. (૩) સંશયઃ એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી એવા બે અંશોને સ્પર્શ કરતું જ્ઞાન. (૪) પ્રયોજનઃ જે હેય અગર ઉપાદેય વસ્તુના ઉદ્દેશથી પ્રવૃત્તિ થાય છે તે વસ્તુ . (૫) દૃષ્ટાંતઃ જે વિષે શાસ્ત્રજ્ઞ અને વ્યવહારજ્ઞનો મતભેદ ન હોય તે. (૬) સિદ્ધાંતઃ અમુક વસ્તુ રૂપે છે, એ રીતે જે સ્વીકારાય છે તે સિદ્ધાંત. તે ચાર છેઃ સર્વતંત્ર, પ્રતિતંત્ર, અધિકરણ અને અભ્યુપગમ. (૭) અવયવઃ અનુમાનવાક્યના અવયવો. તે પાંચ છેઃ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. (૮) તર્કઃ જ્યારે કોઈ વસ્તુનું સ્વરૂપ જ્ઞાત ન હોય ત્યારે તેનું સ્વરૂપ જાણવા માટે એક વસ્તુનું અપાદન કરી તેના ઉપરથી બીજી અવિષ્ટ વસ્તુનું અપાદન કરવું તે. (૯) નિર્ણયઃ સંદેહ થયા પછી પક્ષ અને પ્રતિપક્ષ દ્વારા બેમાંથી એક અંશનું નિર્ધારણ. (૧૦) વાદઃ જે વચનવ્યાપારમાં પક્ષ અને પ્રતિપક્ષનો સ્વીકાર હોય, અર્થાત્ જેમાં એક જ પદાર્થના પરસ્પર વિરોધી એવા બે અંશોમાંથી એક એક અંશનો વાદીએ અને પ્રતિવાદીએ પોતપોતાના પક્ષ તરીકે નિયમપૂર્વક સ્વીકાર કર્યો હોય અને તેથી જેમાં વાદી પ્રતિવાદી બંને પ્રમાણ અને તર્ક દ્વારા પોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું નિરાકરણ કરતા હોય, તેમજ આ સાધન અને નિરાકરણનો પ્રકાર પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવરૂપ વાક્યથી યુક્ત હોય અને જે સિદ્ધાંતથી વિરુદ્ધ ન હોય એવો વચનવ્યાપાર તે વાદ. (૧૧) જલ્પઃ વાદનાં ઉક્ત બધાં લક્ષણો હોવા ઉપરાંત જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનના પ્રયોગ હોય, સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું નિરાકરણ કરી શકાતું હોય તેવા વચનવ્યાપારને જલ્પ કહેવામાં આવે છે. (૧૨) વિતંડાઃ એ જ જલ્પ પ્રતિપક્ષની સ્થાપનાને બાદ કરીએ તો વિતંડા કહેવાય છે. (૧૩) હેત્વાભાસઃ જે સાચા હેતુ ન હોવા છતાં હેતુ જેવો જણાય તે હેત્વાભાસ. તે પાંચ છેઃ સવ્યભિચાર, વિરુદ્ધ, પ્રકરણસમ, સાધ્યસમ અને કાલાતીત. (૧૪) છલઃ વક્તાના વિવક્ષિત અર્થથી જુદા અર્થની કલ્પના કરી તેના વાક્યને દૂષિત કરવું તે છલ. તે ત્રણ જાતના છેઃ વાક્છલ, સામાન્યછલ અને ઉપચારછલ. (૧૫) જાતિઃ સાધર્મ્ય અને વૈધર્મ્ય દ્વારા અર્થાત્ સાદૃશ્ય અને વૈસાદૃશ્ય દ્વારા અનિષ્ટ પ્રસંગ આપવો તે જાતિ. તે ચોવીશ પ્રકારની છેઃ સાધર્મ્યસમ, વૈધર્મ્યસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વર્ણ્યસમ, અવર્ણ્યસમ, વિકલ્પસમ, સાધ્યસમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગસમ, પ્રતિદૃષ્ટાંતસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થાપત્તિસમ, અવિશેષસમ, ઉપપત્તિસમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ. (૧૬) નિગ્રહસ્થાનઃ વિપ્રતિપત્તિ કે અપ્રતિપત્તિને કારણે જ્યાંથી વાદીને અટકાવવો પડે તે.
|
7 |
|
पुं. |
દૃષ્ટાંત; પ્રસિદ્ધ કહેવત. દૃષ્ટાંતરૂપ બનેલા કેટલાક ન્યાય નીચે પ્રમાણે છેઃ (૧) અજાકૃપાણીય ન્યાયઃ દૈવસંયોગથી આવી પડતી વિપત્તિ જેવી બાબત. કોઈ એક સ્થળે તરવાર લટકતી હતી. તેની નીચે એક બકરો આવ્યો અને લટકતી તરવારના સંયોગથી એકદમ તેનું માથું કપાઈ ગયું. આમ જ્યારે દૈવસંયોગથી કોઈ વિપત્તિ આવી પડતી હોય, ત્યાં આ ન્યાયનો ઉપયોગ કરાય છે. (૨) અજાતપુત્રનામોત્કીર્તન ન્યાયઃ પુત્ર જન્મ્યો પણ ન હોય ત્યાર પહેલાં નામ પણ પાડી દેવા જેવી બાબત. કોઈ વાત હજુ ન બની હોય તોપણ આશામાં ને આશામાં લોકો અનેક પ્રકારના સંકલ્પવિક્લ્પો કરી રાખે તેને માટે આ ન્યાય અપાય છે. (૩) અધ્યારોપ ન્યાયઃ ન હોય તેવા ગુણનું આરોપણ કરવું તે; જે વસ્તુ જેવી ન હોય તોપણ તે તેવી હોવાનો આભાસ. જેમકે, દોરડાંને સર્પ માનવો તે. વેદાંતનાં પુસ્તકોમાં આ ન્યાય ખૂબ વપરાયેલો છે. (૪) અપરાહણછાયા ન્યાય; જેમ બપોરની છાયા પૂર્વ તરફ વધતી જાય, તેમ વધતી જતી કોઈ બાબત માટે કહેવામાં આવતો ન્યાય. જેમકે, સજ્જનોની પ્રીતિ. (૫) અપવાદ ન્યાયઃ વસ્તુનું ખરેખરું જ્ઞાન થતાં ભ્રમ જતો રહે એવો સિદ્ધાંત; કોઈ વસ્તુનું જ્ઞાન થઈ જતાં તે બાબત ભ્રમ ન રહેવાપણું. આ ન્યાય પણ વેદાંતમાં બહુ વપરાયેલ છે. (૬) અપસારિતાગ્નિભૂતલ ન્યાયઃ એક જાતનું દૃષ્ટાંત. જમીન ઉપરથી અગ્નિ દૂર થવા છતાં થોડો વખત તે જમીન ગરમ રહે છે, તેમ ધન રહિત થવા છતાં ધનવાન પુરુષ અમુક વખત સુધી પોતાની સ્થિતિ ટકાવી રાખે છે તેવી બાબતને આ ન્યાય સૂચવે છે.
