4 |
|
स्त्री. |
ઘર્ષણાગ્નિનો ભભૂકો. ઘર્ષણવિદ્યુત એ આકર્ષણ અને પ્રતિસારણના યોગે જાણી શકાય છે. ધન અને ઋણ એ નામ વિદ્યુતશોધક સર બેન્જામિન ફ્રાંકલિને આપ્યાં છે. કાચ ઉપર રેશમ ઘસવાથી જે વીજળી જાગૃત થાય છે તેને ઘન વિદ્યુત એવું નામ આપ્યું છે. લાખ, રાળ અને તે જાતની વસ્તુ પર ઊન ઘસવાથી ઉત્પન્ન થાય તેને ઋણ વિદ્યુત એવું નામ આપ્યું છે. કાચ ઉપર માંજારચર્મ એટલે બિલાડીનું ચામડું ઘસવાથી ઋણ વિદ્યુત જાગૃત થાય છે. વિદ્યુતની જાગૃતિ સફાઈ, ઘર્ષણની ગતિ અને ઉષ્ણતા ઉપર આધાર રાખે છે. જેમકે, બે કાચની રકાબી લઈ-એક લીસી અને બીજી ખરબચડી-એકબીજાને ઘસીએ તો લીસી રકાબી ઘન વિદ્યુલ્લતાથી જાગૃત થશે અને જે ખરબચડી છે તે ઋણ વિદ્યુલ્લતાથી જાગૃત થશે. રેશમી પટ્ટો એક એક ઉપર પકડીને ઘસવામાં આવે તો જે આડો પટ્ટો ઘસવામાં આવે તે ઋણ વિદ્યુત્ બતાવે છે, જ્યારે બીજો ઘન વિદ્યુત્ દર્શાવે છે. એમ પણ શોધી કઢાયું છે કે, ધન વિદ્યુતનું એકમેકને આકર્ષણ થતું નથી. ધન અને ઋણ એકમને આકર્ષણ કરે છે. જેવી રીતે ઈશ્વર અનંત, અલક્ષ્ય, નિરાકાર અને સર્વવ્યાપી હોઈ જગતનો ચાલક છે તે પ્રમાણે વીજળી અનંત છે. કારણ કે, વીજળીનો અંત હજી સુધી કોઈને જણાયો નથી. વીજળી કોઈને જણાતી નથી પરંતુ તે ન જણાવા છતાં તેનો ધક્કો લાગતાંની વાર આ ઠેકાણે વીજળી છે એમ ભાસ થાય છે. વીજળીનો કોઈપણ પ્રકારનો આકાર નથી કારણ કે, તે ચોખૂણી છે કે ગોળ છે તે કોઈ થી કહેવાતું નથી. જેમ પાણીને આકાર નથી પરંતુ જે પ્રકારના વાસણમાં તેને મૂકીએ તેવો તેનો આકાર થાય છે, તે જ પ્રકાર વીજળીનો પણ છે; અર્થાત્ પાણીની જેમ વિદ્યુત્ પણ નિરાકારી છે. જગતની પ્રત્યેક વસ્તુમાં વીજળી છે એમ શોધકોએ સિદ્ધ કર્યું છે. તે એક ઈશ્વરી શક્તિ છે. વિદ્યુત્ વિષે બે કલ્પના છે. એક કલ્પના પ્રમાણે દરેક વસ્તુમાં એક અતિ સૂક્ષ્મ અને ગુરુત્વશૂન્ય પદાર્થ હોય છે. એ પદાર્થને વિદ્યુત્દ્રવ કહે છે અને તે ધન અને ઋણ એ બે જાતનો અતિ સૂક્ષ્મદ્રવોનો બનેલો છે. દરેક દ્રવનાં પરમાણુઓ એટલાં તો બારીક હોય છે કે, આપણને તેનો ખયાલ પણ આવી શકે નહિ. એ પરમાણુઓમાં એવો ગુણ છે કે, તે એકબીજાનું આકર્ષણ કરે છે, પણ એક પ્રકારના દ્રવનાં પરમાણુઓ બીજા પ્રકારનાં પરમાણુઓને આકર્ષે છે. જ્યાંસુધી એ બે દ્રવો કોઈપણ પદાર્થમાં એકત્ર થયેલાં હોય છે. ત્યાં સુધી તે પદાર્થ પોતાની સ્વાભાવિક સ્થિતિમાં હોય છે; એટલે કે, તેનામાં વીજળી ઉત્પન્ન થએલી કહેવાતી નથી અર્થાત્ તેમાં વીજળી છે કે નહિ તેનું જ્ઞાન આપણને થઈ શકતું નથી પણ ઘર્ષણ અને એવાં બીજાં કાર્યોથી એ બે દ્રવોનું પૃથ્થકરણ થઈ શકે છે; એટલે કે, એ બે દ્રવોને છૂટા પાડી શકાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે એક વસ્તુમાં એક જાતનો દ્રવ રહે છે અને બીજામાં બીજી જાતનો દ્રવ જાય છે. જેમકે, કાચ અને રેશમને ઘસવાથી એકમાં એક દ્રવ રહે છે અને બીજામાં બીજો જાય છે. આ બે દ્રવો ધન અને ઋણ વિદ્યુતના નામથી ઓળખાય છે. આ કલ્પના પ્રમાણે કોઈપણ પદાર્થમાં વીજળી ઉત્પન્ન કરવી તેનો અર્થ એટલો કે, તે વસ્તુમાં રહેલા બે દ્રવોનું પૃથક્કરણ કરી એક બીજાથી છૂટા પાડવા; એટલે બેમાંથી કોઈપણ દ્રવનું પ્રમાણ બીજા કરતાં વધારે રહેવા દેવું. કોઈપણ વસ્તુમાં આ બે દ્રવોનો સરખા પ્રમાણમાં સંયોગ થાય તો તે વસ્તુની વિદ્યુતસ્થિતિ તદ્દન નષ્ટ થઈ જાય છે. બીજી કલ્પના પ્રમાણે એમ માનવામાં આવે છે કે, દરેક વસ્તુમાં અતિ સૂક્ષ્મ અને ગુરુત્વશૂન્ય પ્રવાહી પદાર્થ છે, તેને વિદ્યુત દ્રવ કહેવામાં ફેર એટલો છે કે, પહેલી કલ્પના પ્રમાણે આ દ્રવ બીજા બે દ્રવોનો બનેલો માનવામાં આવે છે. અને આ બીજી કલ્પના પ્રમાણે આ દ્રવ અવિભાજ્ય માનેલો છે; એટલે કે, દ્રવ એક જ છે અને બીજા બેનો બનેલો નથી. દરેક વસ્તુમાં આ દ્રવ અમુક નિયમિત પ્રમાણમાં હોય છે અને જ્યાંસુધી આ પ્રમાણમાં રહેલો હોય છે ત્યાં સુધી તે વસ્તુમાંની વીજળીનું આપણને જ્ઞાન થતું નથી; પણ કોઈ કારણથી આ પ્રમાણ વધે કે ઘટે તો તે વસ્તુમાં વિદ્યુત જાગૃત થએલી કહેવાય છે. જો પ્રમાણ વધે તો તેમાં ધન વિદ્યુત ઉત્પન્ન થાય છે અને ઘટે તો ઋણ વિદ્યુત પેદા થાય છે. આ બંને મત પ્રમાણે જ્યારે દરેક વસ્તુ વિદ્યુન્મય હોય છે એટલે કે, તેમાં વિદ્યુત તો હોય છે; પરંતુ વીજળીનું ભાન જ્યાં સુધી વસ્તુ પોતાની સ્વાભાવિક સ્થિતિમાં હોય છે ત્યાં સુધી થતું નથી. આ બંને મતોમાં કેટલુંક સત્ય સમાએલું છે. પહેલી કલ્પના પ્રમાણે બે દ્રવોનું પૃથક્કરણ થાય છે અને બે દ્રવો એક બીજાથી છૂટા પડે છે ત્યારે જ વીજળી ઉત્પન્ન થયેલી કહેવાય છે. એટલે એક વસ્તુમાં એક જાતનો દ્રવ રહે છે અને બીજીમાં બીજી જાતનો. બીજા મત પ્રમાણે વિદ્યુત દ્રવનું પ્રમાણ વધે કે ઘટે ત્યારે જ તે વસ્તુમાં વીજળી પેદા થએલી કહેવાય. એક વસ્તુમાં દ્રવનું પ્રમાન વધે તો બીજી કોઈ વસ્તુમાં તેનું પ્રમાણ ઘટવું જોઈએ તે સ્પષ્ટ છે. એટલે બંને જાતની વીજળી એક જ વખતે પેદા થવી જોઈએ.
|