2 |
|
न. |
અષ્ટવિધ મૈથુનનો પરિત્યાગ. સ્ત્રીનું સ્મરણ, તેના ગુણનું કથન, તેની સાથે બાજી વગેરે રમવું, સાભિલાષ દૃષ્ટિથી તેના ભણી જોવું, એકાંતમાં ગુપ્ત વાર્તાલાપ કરવો, સ્ત્રીનો સંકલ્પ કરવો, સ્ત્રીના વિચાર કરવા અને સ્ત્રી સાથે સંભોગ કરવો, એ આઠ પ્રકારનું મૈથુન છે. આ આઠે પ્રકારો ન કરવા તેને આઠ પ્રકારનું બ્રહ્મચર્ય કહે છે.
|
3 |
|
न. |
ઇંદ્રિયદમન; ઇંદ્રિયનિગ્રહ; સ્ત્રીસંગથી દૂર રહેવું તે. એ સંબંધે ગાંધીજી લખે છે કેઃ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન. બ્રહ્મચારીનો ખોરાક વનપક ફળ છે. તેને દૂધનો આહાર વિઘ્નકર્તા છે. બાહ્ય ઉપચારોમાં જેમ ખોરાકની જાતની અને પ્રમાણની મર્યાદા આવશ્યક છે, તેમ જ ઉપવાસનું સમજવું. શારીરિક અંકુશથી બ્રહ્મચર્યનો આરંભ થાય છે. શુદ્ધ બ્રહ્મચર્યમાં તો વિચારની મલિનતા પણ ન હોવી જોઈએ. સંપૂર્ણ બ્રહ્મચારીના સ્વપ્નમાં પણ વિકારી વિચાર ન હોય. જ્યાંસુધી વિકારી સ્વપ્નાં સંભવે, ત્યાંસુધી બ્રહ્મચર્ય અપૂર્ણ છે એમ માનવું. જંગલી દશામાં ભાઈબહેનનાં લગ્ન, પછી પરગોત્રમાં લગ્ન, પછી એક જ સ્ત્રી સાથે લગ્ન, પછી વ્યભિચારનો પ્રતિબંધ અને સૌથી છેવટે આમરણાંત બ્રહ્મચર્ય, એમ વિકાસક્રમની દલીલ બતાવીને બ્રહ્મચર્યની ભાવના સિદ્ધ કરવામાં આવી. બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે, એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંતર્જ્ઞાનથી થાય. એ અંતર્જ્ઞાન ઇંદ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે. તેથી સર્વ ઇંદ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વ ક્ષેત્રે, સર્વ કાળે સંયમ તે બ્રહ્મચર્ય. આપણે બ્રહ્મચર્યની વ્યાખ્યાને કેવળ સ્થૂલ સ્વરૂપ આપીને જેઓ પ્રતિક્ષણ ગુસ્સો કરતા આવ્યા છે તેમને દોષિત ગણવા છોડી દીધા છે. સ્થૂલ બ્રહ્મચર્યનું પાલન જેમ શરીરસુખને સારૂ આવશ્યક છે, તેમ જ આધ્યાત્મિક બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે. શાંતિ એ પણ એક સૂક્ષ્મ વીર્ય છે. તેનો સંચય કરનાર પ્રૌઢ બ્રહ્મચારી બને છે ને તેથી તેજસ્વી બને છે. બ્રહ્મચર્યના ચાર ભેદ છેઃ સાવિત્ર બ્રહ્મચર્ય, પ્રાજાપત્ય બ્રહ્મચર્ય, બ્રાહ્મ બ્રહ્મચર્ય અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય. જનોઈ લઈને ગાયત્રીનો ઉપદેશ ગ્રહણ કરતાં જે ત્રણ દિવસ બ્રહ્મચર્ય પળાય છે તેને સાવિત્ર બ્રહ્મચર્ય કહે છે. કોઈ પણ વ્રતનું પાલન કરતાં એક વર્ષ સુધીનું જે બ્રહ્મચર્ય પાળવામાં આવે છે, તેને પ્રાજાપત્ય બ્રહ્મચર્ય કહે છે. વેદાભ્યાસ સુધી જે બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, તેને બ્રાહ્મ બ્રહ્મચર્ય કહે છે અને જન્મથી આરંભીને છેક જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળવું તેને નૈષ્ઠિક બ્રહ્મચર્ય કહે છે.