(૭) અરણ્યરુદન ન્યાયઃ નકામો પોકાર; જંગલમાં કરાતા રુદન જેવી વાત. જ્યાં કહેવાની વાત ઉપર કોઈ ધ્યાન જ આપનાર ન હોય, ત્યાં આ ન્યાયનો ઉપયોગ થાય છે. (૮) અરુંધતીદર્શન ન્યાયઃ અરુંધતીનો તારો દેખાડવા જેવું દૃષ્ટાંત; જાણીતા ઉપરથી અજાણ્યા ઉપર જવું તે. અરુંધતીનો તારો નાનો હોવાથી તે દેખાડવા પ્રથમ તેની પાસેનો મોટો તારો દેખાડવામાં આવે છે અને પછી તે દેખાડવામાં આવે છે. (૯)અર્કમધુ ન્યાય; આકડા અને મધને દાખલો; સહેલાઈથી મળી જવું તે. જો આકડામાંથી મધ મળી જાય તો તેને માટે પર્વત ઉપર ચડવાનો પરીશ્રમ ન કરવો પડે, તેમ જે કામ સહેલાઈથી થઈ શકતું હોય તેને માટે અહીંતહીં બહુ મહેનત કરવાની જરૂર ન પડે તેને માટે આ દૃષ્ટાંત અપાય છે. (૧૦) અર્ધજરતીય ન્યાય; અનિશ્ર્ચિત વાત. એક બ્રાહ્મણ પૈસાને દુઃખે બહુ દુઃખી થઈને હમેશા પોતાની ગાય બજારમાં વેચવા લઈ જતો હતો, પરંતુ તે વેચાતી ન હતી, કારણ કે જયારે કોઈ ગાયની ઉમર પૂછે ત્યારે તે ઘણી મોટી કહેતો હતો. એક દિવસ એક આદમીએ ગાય ન વેચાવાનું પૂછયું બ્રાહ્મણે કહ્યું કે, હું એમ સમજતો હતો કે, જેમ મનુષ્યની ઉમર વધતાં તેની કદર વધે છે, તેમ ગાયના સંબંધમાં પણ હશે. પેલા માણસે તેને હવે પછી તેમ ન કહેવાની સલાહ આપી. બ્રાહ્મણે વિચાર કર્યો કે, એક વાર ગાયને ઘરડી કહ્યા પછી હવે તેને જુવાન કેમ કહી શકીશ ! અંતમાં તેણે મન સાથે નક્કી કર્યું કે, આત્મા વૃદ્ધ થતો નથી, માત્ર શરીર જ વૃદ્ધ થાય છે. માટે ગાયને હું અર્ધી ઘરડી અને અર્ધી જુવાન કહીશ. આ પ્રમાણે જયારે કોઈ અર્ધી વાત એક પક્ષમાં સ્વીકારવા જેવી હોય તેમ જ બીજી અર્ધી વાત વિરુદ્ધ પક્ષમાં સ્વીકારવા જેવી હોય, તયારે આ દૃષ્ટાંત અપાય છે.(૧૧) અશોકવનિકા ન્યાયઃ
અશોક વાડીનો દાખલો. અશોક વનમાં જવાથી છાયા, સૌરભ વગેરે બધું ત્યાં જ મળી જાય છે. જયારે એક જ સ્થળમાં બધું જ મળી જાય અન બીજે કયાંય જવાની જરૂર ન રહે, ત્યારે આ ન્યાય અપાય છે. તેમ જ રાવણને અશોક વાડી જેવી બીજી ઘણી વાડી હતી અને તે બધી સરખી ઉપયોગી હોવા છતાં તેણે સીતાને અશોક વાડીમાં રાખ્યા તેનું કોઈ ખાસ કારણ હતું નહિ. તેમ જયારે કોઈ બાબતના ઘણા રસ્તા હોય અને બધા સરખા હોવાથી તેમાંના એક ઉપર જ પસંદગી ઉતારવાનું ખાસ કારણ કાંઈ ન હોય છતાં તેને પસંદ કરવામાં આવે ત્યારે આ દાખલો આપવામાં આવે છે.(૧૨)અશ્મલોષ્ટ ન્યાયઃ પત્થર અને ઢેફાનો દાખલો. ધૂળનું ઢેફું રૂ સાથે સરખાવતાં કઠણ છે, પણ પથ્થર સાથે સરખાવતાં નરમ છે. તેમ કોઈ વસ્તુ સંજોગ પ્રમાણે નકામી કે મહત્ત્વની ગણાય, ત્યાં આ દાખલો અપાય છે.(૧૩) અસ્નેહદીપ ન્યાયઃ તેલ વગરના દીવા જેવી ટૂંક વખત માટેની વાત. થોડો જ સમય ટકવાની વાત વિષે આ દૃષ્ટાંત અપાય છે.(૧૪) અહિકુંડલ ન્યાયઃ સર્પના ગૂંચળું વાળીને બેસવા જેવી બાબત. સર્પ ગૂંચળું વાળી બેસે છે, તે જેમ કુદરતી છે, તેમ કોઈ સ્વાભાવિક વાતને માટે આ દૃષ્ટાંત લાગુ પડે છે. વળી સર્પ જેમ દંડાકાર લાંબો અને કુંડલાકાર ગોળ થઈ જાય છે એટલે સ્વેચ્છાથી વિવિધ આકારે થાય છે., પણ વસ્તુતઃ તેમાં ભેદ નથી. તેવી જ રીતે ભેદ જણાતા છતાં વસ્તુતઃ જે અભેદરૂપ જ છે તેને પણ આ દૃષ્ટાંત કે ન્યાય લાગુ પડે છે. (૧૫) અહિનકુલ ન્યાયઃ સર્પ ને નોળિયા જેવી વાત. સર્પ અને નોળિયાને સ્વાભાવિક વૈર હોય છે. તેથી સ્વાભાવિક વેર કે વિરોધ બતાવવો હોય ત્યાં આ દાખલો અપાય છે. (૧૬) અંધકૂપપતન ન્યાયઃ છૂપા કૂવામાં પડવાનો દાખલોઃ વિવેકના અભાવે મુશ્કેલીમાં આવી પડવાનો બનાવ. કોઈ એક દયાળુ આદમીએ એક અંધને રસ્તો બતાવ્યો, પણ ચાલતાં ચાલતાં રસ્તામાં કૂવો આવ્યો તેમાં તે બાપડો ગબડી પડ્યો. જ્યારે કોઈ અધિકાર વિનાના પુરુષને ઉપદેશ આપવામાં આવે અને તે તે પ્રમાણે વર્તવા છતાં કોઈ કારણે ભૂલ કરી બેસે અને નુકસાનમાં આવી પડે ત્યારે આ ઉક્તિ વપરાય છે. (૧૭) અંધગજ ન્યાયઃ આંધળા અને હાથીનો દાખલો. કેટલાક જન્માંધો હાથી કેવો છે તે જોવાને માટે એક હાથી ઉપર હાથ ફેરવવા લાગ્યા. જે અંગ ઉપર હાથ ફેરવ્યો તે અંગ જેવા આકારનો હાથી તેઓને લાગ્યો. જેણે પૂછડી ઉપર હાથ ફેરવ્યો તેને દોરીના આકારનો અને જેણે પગ ઉપર હાથ ફેરવ્યો તેને થાંભલાના આકારનો હાથી લાગ્યો. કોઈ વિષયનું સંપૂર્ણ જ્ઞાન ન હોવા છતાં તે વિષય ઉપર પોતપોતાની સમજ અનુસાર જુદી જુદી વાતો કહેવાતી હોય ત્યારે આ ઉક્તિનો પ્રયોગ કરવામાં આવે છે.(૧૮) અંધગોલાંગૂલ ન્યાયઃ આંધળાને બળદનું પૂછડું પકડાવી દેવા જેવો દાખલો. એક આંધળો ભૂલો પડી ગયો હતો. કોઈએ તેના હાથમાં બળદનું પૂછડું પકડાવી કહ્યું કે, આ પૂછડું તારે છોડવું નહિ અને તે તને તારે ઘેર પહોંચાડી દેશે. બળદના આમતેમ દોડવાથી આંધળો પોતાને ઘેર તો ન પહોંચ્યો પણ તેને કષ્ટ બહુ થયું. કોઈ દુષ્ટ કે મૂર્ખના ઉપદેશ મુજબ કામ કરવાથી કોઈને કષ્ટ કે દુઃખ આવી પડે ત્યારે આ ઉક્તિ વપરાય છે.