1 |
[ સં. હીરક ] |
पुं. |
એક જાતનો તેજદાર કીમતી ખનિજ પથ્થર; મણિ; રત્ન. તેના સ્વયંપ્રકાશથી ચમકચમક થતો અને તણખા મારતો હીરો જોનારને મંત્રમુગ્ધ બનાવી દે છે. આ અણમોલ રત્નની વિશિષ્ટતા જ તેનો અખંડ સ્વયંસ્કુરતો પ્રકાશ છે. હીરો સખતાઈમાં ઉચ્ચતમ ગણાય છે. હીરાની કીમત તેનાં કદ, રંગ, પાસાકામ, પ્રકાશ તેમ જ તેના પેટાળના શુદ્ધિ ઉપરથી અંકાય છે. હીરાના પેટાળમાં દૃગકાચ વડે કાળી, લાલ એબો જોવામાં આવે છે, જે હીરાની કીમત આંકતી વખતે બીજી ઘણી ખાસિયતોની જેમ ધ્યાનમાં લેવી પડે છે. હીરાના પાસા પાડવાનો ખાસ મોટો ઉદ્યોગ હોય છે; જેનાં કારખાનાં હોલેન્ડ, બેલ્જિયમ અને પેલેસ્ટાઈનમાં મુખ્યત્વે આવેલાં છે. હિંદમાં પણ સુરત અને મુંબઈમાં જૂજ નાનાં કારખાનાં છે. હીરાની ખાણો ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં છે. જગતના મોટા ભાગના હીરાઓ ત્યાંથી નીકળે છે. બીજી જગાઓએ પણ છૂટીછવાઈ ખાણો છે. હિંદમાં પન્ના સ્ટેટમાંથી હીરા નીકળે છે. હીરા પણ ઘણા રંગના હોય છે. જેવા કે, ગુલાબી, વાદળી, સફેદ, લીલા (વનસ્પતિ જેવા ), પીળા, તપખીરિયા, કાળા વગેરે. ઉપરના ક્રમના રંગ પ્રમાણે જ તેની કીમત પણ હોય છે. એટલે કે, ગુલાબી રંગનો હીરો એકદમ કીમતી ગણાય છે જ્યારે કાળા રંગનો એકદમ હલકો ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્રનો સવળો પડેલો ગ્રહ જેમ સુખસંપત્તિ અને ઐશ્વર્ય અપાવે છે. તેમ હીરો પણ વૈભવની નિશાની અને શ્રેષ્ઠ રત્ન લેખાય છે. હીરો એ પૃથ્વી ઉપરની ઘણી જ કીમતી વસ્તુમાંથી એક છે. તેની કીમત આટલી બધી અંકાવાનું કારણ તેનાં રૂપ અને તેજ ઉપરાંત તેની અછત છે. હીરા મોટી સંખ્યામાં અને વધારે જગ્યાએથી મળી આવતા હોય અથવા બની શકતા હોય તો તેની કીમત ઘટયા વગર રહે નહિ. તેની કીમતમાં બેહદ ઘટાડો ન થાય તેટલા માટે દુનિયાની હીરાની ખાણઓના માલિકો દર વર્ષે અમુક સંખ્યા અને વજન કરતાં વધારે કીમતના હીરા બજારમાં મૂકવા નહિ એવો સંપ કરે છે. ઘણા જ પ્રાચીન સમયથી હિંદના હીરાઓ ઊંચું સ્થાન ભોગવે છે. ` કોહિનૂર `, ` ઓર્લોફ `, ` પિટ ` વગેરે હીરાઓ હિંદની ભૂમિમાંથી નીકળેલા છે. તેમાંથી કોહિનૂર માટે એમ કહેવામાં આવે છે, કે તે હીરો મહાભારતના