|
4 |
|
न. |
એકાદશ માંહેનું એ નામનું એક વ્રત. આ સંબંધમાં ગાંધીજી લખે છે કેઃ બ્રહ્મચર્ય વિના આત્માનો સંપૂર્ણ વિકાસ અસંભવિત છે. બ્રહ્મચર્ય વિના મનુષ્ય લગામ વિનાના હૃષ્ટપુષ્ટ પણ જંગલી ઘોડાની જેમ ભલે વર્તે, પણ સભ્ય નહિ બને. બ્રહ્મચર્ય વિના સાત્ત્વિક સતત ઉદ્યોગ અને સાત્ત્વિક પરાક્રમ અસંભવિત છે. બ્રહ્મચર્ય વિના મન ભલે બળવાન જેવું લાગતું હોય, પણ તે હજારો પ્રકારના વિકારો ને પ્રલોભનોનું ગુલામ થઈને વર્તશે અને બ્રહ્મચર્ય વિનાનું ઘડાયેલું શરીર ભલે પુષ્ટ બની શકે, પણ તે વૈદ્યક દૃષ્ટિએ સંપૂર્ણ રીતે આરોગ્યવાન કદી નહિ બની શકે. શરીરમાં મેદ વધારવો, સ્નાયુઓ મજબૂત કરવા આવશ્યક નથી. જે શરીર સુકલકડી છતાં ટાઢ, તડકો, વરસાદ ઇત્યાદિ સહન કરી શકે છે અને જે સંપૂર્ણતાએ રોગ રહિત થઈ રહી શકે છે, એવું આરોગ્યવાન શરીર બ્રહ્મચર્ય વિના અસંભવિત છે, એવો મારો થોડા કાળનો નહિ પણ ઘણા કાળનો અનુભવ છે. એકેએક મનોવિકાર મનુષ્યશક્તિનું, તેના આત્માનું કેવી રીતે હનન કરે છે તેનાં અસંખ્ય દૃષ્ટાંતો હું મારા જીવનમાંથી અને સાથીઓના જીવનમાંથી આપી શકું એમ છું. તેથી હું તો એમ કહું છું કે, શરીર પડે, ક્ષીણ થાય તોપણ આત્માર્થીને બ્રહ્મચર્યની રક્ષા કરવી ઘટે છે. બ્રહ્મચર્યનું પાલન નહિ કરનાર વ્યક્તિ મટે છે, એટલું જ નહિ પણ તે પશુયે નથી બનતો. પશુ સ્વભાવે બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેને સ્વાદ નથી ને તેને ઇંદ્રિયોનો વિલાસ નથી. પશુ મર્યાદિત રહે છે. જેમ શૂરો તેમ માણસ શાંત હોવો જોઈએ; જેમ મોટો તેમ તે નમ્ર હોવો જોઈએ. ઉછાંછળો માણસ ઘડી ઘડીમાં મારવા કે ગાળો ભાંડવા મંડી જાય છે, તે પોતાનું બળ ગુમાવી બેસે છે. શાંતિ એ પણ એક સૂક્ષ્મ વીર્ય છે. તેનો સંચય કરનાર પ્રૌઢ બ્રહ્મચારી બને છે ને તેથી તે તેજસ્વી બને છે. પણ આ વિશાળ અર્થને છોડી અત્યારે તો વીર્યરક્ષાના અર્થમાં જ બ્રહ્મચર્યની વાત કરવા ઇચ્છું છું. હુ માનું છું કે, મન, વાણી અને કર્મથી સંપૂર્ણ સંયમ પાળ્યા વિના આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત ન જ થઈ શકે અને જે પ્રજામાં આવાં સ્ત્રીપુરુષો નથી, એની અધોગતિ ચોક્કસ છે. બ્રહ્મચર્ય કોને કહેવું ? જે આપણને બ્રહ્મ પ્રત્યે લઈ જાય તે બ્રહ્મચર્ય. આમાં જનનેંદ્રિયનો સંયમ આવી જાય છે. તે સંયમ મનથી, વાચાથી, કર્મથી હોય. મનથી જે મહાલે પણ વાચા ઉપર અને સ્થૂળ કર્મ ઉપર અંકુશ રાખે તે બ્રહ્મચારીમાં ન ખપે. મન ચંગા તો ઘેર બેઠે ગંગા. મન ઉપર સંપૂર્ણ અંકુશ આવે તો વાચા ને કર્મનો અંકુશ હસ્તામલકવત્ હોય. મારી કલ્પનાનો બ્રહ્મચારી સહેજે નીરોગી