(૧૯) અંધચટક ન્યાયઃ આંધળો માણસ કોઈ વાર અજાણતાં ચકલીને પકડે તેવો દાખલો; વગર ઇરાદે બનતો બનાવ. વગર મહેનતે ન મેળવી શકાય તેવી વસ્તુ મળી આવે ત્યારે આ દાખલો દૃષ્ટાંત વપરાય છે.(૨૦)અંધપરંપરા ન્યાયઃ જોયા વિચાર્યા વિના આંધળાની જેમ એકની પાછળ બીજાએ ચાલવાનો રિવાજ; વગર વિચાર્યે આંધળી નકલ કરવાનો દાખલો. કોઈ માણસ કોઈને કંઈ કામ કરતો જોઈને પોતે પણ તે પ્રમાણે કામ કરવા લાગે ત્યારે આ દૃષ્ટાંત અપાય છે. (૨૧) અંધપંગુ ન્યાયઃ આંધળો લૂલાને પોતાના ખભા ઉપર બેસાડી મદદ કરે અને લૂલો ત્યાં બેસીને આંધળાને માર્ગ બતાવે તેનું દૃષ્ટાંત; જાતે અપૂર્ણ એવી વ્યક્તિઓની પરસ્પર મદદનું સૂત્ર. એક જ સ્થાન ઉપર બેસાડી જવાવાળા એક આંધળો અને એક લંગડો જો મળી જાય તો એકબીજાની સહાયથી બંને ઘારેલે સ્થળે પહોંચી જાય. સાંખ્યમાં જડ પ્રકૃતિ અને ચૈતન્ય પુરુષના સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થવાના દૃષ્ટાંતમાં આ ઉક્તિ કહેવાય છે. (૨૨) આકાશાપરિચ્છિન્નત્વ ન્યાયઃ આકાશની જેમ અપરિચ્છિન્ન હોય તેનો દાખલો. (૨૩) આભાણક ન્યાયઃ લોકપ્રવાદનું દૃષ્ટાંત. (૨૪) આમ્રવન ન્યાયઃ જેમ કોઈ વનમાં બીજાં ગમે તેટલાં વૃક્ષ હોય પણ આંબાનાં ઝાડ વધારે પડતાં હોવાથી તે આંબાનું વન કહેવાય છે, તેમ જ્યાં બીજી બાબતો છોડી માત્ર મુખ્ય બાબતનો ઉલ્લેખ થાય, ત્યાં આ ઉક્તિ કહેવાય છે. (૨૫) ઉત્પાટિતદંતનાગ ન્યાયઃ દાંત પાડી નાખેલ નાગનો દાખલો. દાંત ખેંચી કાઢવામાં આવેલા સર્પની માફક કંઈ પણ કરી શકવાને કે નુકસાન કરવાને અશક્ત પુરુષના સંબંધમાં આ ઉક્તિ વપરાય છે. (૨૬) ઉદકનિમજ્જન ન્યાયઃ આરોપીને પાણીમાં ડુબકી મરાવીને ખરાખોટાનો ફેંસલો કરવાની રીત. કોઈ દોષિત છે કે નિર્દોષ છે તેની એક દિવ્ય પરીક્ષા પ્રાચીન સમયમાં પ્રચલિત હતી. દોષિતને પાણીમાં ઊભો રાખી તેના ઉપર બાણ છોડવામાં આવતાં અને છોડેલાં બાણ પાછાં મૂળ સ્થાને ન આવે ત્યાંસુધી તેણે પાણીમાં ડૂબી રહેવાનું. જો તે દરમિયાન કોઈ અંગ બહાર ન દેખાય તો તેને નિર્દોષ માનવામાં આવતો. જ્યાં સત્યાસત્યની વાત હોય ત્યાં આ ઉક્તિ કહેવામાં આવે છે. (૨૭)ઉભયતઃપાશરજ્જુ ન્યાયઃ સૂડી વચ્ચે સોપારી જેવી દશા. સાપ છછૂંદરને ગળે તેમ જયાં બંને તરફ વિપત્તિ હોય અથવા કર્તવ્ય પક્ષોમાંથી પ્રત્યેકમાં દુઃખ હોય, ત્યાં આ પ્રયોગનો વ્યવહાર થાય છે. (૨૮) ઉષ્ટ્રકંટકભક્ષણ નયાયઃ અલ્પ સુખ માટે ઘણું દુઃખ સહન કરવાપણું. જેમ માત્ર થોડા સુખને માટે ઊંટ કાંટા ખાવાનું પણ કષ્ટ સહન કરે છે, તેમ માત્ર થોડા સુખને માટે ઘણું કષ્ટ ઊઠાવવું પડે ત્યાં આ ન્યાય કહેવામાં આવે છે. (૨૯) ઊષરવૃષ્ટિ ન્યાયઃ ફળ વગરની વાત. ખારવાળી જમીન ઉપર વરસાદ વરસે છતાં તેમાં કાંઈ પાકે નહિ. તે ઉપરથી કોઈ વાતનું કાંઈ પરીણામ ન આવે, ત્યાં આ પ્રયોગ વપરાય છે. (૩૦) કદલીફલ ન્યાયઃ કેળાનો દાખલો. કેળ કાપવાથી જ ફળ આપે છે,તેમ નીચ પુરુષ સીધું કહેવાથી નથી સાંભળતો, તેને માટે આ દૃષ્ટાંત અપાય છે.(૩૧) કદંબગોલક ન્યાયઃ કદંબના ફૂલની કળીનો દાખલો. કદંબના વૃક્ષમાં બધી કળીઓ એક સામટી ખીલી ઊઠે છે, તેમ કેટલીક બાબતો એકીસાથે ઉપસ્થિત થાય, ત્યાં આ દૃષ્ટાંત કહેવાય છે. કેટલાક નૈયાયકો શબ્દની ઉત્પત્તિમાં કેટલાક વર્ણોના ઉચ્ચાર એકીસાથે માનીને તેના દૃષ્ટાંતમાં આ ઉક્તિ કહે છે. (૩૨) કરકંકણ ન્યાયઃ હાથમાં રહેલા કંકણના દ્રષ્ટાંતને સૂચવનારો ન્યાયઃ નજીકનું દ્રષ્ટાંત. કંકણ કહેવાથી પણ હાથના ઘરેણાનો બાધ થાય છે, પછી કર કહેવાથી આવશ્યકતા રહેતી નથી. પરંતુ કરકંકણ કહેતાં જ હાથ ઉપર રહેલું કડું એવો અર્થ સમજાય છે. આ પ્રકારનો ભાવ જ્યાં હોય ત્યાં આ ન્યાય વપરાય છે. (૩૩) કંઠચાપીકર ન્યાયઃ ડોકમાં સોનાનો હાર હોય અને તેને અહીંતહીં શોધતા ફરવું તેનો બનાવ, આનંદસ્વરૂપ બ્રહ્મ પોતાનામાં રહેતા હોવા છતાં અજ્ઞાનથી સુખને માટે અનેક પ્રકારનાં દુઃખ ભોગવવાના દૃષ્ટાંત રૂપે વેદાંતીઓ આ ન્યાય આપે છે. (૩૪) કાકતાલીય ન્યાયઃ કાગડો બેસે અને તાડ પડે તેવો દાખલો. કોઈ એક તાડના ઝાડની નીચે એક મુસાફર અને ઝાડની ઉપર એક કાગડો બેઠો હતો. કાગડો ત્યાંથી ઊડ્યો અને તેના ઊડવાની સાથે જ એક પાકેલું તાડનું ફળ નીચે પડ્યું જોકે ફળ પાકીને આપોઆપ પડ્યું હતું, પણ બંને સાથે બનવાથી મુસાફરને એમ લાગ્યું કે કાગડના ઊડવાથી જ તાડનું ફળ પડ્યું. જ્યાં બે વાત સંયોગવશાત એકીસાથે જ બને છે તેને કોઈ પ્રકારનો સંબંધ ન હોય છતાં લોકો સંબંધ માની બેસે છે. આવા સંયોગ વિષે આ કહેવત વપરાય છે. (૩૫) કાકદધ્યુપઘાતક ન્યાયઃ કાગડાથી દહીં બચાવવાનું કહેતાં જેમ કૂતરૂં, બિલાડી વગેરે બધાં પ્રાણીઓથી બચાવવાનું સમજવામાં આવે છે, એવી રીતે એક