9 |
|
पुं. |
હિંદની પશ્ર્ચિમે સિંધુ નદી અને અફઘાનિસ્તાનથી આગળ આવેલો એ નામે એક દેશ; હાલનો ઈરાન દેશ; પ્રાચીન કાંબોજ અને વાહ્લીકની પશ્ર્ચિમનો દેશ. તેનો પ્રતાપ પ્રાચીન કાળમાં બહુ દૂર દૂર સુધી વિસ્તૃત હતો. સભ્યતા અને શિષ્ટાચારને માટે તે પ્રસિદ્ધ ચાલ્યો આવે છે. અત્યંત પ્રાચીન કાળથી પારસ દેશ આર્યોની એક શાખાનું વાસસ્થાન હતું. તેનો ભારતમાં આર્યો સાથે ઘાટો સંબંધ હતો. અતિ પ્રાચીન વૈદિક યુગમાં તો પારસથી લઈ ગંગા સરયૂના કિનારા સુધીની બધી ભૂમિ આર્યભૂમિ હતી, જે અનેક દેશોમાં વહેંચાયેલી હતી. આ દેશોમાં કેટલાક દેશની સાથે આર્ય શબ્દ લાગેલો હતો. જે પ્રમાણે અહીં આર્યાવર્ત એક પ્રદેશ હતો, તેમ પ્રાચીન પારસમાં પણ હાલના અફઘાનિસ્તાનથી શરૂ થતો પૂર્વીય પ્રદેશ અરિયાન અથવા ઐર્યાન એટલે યૂનાની એરિયાના કહેવાતો હતો, જેમાંથી ઈરાન શબ્દ બન્યો. ઈરાન શબ્દ આર્યાવાસના અર્થમાં આખા દેશને માટે વપરાતો હતો. શાશાનવંશી સમ્રાટોએ પણ પોતાને ઈરાનના શહેનશાહ કહેલ છે. પદાધિકારીઓનાં નામની સાથે પણ ઈરાન શબ્દ મળે છે. જેમકે, ઈરાનસ્પાહત એટલે ઈરાનનો સેનાપતિ, ઈરાનઅંબારકપત એટલે ઈરાનનો ભંડારી. પ્રાચીન પારસીઓ પોતાનાં નામ સાથે આર્ય શબ્દ ઘણા ગૌરવથી લગાડતા હતા. પ્રાચીન સમ્રાટ દારયવહુ અથવા દારાએ પોતાને અરિયપુત્ર લખેલ છે. સરદારોનાં નામોમાં પણ આર્ય શબ્દ મળે છે. જેમકે, અરિયશમ્ન, અરિયોવર્જનિસ. પ્રાચીન પારસ કે જે ઘણા પ્રદેશોમાં બંટાયો હતો, તેમાં પારસની ખાડીના પૂર્વ તટ ઉપર આવેલ પાર્સ અથવા પારસ્ય પ્રદેશ પણ હતો, જેના નામ ઉપરથી પછી આખા યે દેશનું નામ પડ્યું. તેની પ્રાચીન રાજધાની પારસ્યપુર અથવા યૂનાની પર્સિપોલિસ હતી. જ્યાં પાછળથી ઇશ્તખ્ર વસાવવામાં આવ્યું. વૈદિક કાળમાં પારસ નામ પ્રસિદ્ધ થયું ન હતું. આ નામ પારસ્ય પ્રદેશના હખામનીય વંશના સમ્રાટોના સમયથી આખા યે દેશ માટે વ્યવહારમાં આવ્યું. આ કારણથી વેદ અને રામાયણમાં આ શબ્દનો પત્તો લાગતો નથી, પરંતુ મહાભારત, રઘુવંશ, કથાસરિત્સાગર વગેરેમાં પારસ્ય અને પારસીકનો ઉલ્લેખ બરાબર મળે છે. અત્યંત પ્રાચીન યુગના પારસીઓ અને વૈદિક આર્યોમાં ઉપાસના, કર્મકાંડ વગેરેમાં ભેદ ન હતો. તેઓ અગ્નિ, સૂર્ય, વાયુ વગેરેની ઉપાસના તથા અગ્નિહોત્ર કરતા હતા. મિશ્ર એટલે મિત્ર કે સૂર્ય, વયુ એટલે વાયુ, હોમ એટલે સોમ, અરમઇતિ એટલે અમતિ, અહમન્ એટલે અર્યમન્ નઇર્યસંહ એટલે નરાશંસ વગેરે તેઓના પણ દેવ હતા. તેઓ પણ મોટા મોટા યશ્ન એટલે યજ્ઞ કરતા, સોમપાન કરતા અને અથ્રવન એટલે અથર્વન્ નામનો યાજક કાષ્ઠથી કાષ્ઠ ઘસીને અગ્નિ ઉત્પન્ન કરતા હતા. તેઓની ભાષા પણ એક મૂળ આર્ય ભાષાથી ઉત્પન્ન થઈ હતી, જેમાંથી વૈદિક અને લૌકિક સંસ્કૃત નીકળી છે. પ્રાચીન પારસી અને વૈદિક સંસ્કૃતમાં કોઈ વિશેષ ભેદ નથી જણાતો. અવસ્તામાં ભારતના પ્રદેશો તથા નદીઓનાં નામ પણ છે. જેમકે, હફતહિંદુ એટલે સપ્તસિંધું કે પંજાબ, હરખ્વેતી એટલે સરસ્વતી, હરયૂ એટલે સરયૂ. વેદોથી જણાય છે કે, કેટલાક દેવતાઓને અસુર સંજ્ઞા પણ આપવામાં આવતી હતી. વરુણને માટે આ સંજ્ઞાનો પ્રયોગ ઘણી વાર થયો છે. સાયણાચાર્યે ભાષ્યમાં અસુર શબ્દનો અર્થ કરેલ છે સર્વનો પ્રાણદાતા. ઇંદ્રને માટે પણ આ સંજ્ઞાનો પ્રયોગ બેક ઠેકાણે મળે છે, પરંતુ એ પણ લખેલ મળે છે કે, આ પદ પ્રદાન કરેલ છે. તેથી જણાય છે કે, આ એક વિશિષ્ટ સંજ્ઞા થઈ ગઈ હતી. વેદોમાં વરુણ ધીમે ધીમે પછાત પડતો ગયો અને ઇંદ્રને પ્રધાનતા મળતી ગઈ. સાથે સાથે અસુર શબ્દ ઓછો થતો ગયો.. પાછળથી અસુર શબ્દ રાક્ષસ, દૈત્યના અર્થમાં જ મળે છે. આથી જણાય છે કે, દેવોપાસક અને અસુરોપાસક એવા બે પક્ષ આર્યોમાં થઈ ગયા હતા. પારસ તરફ જરથુસ્ત્ર જેને માટે આધુનિક ફારસીમાં જરતુશ્ત શબ્દ છે, તે નામનો એક ઋષિ અથવા ઋત્વિક્ એટલે જોતા અથવા સંસ્કૃત હોતા થયો, જે અસુરોપાસકના પક્ષનો હતો.તેણે પોતાની શાખા અલગ કરી લીધી અને જંદ અવસ્તાને નામે તેને ચલાવી. આ પ્રમાણે જંદ અવસ્તા પારસીઓનો ધર્મગ્રંથ થયો. તેમાં દેવ શબ્દ દૈત્યના અર્થમાં આવ્યો છે. ઇંદ્ર અથવા વૃત્રહન્ જેને માટે જંદમાં વેરેથ્રઘ્ર શબ્દ છે, તેને દૈત્યોનેરાજા કહેલો છે. શઓર્વ એટલે શર્વ અને નાહંઈત્ય એટલે નાસત્યને પણ દૈત્ય કહેલ છે. અંઘ્ર એટલે અંગિરસ્ નામે અગ્નિયાજકોની પ્રશંસા અને સોમપાની નિંદા કરેલી છે. ઉપાસ્ય અહુરમજ્દ એટલે સર્વજ્ઞ અસુર છે, જે ધર્મ અને સત્યસ્વરૂપ છે. અહમન એટલે અર્યમન્ અધર્મ અને પાપના અધિષ્ઠાતા છે. આ પ્રકારે જરથુસ્ત્રે ધર્મ અને અધર્મ બે દ્વંદ્વ શક્તિઓની સૂક્ષ્મ કલ્પના કરી અને શુદ્ધાચારનો ઉપદેશ દીધો. જરથુસ્ત્રના પ્રભાવથી પારસમાં કેટલાક કાળને માટે એક અહુર્મજ્દની ઉપાસના સ્થાપિત થઈ અને ઘણા દેવતાઓની ઉપાસના તથા કર્મકાંડ ઓછાં થયાં. પરંતુ જનતાનો સંતોષ આ સૂક્ષ્મ વિચારવાળા ધર્મથી પૂરેપૂરો થયો નહિ.શાશાનોના સમયમાં જ્યારે મગયાજકો અને પુરોહિતોનો પ્રભાવ વધ્યો, ત્યારે સ્થૂલ દેવતાઓની ઉપાસના ફરીને જેમની તેમ ચાલુ થઈ અને કર્મકાંડની જટિલતા ફરી તેવી જ થઈ ગઈ. આ પાછલી પદ્ધતી પણ જંદ અવસ્તામાં જ મળી ગઈ. જંદ અવસ્તામાં પણ વેદની સમાન ગાથા એટલે ગાથ અને મંત્ર એટલે મંથ્ર છે. તેના કેટલાક વિભાગ છે, જેમાં ગાથ બધાથી પ્રાચીન અને જરથુસ્ત્રના મુખમાંથી નીકળેલ માનવામાં આવે છે. એક ભાગનું નામ યશ્ન છે, જે વૈદિક યજ્ઞ શબ્દનું રૂપાંતર માત્ર છે. વિસ્પર્દ, યશ્ત અથવા વૈદિક ઈષ્ટિ, બંદિદાદ્દ આદિ તેના બીજા વિભાગ છે. બંદિદાદ્દમાં જરથુસ્ત્ર અને અહુરમજદનો ધર્મ સંબંધમાં સંવાદ છે. અવસ્તાની ભાષા, વિશેષત: ગાથની ભાષા, પઢવામાં એક પ્રકારની અપભ્રંશ વૈદિક સંસ્કૃતના જેવી પ્રતીત થાય છે. કેટલાક મંત્રો તો વેદમંત્રો સાથે બિલકુલ મળે છે. ડોકટર હાગે આ સમાનતા ઉદાહરણોથી બતાવી છે અને ડોકટર મિલ્સે કેટલીક ગાથાઓનું વૈદિક સંસ્કૃતમાં જેમનું તેમ રૂપાંતર કરેલ છે. જરથુસ્ત્ર ઋષિ ક્યારે થયા તેનો નિશ્ર્ચય થઈ શકયો નથી, પરંતુ તે અત્યંત પ્રાચીન કાળમાં થયા છે, તેમાં સંદેહ નથી. શાશાનોના સમયમાં અવસ્તા ઉપર ભાષ્યસ્વરૂપ જે અનેક ગ્રંથ બન્યા, તેમાંથી એકમાં હિંદી વ્યાસનું પારસમાં જવું લખેલ છે. સંભવ છે કે, વેદવ્યાસ અને જરથુસ્ત્ર સમકાલીન હોય.
|