હોય, તેનું માથું સરખું ન દુખે, તે સહેજે દીર્ઘાયુ હોય, તેની બુદ્ધિ તેજસ્વી હોય, તેનામાં આળસ જેવી વસ્તુ ન હોય, શારીરિક કે માનસિક કામ કરતાં તે થાકે નહિ, તેની બહારની સુઘડતા અંતરનો પડઘો હોય. આવા બ્રહ્મચારીમાં સ્થિતપ્રજ્ઞનાં બધાં લક્ષણો હોય. આવો બ્રહ્મચારી આપણા જોવામાં ન આવે તેથી આપણે ગભરાવાની મુદૄલ જરૂર નથી. જે સ્થિરવીર્ય હોય, જે ઉર્ધ્વરેતા હોય, તેનામાં ઉપર પ્રમાણે લક્ષણ હોય એમાં શી નવાઈ ? જે વીર્યમાં પોતા જેવો જીવ પેદા કરવાની શક્તિ હોય, તે વીર્યનો સહજ સંગ્રહ એ જેવી તેવી વાત હોઈ જ ન શકે. જે વીર્યના એક બુંદમાં એ શક્તિ છે, તેવાં અનેક બુંદની શક્તિનો સંગ્રહ થાય એ શક્તિનું માપ કોણ કાઢી શકે ? બ્રહ્મચર્ય એ સંસ્કૃત શબ્દ આપણને શાસ્ત્રોમાંથી મળેલો છે અને તેનો મહિમા આપણે બ્રહ્મચર્યનો જે સામાન્ય અર્થ કરીએ છીએ, તેથી અનેક ગણો વધારે ગવાયેલો છે. બ્રહ્મચર્ય એટલે સર્વ ઇંદ્રિયો ઉપર સંપૂર્ણ કાબૂ. જે પૂર્ણ બ્રહ્મચારી છે, તેને માટે આ સંસારમાં કશું જ અસાધ્ય નથી. પણ આ આદર્શ સ્થિતિ હોય તેટલે સુધી પહોંચેલા માણસો જવલ્લે જ જોવામાં આવે છે. એને ભૂમિતિમાંની સરલ રેષાની ઉપમા આપી શકાય, જે માત્ર કલ્પનામાં જ રહે છે; પ્રત્યક્ષ કદી નથી દોરી શકાતી. આમ છતાં એ એક મહત્ત્વની વ્યાખ્યા છે, જે ભૂમિતિમાં ભારે ભાગ ભજવે છે. તે જ પ્રમાણે સંપૂર્ણ બ્રહ્મચારી ભલે કલ્પનામાં જ રહી શકતો હોય, છતાં એને આપણે જો રાતદિવસ આપણી આંખ સામે ન રાખીએ તો આપણી સ્થિતિ સુકાન વગરના વહાણના જેવી થઈ પડે. એ કાલ્પનિક સ્થિતિને જેમ વધુ વધુ પહોંચવાનો પ્રયત્ન કરીશું, તેમ તેમ આપણે સંપૂર્ણ થઈશું. શરીરબળ, એક પ્રકારનું માનસિક બળ, સતત ઉદ્યોગ અને પરાક્રમ આ ચારે વસ્તુ બ્રહ્મચર્ય વિના ન જ પ્રાપ્ત થાય એવું નથી. મારી કલ્પનાનું બ્રહ્મચર્ય, બ્રહ્મને મેળવી આપનારૂં બ્રહ્મચર્ય, ઉપરની વસ્તુઓથી પર છે. એ પોતે જ સાધન અને સાધ્ય છે, તેથી તેના પાલનને અર્થે હું શરીરને હોમવા તૈયાર થાઉં. જેને જેને શરીરનો મોહ છે, તે અવિચ્છિન્ન બ્રહ્મચર્ય ભાગ્યે જ પાળી શકશે. અહીં ભીષ્માદિનાં બ્રહ્મચર્યનાં દૃષ્ટાંતો લેવાં એ ભુલામણીમાં પડવા જેવું થાય. મહાભારત, રામાયણાદિમાં વર્ણવેલી વસ્તુના અક્ષરને વળગી રહેતાં આપણે અસત્યને માર્ગે દોરવાઈ જઈ ઊંધે માથે ખીણમાં પડી જવાના છીએ. તેના મર્મને સમજી તેનું પાલન કરવાથી અને તેને અનુભવમાં ઉતારવાથી આપણે અવશ્ય ઊંચે ચડવાના છીએ. બ્રહ્મચર્યની ગણાતી વાડ આળપંપાળ છે. ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હૃદયમાં વસે, ત્યારે જ તેનો ચમત્કાર પૂરો જણાય છે. એ અમોઘ સાધન હાથ કરવા સારૂ એકાદશ વ્રત તો છે જ. સાધનો એવાં હોય કે જેમાંથી કયું સાધન ને શું સાધ્ય એ કહેવું મુશ્કેલ થઈ પડે. એકાદશ વ્રતમાંથી એક માત્ર સત્યને લઈએ તો પૂછી શકાય કે, સત્ય સાધન ને રામ સાધ્ય કે રામ સાધન ને સત્ય સાધ્ય ? બ્રહ્મચર્યનો આજનો અર્થ લઈએ. જનનેંદ્રિયસંયમ એ સંયમ સિદ્ધ કરવા સારૂ સુવર્ણ રસ્તો, એક અમર વાડ રામનામ છે. એ રામનામ સિદ્ધ કરવાના પણ કાયદા કે નિયમો તો છે જ. જેને વાડની જરૂર છે તે બ્રહ્મચર્ય નથી એમ કહી નાખવું સહેલું છે. એ સમજવું અને તે પ્રમાણે આચરવું બહુ અઘરૂં છે. આટલું સ્પષ્ટ છે કે, આ વાત પૂર્ણ બ્રહ્મચારીને સારૂ જ ખરી છે. પણ જે બ્રહ્મચારી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તેને સારૂ અનેક વાડોની જરૂર છે જ. જેમ આંબાના નાના છોડને સુરક્ષિત રાખવા સારૂ તેની આસપાસ મજબૂત વાડ રાખવી પડે છે, તેમ નાના બાળકને માનો ખોળો, ઘોડિયું, ચાલણગાડી વગેરે અનુક્રમે જોઈએ. પણ માણસ ચાલતો હાલતો થાય છે, ત્યારે બધા ટેકા છોડી દે છે. ન છોડી દે તો નુકસાન થાય. બ્રહ્મચર્યને પણ આ વસ્તુ બરાબર લાગુ પડે છે. બ્રહ્મચર્ય એકાદશ વ્રતમાંનું એક વ્રત છે. એટલે એમ કહીએ કે, તેની વાડ દશ વ્રતનું પાલન છે. પણ એ દશ વ્રતને કોઈ વાડ નહિ માને. વાડ અમુક અવસ્થા જાળવવા પૂરતી જ હોય. એ અવસ્થા ગઈ એટલે વાડ ગઈ, પણ જે અમુક સ્થિતિનું અવિભાજ્ય અંગ છે, તે તો તેમાં સમાઈ જાય છે; તે વિના બ્રહ્મચર્ય શક્ય જ નથી.
|
10 |
|
न. |
( જૈન ) બાર અણુવ્રત તથા પાંચ મહાવ્રત માંહેનું ચોથું વ્રત. બ્રહ્મચર્ય એક સુંદર વૃક્ષ છે, જેનું રક્ષણ કરનારી નવ વાડ છેઃ (૧) વસતીઃ બ્રહ્મચારી સાધુએ સ્ત્રી, પશુ અને નપુંસક હોય ત્યાં રહેવું નહિ. તેઓની કામચેષ્ટા, હાવભાવ વગેરે વિકારો બ્રહ્મચર્યને હાનિ કરે છે. (૨) કથાઃ એકલી સ્ત્રીઓને અગર એક જ સ્ત્રીને બ્રહ્મચારીએ ઉપદેશ ન કરવો. (૩) આસનઃ સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય, ત્યાં બે ઘડી સુધી બ્રહ્મચારીએ ન બેસવું. એથી વિકારની ઉત્પત્તિ થાય છે. (૪) ઇંદ્રિયનિરીક્ષણઃ સ્ત્રીનાં અંગોપાંગ ન જોવાં. અંગ ઉપર દૃષ્ટિ એકાગ્ર થવાથી વિકાર ઊપજે છે. (૫) કુડ્યાંતરઃ ભીંત, કનાત કે ત્રાટાની આડચ વચમાં હોય એવા ગૃહસ્થીના મકાનમાં બ્રહ્મચારી સાધુએ રહેવું નહિ, કારણ કે શબ્દ, ચેષ્ટા વગેરે વિકારનાં કારણ છે. (૬) પૂર્વક્રીડાઃ પોતે ગૃહાસ્થાશ્રમમાં વિષયક્રીડા કરી હોય તે સંભારવી નહિ. (૭) પ્રણીતઃ બલિષ્ઠ આહાર બહુધા ન કરવો. (૮) અતિમાત્રાહારઃ પેટ ભરીને આહાર કરવો નહિ. (૯) વિભૂષણઃ સ્નાન વિલેપન વગેરે બ્રહ્માચારીએ કરવાં નહિ.
|