વાતમાં બીજી ઘણી વાતોનો સમાવેશ થતો હોય ત્યાં આ ન્યાય વપરાય છે. (૩૬) કાકદંતગવેષણા ન્યાયઃ કાગડાની દાંતની શોધ કરવાનો ન્યાયઃ કાગડાના દાંતની શોધ કરવાની પેઠે લાભ વિનાની કે અશક્ય બાબતની તપાસ કરવી તે. (૩૭)કાકાક્ષિગોલક ન્યાયઃ કોઈ શબ્દ કે વાક્યનો ઇચ્છા પ્રમાણે અર્થ કરવો તે; બેઉ તરફ સંબંધ ધરાવતો દાખલો. કહેવાય છે કે, કાગડાને એક ડોળો હોય છે અને જરૂર પ્રમાણે તે એક આંખમાંથી બીજી આંખમાં ફેરવે છે. તેમ એક જ વસ્તુ બે જગ્યાએ કામ કરતી હોય તેને માટે આ ન્યાય અપાય છે. (૩૮) કારણગુણપ્રક્રમ ન્યાયઃ કારણનો ગુણ જે કાર્યમાં જોવામાં આવે છે. તેનું દૃષ્ટાંત સૂતરનું રૂપ તેમાંથી બનેલા કપડામાં જોવામાં આવે છે તેના જેવો દાખલો.(૩૯) કુશકાશાવલંબન ન્યાયઃ ડૂબતો નર તણખલાને વળગે તેવો દાખલો. જેમ ડૂબતો માણસ તરણું વગેરે જે કંઈ મળી આવે તેને મદદ માટે પકડે છે, એમ જ્યાં કોઈ દૃઢ આધાર ન મળતો હોય અને આડીઅવળી બાબતોની મદદ લેવી પડતી હોય, ત્યાં આ ઉક્તિ વપરાય છે. (૪૦) કૂપખાનક ન્યાયઃ જેમ કૂવો ખોદવાવાળાના શરીર ઉપર ચોંટેલી ધૂળ વગેરે એ જ કૂવાના પાણીથી સાફ થઈ જાય છે, એ રીતે રામ, કૃષ્ણ વગેરેને જુદા જુદા સ્વરૂપના સમજવાથી ઈશ્વરમાં ભેદબુદ્ધિનો જે દોષ લાગે છે તે તેની ઉપાસના દ્વારા જ અદ્વૈતબુદ્ધિ થતાં દૂર થાય એવો મત. (૪૧) કૂપમંડૂક ન્યાયઃ કૂવાના દેડકા જેવો સંકુચિત મત. સમુદ્રનો એક દેડકો કોઈ એક કૂવામાં જઈ પડ્યો. કૂવાવાળા દેડકાએ પૂછ્યું, ભાઈ ! તમારો સમુદ્ર કેવડો મોટો છે ? એમણે કહ્યું કે, ઘણો મોટો છે કૂવાના દેડકાએ પૂછ્યું કે, આ કૂવા જેટલો મોટો હશે ? સમુદ્રના દેડકાએ કહ્યું, ક્યાં કૂવો ને ક્યાં સમુદ્ર ! સમુદ્રથી મોટી વસ્તુ પૃથ્વી ઉપર કોઈ નથી. આ વખતે કૂવાનો દેડકો જે કૂવાથી બીજું કંઈ મોટું જાણતો ન હતો તે બોલી ઊઠ્યો કે તું જૂઠો છો, કૂવાથી બીજી કોઈ મોટી વસ્તુ નથી. જે પોતાના પરિમિત જ્ઞાનને લીધે પોતાની જાણમાં હોય એ સિવાય બીજું કંઈ માનવા તૈયાર ન જ હોય તેને માટે આ ઉક્તિ વપરાય છે. (૪૨) કૂપયંત્રઘટિકા ન્યાયઃ રેંટના ઘટમાળનો એક ઘટ ભરાય અને એક ઠલવાય તેના જેવી બાબત. (૪૩) કૂર્મોંગ ન્યાયઃ જેમ કાચબો ધારે ત્યારે પોતાનાં બધાં અંગ સંકોચી કે ફેલાવી શકે છે, તેમ ઇશ્વર સૃષ્ટિનું સર્જન કે પ્રલય કરે છે તેના જેવી બાબત. (૪૪) કૈમુતિક ન્યાયઃ મોટું કામ થયું તો નાનું શા હિસાબમાં એવું જણાવનારો ન્યાય. જેણે મોટાં મોટાં કામ કર્યાં હોય, તેને નાનાં કામ કરવામાં શું વાંધો આવે ? આ પ્રકારના દૃષ્ટાંતો માટે આ ઉક્તિ વપરાય છે. (૪૫) કૌંડિન્ય ન્યાયઃ આ ઠીક છે પણ આમ હોત તો વધુ ઠીક થાત, એવા પ્રકારના ભાવ માટે આ યુક્તિ વપરાય છે. (૪૬) ગજભુક્તકપિત્થ ન્યાયઃ હાથીના ખાધેલા કોઠાની જેમ ઉપરથી દેખાવમાં સારી છતાં અંદર ગર્ભ કે સત્ત્વ વગરની વસ્તુ. (૪૭) ગડ્ડલિકા પ્રવાહ ન્યાયઃ ગાડરિયા પ્રવાહ જેવી બાબત. (૪૮) ગણપતિ ન્યાયઃ થોડી યુક્તિથી મહાન કામ પાર પાડવા જેવી બાબત. એક વખત દેવતાઓમાં વિવાદ થયો કે સર્વમાં પૂજ્ય કોણ છે ? બ્રહ્માએ કહ્યું કે, જે પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલાં કરી આવે તેને જ શ્રેષ્ઠ માનવો. બધા દેવતા પોતપોતાના વાહન ઉપર ઊપડ્યા. ગણેશજી ઉંદર ઉપર સવાર થઈ બધાની પાછળ રહી ગયા એટલામાં નારદજી મળ્યા. એમણે ગણેશજીને યુક્તિ બતાવી કે, રામ નામ લખી તેની પ્રદક્ષિણા કરીને ઝટપટ બ્રહ્માની પાસે પહોંચી જાઓ. ગણપતિએ એમ જ કર્યું અને તે દેવતાઓમાં પ્રથમ પૂજ્ય બન્યા. આમ જ્યાં થોડી જ યુક્તિથી મોટું કામ પાર પડી જાય કે મહાન સિદ્ધિ મળી જાય ત્યાં આ ન્યાયનો પ્રયોગ થાય છે. (૪૯) ગતાનુગતિક ન્યાયઃ એકનું દેખી બીજાએ તેના જેવું કામ કરવા જેવી બાબત. કેટલાક બ્રાહ્મણો એક ઘાટ ઉપર તર્પણ કર્યા કરતા હતા. તેઓ પોતપોતાના દર્ભ એક જ સ્થાન ઉપર રાખી દેતા હતા. તેથી એકનો દર્ભ બીજો લઈ જતો હતો. એક દિવસ ઓળખી શકાય એટલા માટે એક બ્રાહ્મણે પોતાનો દર્ભ ઈંટ નીચે દબાવ્યો. તેની દેખાદેખીથી બીજે દિવસે બધાએ પોતપોતાના દર્ભ ઉપર ઈંટ દબાવી. જ્યાં એકની દેખાદેખીથી બીજા કામ કરે, ત્યાં આ ન્યાય વપરાય છે.(૫૦) ગુડજિહ્વિકા ન્યાયઃ પ્રલોભન આપી કામ પાર પાડવા જેવી બાબત. જેમ બચ્ચાને કડવી દવા પિવરાવવા માટે પહેલાં ગોળ આપી ફોસલાવવામાં આવે છે, તેમ જ્યાં અરુચિકર કે કઠિન કામ કરાવવા માટે પહેલાં થોડાં પ્રલોભન આપવામાં આવે ત્યાં આ ન્યાય વપરાય છે. (૫૧) ગોવલીવર્દ્ધ ન્યાયઃ વલીવર્દ્ધ શબ્દનો અર્થ બળદ થાય છે. જ્યાં આ શબ્દ ગો એટલે ગાયની સાથે વપરાયો હોય, ત્યાં અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આવા શબ્દ જ્યાં એક સાથે હોય ત્યાં આ ન્યાય વપરાય છે. (૫૨) ઘટપ્રદીપ ન્યાયઃ ઘડા અને દીવાનું દૃષ્ટાંત. ઘડો પોતાની અંદર રાખવામાં આવેલા દીવાનો પ્રકાશ બહાર જવા દેતો નથી, તેમ જ્યાં કોઈ પોતાનું જ ભલું ચાહતો હોય અને બીજા ઉપર ઉપકાર નથી કરતો ત્યાં આ પ્રયોગ થાય છે. (૫૩) ઘટ્ટકુટીપ્રભાત ન્યાયઃ કોઈ મુશ્કેલીમાંથી બચવા માટે કરેલ ઉપાય નિષ્ફળ જતાં તે જ મુશ્કેલીમાં આવી પડવા જેવી બાબત. એક વાણિયો દાણથી છટકવા માટે સાચો રસ્તો છોડી આખી રાત આમતેમ ભટક્યો, પણ સવાર થતાં દાણ ભરવાની છાવણી પાસે જ આવી પહોંચ્યો. આમ દાણચોરી કરનારને દાણ ભરવાની જગ્યાએ જ પ્રભાત થાય કે જ્યાં એક મુશ્કેલીમાંથી બચવા માટે અનેક ઉપાય નિષ્ફળ જાય અને અંતમાં એ જ મુશ્કેલીમાં ફસાઈ પડવાનું બને ત્યાં આ ન્યાય કહેવાય છે. (૫૪) ઘુણાક્ષર ન્યાયઃ કાક્તાલીય ન્યાયઃ અકસ્માત કે અણધાર્યું બનવું તે. લાકડામાં કે કાગળમાં જીવડાંઓથી તેની મેળે જ અક્ષર જેવું કોતરાય છે. એ પ્રકારે જ્યાં એક કામ કરવાથી બીજી વાત અનાયાસે થઇ જતી હોય, ત્યાં આ પ્રમાણે કહેવાય છે. (૫૫) ચંપકપટવાસ ન્યાયઃ સુસંસ્કાર લાંબો વખત રહેતા હોવાનો દાખલો. જે કપડામાં ચંપાનું ફૂલ રાખવામાં આવ્યું હોય, તેમાંથી તે ફૂલ લઈ લેવામાં આવે તો પણ ઘણો વખત સુધી તેની સુગંધી રહે છે. આ રીતે વિષયભોગના સંસ્કાર પણ લાંબા વખત સુધી રહે છે. (૫૬) જલતરંગ ન્યાયઃ અભેદપણું બતાવનાર દૃષ્ટાંત. નામ જુદું હોવા છતાં તરંગ જળ કરતાં ભિન્ન ગુણવાળા હોતા નથી. આવો અભેદ દર્શાવવા માટે આ ઉક્તિનો ઉપયોગ થાય છે. (૫૭) જલતુંબિકા ન્યાયઃ પાણીમાં તુંબડું તરે એવું જણાવનાર દૃષ્ટાંત તુંબડું પાણીમાં ડૂબતું નથી. ડુબાડવામાં આવે તોપણ ઉપર તરી આવે. જ્યાં કોઈ વાત છુપાવવા છતાં છુપાતી નથી, ત્યાં આ પ્રમાણે કહેવાય છે. તુંબડા ઉપર માટી, કાદવ વગેરે ચોપડી તેને પાણીમાં ડુબાડવામાં આવે તો ડૂબી જાય, પરંતુ કાદવ ધોઈને જો પાણીમાં નાખવામાં આવે તો ડૂબતું નથી. આ રીતે જીવ દેહ વગેરેના મળોથી યુક્ત થતાં સંસારસાગરમાં ડૂબી જાય છે, પણ મળથી છૂટતાં પાર તરી જાય છે. (૫૮) જલાનયન ન્યાયઃ એક વાતમાં બીજી આવશ્યક વાતનો સમાવેશ. પાણી લાવો, એમ કહેતાં તેની સાથે વાસણ લાવવાનું પણ સમજી લેવાય, કારણ પાત્ર વગર પાણી આવે નહિ. (૫૯) તિલતંડુલ ન્યાયઃ એક જાતનો ન્યાય. ચોખા અને તલની જેમ ભેળવવામાં આવતાં છતાં જુદા જુદા દેખાય, તેમ જુદી જુદી દેખાતી વસ્તુઓના સંબંધમાં આ ન્યાયનો ઉપયોગ થાય છે. (૬૦) તૃણજલૌકા ન્યાયઃ તણખલા અને જળોનો દાખલો. આત્મા એક શરીર છોડી બીજા શરીરમાં જાય છે એ દૃષ્ટાંત આપવાનું હોય ત્યારે નૈયાયિકો આ ન્યાયનો ઉપયોગ કરે છે. તાત્પર્ય એ છે કે, જેવી રીતે જળો જળમાં વહેતા તણખલાના અંત સુધી પહોંચી જ્યારે બીજા તણખલાને પકડે છે ત્યારે જ પહેલાને છોડી દે છે. તેવી રીતે આત્મા જ્યારે બીજા શરીરમાં જાય છે. ત્યારે પહેલા શરીરને છોડી દે છે. (૬૧) દશમ ન્યાયઃ એક જાતનો ન્યાય. દશ માણસો એકી સાથે કોઈ નદી તરીને પાર ગયા. પાર ગયા પછી કોઈ છૂટો પડી ગયો કે તણાઈ ગયો નથી ને, તે જોવા તેઓ બધાને ગણવા લાગ્યા. પણ જે ગણતરી કરતો તે પોતાને છોડી બીજા બધાને ગણતો, જેથી નવની જ સંખ્યા ગણાતી. અંતમાં એ રીતે એક ખોવાયેલાને માટે બધા રોવા લાગ્યા. એવામાં એક ચતુર મુસાફરે આવી તેઓને ફરીથી ગણવાનું કહ્યું. જ્યાં એકે ઊઠી નવ સુધી ગણ્યું ત્યાં મુસાફરે કહ્યું, તમે દશમા. આમ થતાં બધાં ખુશી થઈ ગયા, તત્ત્વમસિ એટલે તે તું, એવો ગુરુ પાસેથી ઉપદેશ સાંભળતાં અજ્ઞાન અને તેને લીધે થતું દુઃખ દૂર થાય છે એ બતાવવા વેદાંતીઓ આ ન્યાય વાપરે છે. (૬૨) દંડચક્ર ન્યાયઃ ઘડો બનાવવામાં દંડ, ચક્ર વગેરે અનેક કારણો છે, તેવી જ રીતે જ્યાં કોઈ વાત અનેક કારણોથી થતી હોય, ત્યાં આ ન્યાય અપાય છે. (૬૩) દંડાપૂપ ન્યાયઃ કોઈ દંડાથી બાંધેલ માલપૂઓ મૂકીને ક્યાંય ગયો. આવીને જુએ તો ઉંદર દંડાનો ઘણો ભાગ ખાઈ ગયો હતો. આથી તેણે વિચાર્યું કે, ઉંદર દંડા સુધી ખાઈ ગયેલ છે, તો તેને માલપૂઓ કાંઈ છોડ્યો હશે ? જ્યારે કોઈ દુષ્કર અને કષ્ટસાધ્ય કામ થઈ જાય, ત્યારે તેની સાથે સહેલાઈથી થતું કાર્ય અવશ્ય થઈ ગયું હશે એવું સૂચવવાને થતું કાર્ય અવશ્ય થઈ ગયું હશે એવું સૂચવવાને આ ન્યાય અપાય છે. (૬૪) દેહલીદીપક ન્યાયઃ બંને બાજુને એક સાથે અર્થ લાગુ પડે એવો દાખલો. ઉંબરામાં કે જાળીમાં દીવો મૂકતાં તેનું અજવાળું બંને તરફ પડે છે. જ્યાં એક જ આયોજનથી બે કામ સધાય અથવા એક શબ્દ કે વાત બંને બાજુ લાગુ પડતી હોય,ત્યાં આ ન્યાયનો ઉપયોગ થાય છે. (૬૫) નષ્ટાશ્વદગ્ધરથ ન્યાયઃ બે માણસ એકબીજાની ચીજનો ઉપયોગ કરી પોતાનો હેતુ સિદ્ધ કરે તે માટે અપાતો દાખલો. એક માણસ રથમાં બેસી વનમાં જતો હતો. વનમાં આગ લાગી અને તેનો ઘોડો મરી ગયો. તે બહુ જ વ્યાકુળ થઈને ભમતો હતો,તેવામાં એક બીજો માણસ મળ્યો, જેનો રથ બળી ગયો હતો પરંતુ ઘોડો બચી ગયો હતો. બંનેએ મળી કામ ચલાવી લીંધું. આમ જ્યાં બે માણસો મળી એકબીજાની ત્રુટીઓ પૂરી કરી કામ ચલાવે , ત્યાં આ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે. (૬૬) નારિકેલફલાંબુ ન્યાયઃ ખબર પડતી ન હોય તેવી બાબતનો દાખલો; નારિયેળ અને તેની અંદરના પાણીનો દાખલો. નારિયેળમાં જેમ કોણ જાણે ક્યાંથી અને કેવી રીતે પાણી આવી જાય છે, તેમ લક્ષ્મી કેવી રીતે આવે છે તેની ખબર પડતી નથી. (૬૭) નિમ્નગાપ્રવાહ ન્યાયઃ અટકાવી ન શકાય એવી બાબતનો દાખલો. નદીનો પ્રવાહ જે તરફ જતો હોય તે તરફ જતાં તેને રોકી શકાતો નથી, તેમ અનિવાર્ય પરિણામના દૃષ્ટાંતમાં આ ન્યાય અપાય છે. (૬૮) નૃપનાપિતપુત્ર ન્યાયઃ રાજા અને વાળંદના દીકરાનો દાખલો. કોઈ રાજાને ત્યાં એક વાળંદ નોકર હતો. એક દીવસ રાજાએ તેને કહ્યું કે, ગમે ત્યાંથી સૌથી સુંદર બાળક લાવી મને દેખાડ. વાળંદને પોતાનાછોકરા કરતાં કોઈ સુંદર ન લાગ્યો અને તે તેને લઈ રાજા પાસે આવ્યો. તે કાળા કાળા બાળકને જોઈ રાજા ખૂબ ગુસ્સે થયો, પરંતુ પછી તેણે વિચાર કર્યો કે, પ્રેમ અને અનુરાગને વશ થઈને તેને પોતાના બાળક જેવું બીજું કોઈ સુંદર લાગ્યું નહિ. રાગને વશ થઈ જ્યાં મનુષ્ય આંધળો થઈ જાય અને તેને સારાનરસાની પિછાન રહે નહિ,ત્યાં આ ન્યાયનો ઉપયોગ થાય છે. (૬૯) પકપ્રક્ષાલન ન્યાયઃ કાદવમાં પડી પગ ધોવા કરતાં કાદવમાં ન પડવું સારૂં, એમ બતાવનાર દૃષ્ટાંત. (૭૦) પંજરચાલન ન્યાયઃ પાંજરું અને પક્ષીનો દાખલો.દશ પક્ષી કોઈ પાંજરામાં પૂરવામાં આવે અને બધા એકીસાથે યત્ન કરે તો પાંજરાને આમતેમ ચલાવી શકે, તેમ દશ જ્ઞાનેંદ્રિયો અને દશ કમેંન્દ્રિયો દેહને ચલાવે છે.સાંખ્યવાળા આ ન્યાય વાપરે છે. (૭૧) પાષાણેષ્ટક ન્યાયઃ પથ્થર અને ઈંટનો દાખલો. ઈંટ ભારે હોય છે, પણ તેનાં કરતાં ભારે પથ્થર હોય છે. (૭૨) પિષ્ટપેષણ ન્યાયઃ નિરથર્ક મહેનતે કરવાનો દાખલો. દળેલાને દળવું નિરર્થક છે, તેમ કરેલું કામ જે કોઈ નકામું ફરી ફરી કર્યા કરે તેને માટે આ ન્યાય વપરાય છે. (૭૩) પ્રદીપ ન્યાયઃ અમુક વસ્તુના યોગથી ભિન્ન ગુણવાળી વસ્તુ પ્રાપ્ત થવાનો દાખલો.જેવી રીતે તેલ, બત્તી અને આગ એ જુદી જુદી વસ્તુઓ મળી દીવો બળે છે, તેવી રીતે સત્ત્વ, રજસ અને તમસ એ પરસ્પર ભિન્ન ગુણોના સહયોગથી દેહધારણની પ્રવૃત્તિ થાય છે. સાંખ્યવાળા આમ માને છે. (૭૪) પ્રાપાણાક ન્યાયઃ એક જાતનો ન્યાય. જેવી રીતે ઘી, સાકર વગેરે કેટલી યે વસ્તુઓ મળી મીઠાઈ બને છે તેમ અનેક કારણોના યોગથી સુંદર વસ્તુ તૈયાર થવાના દૃષ્ટાંતમાં આ ઉક્તિ કહેવામાં આવે છે. સાહિત્યકારો વિભાવ, અનુભાવ વગેરે મારફત રસમો પરિપાક સૂચિત કરવા માટે આનો પ્રયોગ ઘણું કરીંને કરે છે. (૭૫) પ્રાસાદવાદી ન્યાયઃ મહેલમાં રહેવાવળા કામકાજને માટે નીચે ઊતરી બહાર અહીંતહીં જતા હોય, તોપણ તેઓ પ્રાસાદવાસી કહેવાય છે. એ રીતે જ્યાં જે વિષયની પ્રધાનતા હોય ત્યાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. (૭૬) ફલવત્સહકાર ન્યાયઃ અનાયાસે મળી જતા લાભનો દાખલો. આંબાના વૃક્ષ નીચે મુસાફર છાયાને માટે જાય, પણ તેને ફળ પણ મળી જાય. એ પ્રકારે જ્યાં એક લાભ થવા ઉપરાંત બીજો પણ લાભ મળી જાય ત્યાં આ દૃષ્ટાંત અપાય છે. (૭૭) બહુવૃકાકૃષ્ટ ન્યાયઃ હરણ અને વરુનો દાખલો. એક હરણને જો ઘણાં વરુ વળગે તો તેનાં અંગ એકે ય સાજાં ન રહે, તેમ જ્યાં કોઈ વસ્તુને માટે લોકો ખેંચાખેંચી કરે, ત્યાં તે વસ્તુ યથાસ્થાને કે સારી રહેતી નથી. (૭૮) બિલવતિગોધા ન્યાયઃ દર માંહેની ઘોનો દાખલો. જે પ્રકારે દરમાં રહેલી ઘોના ટુકડા વગેરે નથી થઈ શકતા, તેમ જે વસ્તુ અજ્ઞાત હોય તેને વિષે સારૂંનરસું કંઈ કહી શકાતું નથી. (૭૯) બીજાકુંર ન્યાયઃ પરસ્પર સંબંધવાળા બીજથી અંકુર અને અંકુરથી બીજ થાય છે તેનું દૃષ્ટાંત. બીજ વિના અંકુર કે અંકુર વિના બીજ થઈ જ શકતું નથી. બીજ ને અંકુરનો પ્રવાહ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. બે સંબદ્ધ વસ્તુઓના નિત્ય પ્રવાહ માટે વેદાંતીઓ આ ન્યાય કહે છે. (૮૦) બ્રાહ્મણગ્રામ ન્યાયઃ પ્રધાનતા પ્રમાણે ન્યાય આપવાનો દાખલો. જે ગામમાં બ્રાહ્મણોની વસતી અધિક હોય, તેને બ્રાહ્મણગ્રામ કહેવામાં આવે છે. જો કે બીજા કેટલાક લોકો પણ ત્યાં વસતા હોય છે. બીજું બધું છોડી પ્રદાન વસ્તુનું જ નામ લેવામાં આવે છે, એ જ સૂચિત કરવા માટે આ કહેવત છે. (૮૧) બ્રાહ્મણશ્રમણ ન્યાયઃ પૂર્વવૃત્તિ પ્રમાણે ઓળખવવાનો દાખલો. બ્રાહ્મણ જ્યારે પોતાનો ધર્મ છોડી બૌદ્ધભિક્ષુક બની જાય, તો પણ તેને બ્રાહ્મણશ્રમણ કહેવામાં આવે છે. એક વૃત્તિ છોડીને કોઈ બીજી વૃત્તિ ગ્રહણ કરે છે તો પણ લોકો તેની પૂર્વપ્રવૃત્તિનો નિર્દેશ કરે છે. (૮૨) મજ્જનોન્મજ્જન ન્યાયઃ તરવું ન જાણનાર માણસ જેવી રીતે પાણીમાં પડી ડૂબકીઓ માર્યા કરે, તેમ મૂર્ખ કે દુષ્ટ વાદી, પ્રમાણ વગેરે ઠીક ન આપી શકવાના કારણે ક્ષુબ્ધ કે વ્યાકુળ બની જાય એ બાબાતનું દૃષ્ટાંત.(૮૩) મંડૂકતોલન ન્યાયઃ લુચ્ચાઈ અંતે પકડાઈ જવાનો દાખલો એક લુચ્ચો વાણિયો ત્રાજવાની સાથે દેડકું રાખી તોલ કરતો. એક દિવસ દેડકો કૂદીને ભાગ્યો અને પકડાઈ ગયો. છૂપી રાખેલી બૂરાઈનો ઘડો એક દિવસ તો ફૂટી જ જાય છે. (૮૪) રજ્જુસર્પ ન્યાયઃ ખરું જ્ઞાન થતાં ભર્મ દૂર થવાનો દાખલો. જ્યાંસુધી નજર બરાબર પડતી નથી , ત્યાંસુધી મનુષ્ય દોરડાને સર્પ માને છે, તેમ જ્યાસુધી બ્રહ્મજ્ઞાન નથી થતું, ત્યાંસુધી મનુષ્ય દ્રશ્ય જગતને સત્ય સમજે છે. પછી બ્રહ્મજ્ઞાન થઈ જતાં તેનો ભ્રમ દુર થઈ જાય છે અને તે સમજે છે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. આમ વેદાંતીઓ માને છે. (૮૫) રાજપુત્રવ્યાધ ન્યાયઃ રાજકુંવર અને શિકારીનો દાખલો. કોઈ એક રાજપુત્ર બચપણમાં એક શિકારીના હાથમાં આવી પડ્યો અને ત્યાં જ ઊછરવાથી પોતાને વ્યાઘપુત્ર સમજવા લાગ્યો. પછી જ્યારે લોકોએ તેને તેનું કુળ બતાવ્યું, ત્યારે તેને બરાબર ખબર પડી. એ રીતે જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન થતું નથી, ત્યાંસુધી મનુષ્ય પોતાનું ખરું સ્વરૂપ સમજતો નથી, પણ બ્રહ્મજ્ઞાન થઈ જતાં સમજે છે કે હું બ્રહ્મ છું. આમ વેદાંતીઓ માને છે. (૮૬) રાજપુરપ્રવેશ ન્યાયઃ સારી વ્યવસ્થાસૂચક દૃષ્ટાંત. રાજાના દ્વાર ઉપર ઘણા લોકોની ભીડ રહે, પરંતુ બધા લોકો ગડબડ કર્યા વગર ચુપચાપ ઊભા રહે, તેમ જ્યાં સુવ્યવસ્થાપૂર્વક કાર્ય હોય છે ત્યાં આ ન્યાય કહેવામાં આવે છે. (૮૭) રાત્રિદિવસ ન્યાયઃ રાતદિવસનો તફાવત એટલે મોટો તફાવત બતાવનારો દાખલો. (૮૮) લૂતાતંતુ ન્યાયઃ કરોળિયા અને તેની જાળનો દાખલો. જેવી રીતે કરોળિયો પોતાના શરીરમાંથી તંતુ કાઢી જાળ બનાવે છે અને વળી પોતે જ તેનો નાશ કરે છે, તેમ બ્રહ્મ પોતાનાથી જ સૃષ્ટિ કરે છે અને પોતપોતાનામાં તેનો લય કરે છે. (૮૯) લોહચુંબક ન્યાયઃ આકર્ષણનું મહત્ત્વ બતાવનાર દૃષ્ટાંત. લોઢું ગતિહીન અને નિષ્ક્રિય હોવા છતાં પણ ચુંબકના આકર્ષણથી તેની પાસે જાય છે. એ રીતે પુરુષ નિષ્ક્રિય હોવા છતાં પણ પ્રકૃતિના સાહચર્યથી ક્રિયામાં તત્પર રહે છે, એમ સાંખ્યવાદીઓ માને છે. (૯૦) લોષ્ટ્રલગુડ ન્યાયઃ ઢેફું અને ધોકાનો દાખલો. ઢેફું તોડવા માટે જેમ ધોકો હોય છે તેમ જ્યાં એકનું દમન કરવાવાળો બીજો હોય ત્યાં આ કહેવત કહેવામાં આવે છે. (૯૧) વરગોષ્ઠી ન્યાયઃ જેવી રીતે વરપક્ષ અને કન્યાપક્ષના લોકો મળી વિવાહરૂપી એક એવા કાર્યનું સાધન કરે છે, જેથી બંનેની ઇષ્ટસિદ્ધિ થાય છે, તેમ જ્યાં કેટલાક લોકો મળી બધાના હિતનું કોઈ કામ કરે ત્યાં આ ન્યાય કહેવાય છે. (૯૨)વહ્નિધૂમ્ર ન્યાયઃ અગ્નિ અને ધુમાડાનો દાખલો. ધુમાડારૂપ કાર્ય દેખી જેમ કારણરૂપ અગ્નિનું જ્ઞાન થાય છે, એ રીતે કાર્ય દ્વારા કારણના અનુમાન માટે આ ઉક્તિ છે એમ નૈયાયિકોનો મત છે. (૯૩) વિલ્વખલ્વાટ ન્યાયઃ આપત્તિ આવે ત્યારે ઉપરાઉપરી આવતી હોવાનો દાખલો. તડકાથી વ્યાકુળ બનેલ એક ટાલિયો છાંયાને માટે એક બીલીના ઝાડ નીચે ગયો. ત્યાં તેના મસ્તક ઉપર એક બીલું તૂટી પડ્યું. જ્યાં ઇષ્ટ સાધનના પ્રયત્નમાં અનિષ્ટ થાય છે ત્યાં આ ઉક્તિ કહેવામાં આવે છે. (૯૪) વિષકૃમિ ન્યાયઃ ઝેરમાં ઊછરેલો કીડો ઝેરમાં રહે તેનો દાખલો (૯૫) વિષવૃક્ષ ન્યાયઃ વિષનું વૃક્ષ ઉગાડીને કોઈ તેને પોતાના હાથથી કાપતું નથી. પોતે પાળેલ પોષેલ વસ્તુનો કોઈ પોતાના હાથથી નાશ કરતું નથી, એ બતાવવા આ ન્યાય અપાય છે. (૯૬) વીચિતરંગ ન્યાયઃ પાણીનાં મોજાંની પરંપરાનો દાખલો. એક ઉપરાંત બીજી એ ક્રમથી બરાબર આવનારી મોજાંની હારમાળાની જેમ નૈયાયિકો કકરાદિ વણોની ઉત્પત્તિ વીચિતરંગ ન્યાયથી માને છે. (૯૭) વૃક્ષપ્રકંપન ન્યાયઃ બધાને અનુકૂળ બની જતી કોઈ એક બાબતનો દાખલો. એક આદમી વૃક્ષ ઉપર ચડ્યો. નીચેથી એકે કહ્યું કે, આ ડાળ હલાવ. બીજાએ કહ્યું કે, આ ડાળ હલાવ. વૃક્ષ ઉપર ચડેલો માણસ નક્કી ન કરી શક્યો કે કઈ ડાળ હલાવવી. એવામાં એક આદમીએ ઝાડનું થડ જ પકડી હલાવી નાખ્યું. જેથી બધી ડાળીઓ હલી ગઈ. (૯૮) વૃદ્ધકુમારિકા ન્યાય- વૃદ્ધકુમારીવાક્ય ન્યાયઃ થોડા શબ્દે ઘણી માગણી કરવાનો દાખલો. કોઈ કુમારી તપ કરતાં કરતાં ઘરડી થઈ ગઈ. ઇંદ્રે તેને એક વરદાન માગવાનું કહ્યું. તેણે વરદાન માગ્યું કે, મારા પુત્રો સોનાનાં વાસણોમાં ખૂબ ઘી, દૂધ અને અન્ન ખાય. આ પ્રમાણે એક જ વાક્યમાં પતિ, પુત્ર, ગાય, ધન, ધાન્ય વગેરે બધું માગી લીધું જ્યાં એકની પ્રાપ્તિથી બધું પ્રાપ્ત થઈ જાય ત્યાં આ ન્યાય કહેવાય છે. (૯૯) શતપત્રભેદ ન્યાયઃ વખતની સૂક્ષ્મતા બતાવવાનો દાખલો. સો પાંદડાં એકીસાથે રાખી છેદન કરવાથી માલૂમ પડે છે કે, બધાં એકસાથે એક સમયમાં છેદાઈ ગયાં, પણ વાસ્તવમાં દરેક પાંદડું જુદા જુદા સમયમાં છેદાયેલું હોય છે. કાળના અંતરની સૂક્ષ્મતાને કારણે તેની ખબર પડતી નથી. એ રીતે જ્યાં ઘણાં કાર્યોં જુદા જુદા સમયમાં થયાં હોવા છતાં એક જ સમયમાં થયેલાં લાગે, ત્યાં આ દૃષ્ટાંત કહેવામાં આવે છે. સાંખ્યવાદીઓનું આ દૃષ્ટાંત છે. (૧૦૦) શાખાચંદ્ર ન્યાયઃ ઝાડની ડાળ અને ચંદ્રનો દાખલો; ડાળ ઉપર ચંદ્ર બતાવવો તે. (૧૦૧) શ્યામરક્ત ન્યાયઃ કાચો કાળો ઘડો પાકતાં પોતાનો કાળો રંગ છોડી લાલ રંગ ધારણ કરે છે તેનો દાખલો. એ રીતે પૂર્વના ગુણનો નાશ અને બીજા ગુણ ધારણ કરવાનું સૂચિત કરવા માટે આ ઉક્તિ કહેવામાં આવે છે. (૧૦૨) શ્યાલકસુનક ન્યાયઃ કહેવું એકને અને સંભળાવવું બીજાને એ બાબતનો દાખલો. કોઈએ એક કૂતરો પાળ્યો હતો અને તેનું નામ પોતાના સાળાના નામ પ્રમાણે રાખ્યું હતું. જ્યારે તે કૂતરાનું નામ લઈ ગાળો ભાંડતો ત્યારે તેની સ્ત્રી પોતાની ભાઈનું અપમાન સમજી બહુ ચિડાતી. જેને ઉદ્દેશી કોઈ વાત કહેવામાં ન આવતી હોય છતાં તેને લાગુ પડતી હોય તેને માટે આ ઉક્તિ કહેવાય છે. (૧૦૩) સમુદ્રવૃષ્ટિ ન્યાયઃ બિનજરૂરિયાત બતાવવાનો દાખલો. સમુદ્રમાં પાણી વરસવાથી કંઈ વળતું નથી, બલ્કે નિરર્થક છે, તેમ જ્યાં કોઈ વાતની આવશ્યકતા કે ફળ ન હોય ત્યાં તે વાત થવી તદૃન બિનજરૂરી છે, એવી અર્થમાં આ પ્રયોગ થાય છે. (૧૦૪) સર્વાપેક્ષા ન્યાયઃ ઘણા લોકોને જ્યાં નિમંત્રણ હોય ત્યાં જો કોઈ સહુથી પહેલો જાય તો તેને બધાની રાહ જોતું બેસી રહેવું પડે છે. એ રીતે જ્યાં કોઈ કામને માટે બધાનો આશ્રય લેવો પડે છે, ત્યાં આ ઉક્તિનો પ્રયોગ થાય છે. (૧૦૫) સંદંશપતિત ન્યાયઃ સાણસી જેમ પોતાની વચમાં રહેતી વસ્તુને પકડે છે, એ રીતે જ્યાં પૂર્વ અને ઉત્તર પદાર્થ દ્વારા મધ્યસ્થિત પદાર્થનું ગ્રહણ કરાય છે ત્યાં આ ન્યાયનો વ્યવહાર થાય છે. (૧૦૬) સિંહાવલોકન ન્યાયઃ આગળ વધતા પહેલાં પાછળનું ફરી જોઈ લેવાનો દાખલો. સિંહ શિકારને મારી જ્યારે આગળ વધે છે ત્યારે પાછો ફરી ફરીને વાંકી નજરે જોતો જાય છે. આમ જ્યાં આગલી અને પાછલી બધી વાતોની એકીસાથે આલોચના થાય છે ત્યાં આ ઉક્તિનો વ્યવહાર થાય છે. (૧૦૭) સુંદોપસુંદ ન્યાયઃ લડવાથી અનિષ્ટ પરિણામ નીપજવાનો દાખલો. સુંદ અને ઉપસુંદ બે ભાઈ બળવાન દૈત્યો હતાં. તે બંને એક સ્ત્રી ઉપર મોહિત થયા. સ્ત્રીએ કહ્યું કે, બંનેમાં જે વધારે બળવાન હશે તેની સાથે હું વિવાહ કરીશ. પરિણામ એ આવ્યું કે, બંને લડી મર્યા. પરસ્પરની ફૂટથી બળવાનથી બળવાન મનુષ્ય નાશ પામે છે, એ સૂચિત કરવા માટે આ ન્યાય વપરાય છે. (૧૦૮) સૂચીકટાહ ન્યાયઃ સહેલું કામ પ્રથમ અને કઠણ કામ પછી કરવાનો દાખલો. કોઈ એક લુહારને એક માણસ કડાઈ બનાવવાની વરધી આપી ગયો. થોડીવાર પછી એક બીજો માણસ સોઈ બનાવવાનું કહી ગયો. લુહારે પહેલાં સોય બનાવી, પછી કડાઈ બનાવી. સહજ કામ પહેલાં કરવું અને પછી કઠિન કામને હાથ લગાડવો એવી જાતના દૃષ્ટાંત માટે આ ન્યાય કહેવાય છે. (૧૦૯) સોપાનારોહણ ન્યાયઃ ક્રમે ક્રમે આગળ વધવાનો દાખલો.જેમ મહેલ ઉપર જવા માટે એક એક પગથિયું ક્રમથી ચડવું પડે છે, એ રીતે મોટું કામ કરવામાં ધીમે ધીમે આગળ વધવું પડે છે. (૧૧૦) સોપાનાવરોહણ ન્યાયઃ ક્રમે ક્રમે ઊતરવાનો દાખલો. પગથિયાં જે ક્રમથી ચડવામાં આવે છે, એનાથી ઊલટે ક્રમે ઊતરાય છે. એ રીતે જ્યાં ક્રમથી ચડી એનાથી ઊલટા ક્રમે ચાલવું પડે છે ત્યાં આ ન્યાય વપરાય છે. (૧૧૧) સ્થવિરલગુડ ન્યાયઃ ધાર્યું કામ પાર નહિ પડવાનો દાખલો.બુઢ્ઢાના હાથથી ફેંકાયેલી લાકડી જેમ ધારેલે નિશાને નથી પડતી, તેમ કોઈ વાતના લક્ષ્ય તરફ ન પહોંચી શકવા માટે આ ઉક્તિ કહેવાય છે. (૧૧૨)સ્થૂણાનિખનન ન્યાયઃ જે રીતે ઘરના છાપરાને ટેકો દેવા માટે થાંભલીને ધૂળ વગેરે નાખી મજબૂત કરવી પડે છે, એવી રીતે યુક્તિ અને ઉદાહરણો આપી પોતાનો પક્ષ દૃઢ કરવામાં આવે ત્યારે આ ન્યાય લાગુ પડે છે. (૧૧૩) સ્થૂલારુંધતી ન્યાયઃ મોટી વાત ઉપરથી સૂક્ષ્મ વાત ઉપર આવવાનો દાખલો. વિવાહ થઈ રહ્યા પછી વર અને કન્યાને અરુંધતીનો તારો દેખાડવામાં આવે છે. આ તારો દૂર હોવાથી ઘણો સૂક્ષ્મ છે અને જલદી નજરે પડતો નથી. પહેલાં સપ્તર્ષિ નજરે પડતાં અરુંધતી જલદી નજરે પડે છે. એ રીતે કોઈ સૂક્ષ્મ ત્તત્વનું પરિજ્ઞાન કરાવવા માટે પહેલાં સ્થૂળ દૃષ્ટાંત વગેરે આપીને તે તત્ત્વ સુધી લઈ જવામાં આવે છે. (૧૧૪) સ્વામિભૃત્ય ન્યાયઃ શેઠ અને નોકરનો દાખલો. જેવી રીતે માલિકનું કામ કરીને નોકર પણ સ્વામીની પ્રસન્નતાથી પોતાને કૃતકૃત્ય સમજે છે, એ રીતે બીજા કામ થઈ જવાથી પોતાનું પણ કામ અને પ્રસન્નતા થાય ત્યારે આ દ્રષ્ટાંત અપાય છે.
|