સમયમાં દાનવીર કર્ણની પાસે હતો. હીરાની કીર્તિ અને લોભને લીધે, યરપના ઘણા વેપારીઓ હિંદુસ્તાન સુધી ઘણી અગવડો વેઠીને આવતા. પ્રખ્યાત મુસાફર ટેવર્નિઅર એક ઝવેરી હતો. તેણે ગોવલકોંડાની પાસેની હીરાની ખાણો ઉપર ૬૦, ૦૦૦ માણસોને કામ કરતાં જોયાં હતાં. સર્વથી વધારે હીરાની ઊપજ કરવાનું માન અત્યારે દક્ષિણ આફ્રિક ( ટ્રાન્સવાલ ) અને દક્ષિણ અમેરિક ( બ્રાઝિલ ) ભોગવે છે. હીરો એ ખનિજ પદાર્થ છે. ખાણોમાંથી નીકળતાં તે બેડોળ કાચના કટકા જેવો લાગે છે; પરંતુ સાફ કરી પહેલ પાડયા પછી તેનું તેજ ઘણું વધે છે. હીરાની ઉત્પત્તિ સાથે ખનિજ કોલસાનો ઘાટો સંબંધ છે. પૃથ્વીની સપાટી ઉપર નવા થર બંધાતી વખતે ઝાડોનાં જંગલો અને જંગલો દબાઈ જવાથી અને તે દબાએલી સ્થિતિમાં કરોડો વર્ષો સુધી રહેવાથી ઝાડમાંથી ખનિજ કોલસો બને છે. આને વધારે દબાણ અને વધારે સમય મળવાથી અંદરના વાયુમય દ્રવ્યો ઊડી જવાથી તેમાંથી કાર્બનનું ગ્રેફાઇટ નામનું સ્ફાટિક રૂપ પ્રાપ્ત થાય છે. આ ગ્રેફાઇટનું પણ બેહદ તાપ અને દબાણની અસરથી રૂપાંતર થવાથી શુદ્ધ પારદર્શક સ્ફાટિક રૂપમાં હીરો બને છે. આ હીરો તે કાર્બનનું રૂપ છે એમ ચોક્કસ સાબિત કરવાનું માન સર હમ્ફ્રે ડેવિને ઘટે છે. ઈ.સ. ૧૮૧૪માં તેણે આ સંબંધી પોતાના અને બીજાઓના પ્રયોગો વિષે રોયલ સોસાયટિમાં એક નિબંધ વાંચ્યો હતો. ડેવિના પહેલાં લવાઝીએર નામના એક ફ્રેન્ચ રસાયનશાસ્ત્રીએ હીરાને કોયલાની માફક બાળી શકાય છે તે પ્રયોગ પેરિસના ઝવેરીઓની મદદથી કર્યો હતો, પરંતુ તે વખતે શક રહેતો હતો કે, હીરામાં હાઇડ્રોજનનો ભાગ હોય છે અને આ હાઇડ્રોનને લીધે હીરાના રંગ અને તેજમાં ફેર હોય છે. આ ભ્રાંતિ દૂર કરવાને અને ખરું સત્ય શોધી કાઢવાને ડેવિને ઘણા પ્રયોગો કરવા પડયા હતા. હીરામાં જો હાઇડ્રોજન હોય તો શુદ્ધ ઓક્સિજનમાં બાળતી વખતે પાણી ઉત્પન્ન થવું જોઈએ. આ પાણી ઉત્પન્ન થાય છે કે નહિ તે જોવાને માટે જે વાસણમાં પ્રયોગ કરવામાં આવે તેમાંથી પહેલાં તો બધું પાણી કાઢી નાખવું જોઈએ. ડેવિએ હીરાને બાળીને તેમાંથી બનતા પદાર્થોમાંથી પાછો કાર્બનના રૂપમાં આણ્યો. આ બંનેનું વજન સરખું હોવાથી હીરા એ કાર્બનનું રૂપ છે એમ સચોટ રીતે સિદ્ધ કર્યું છે. વળી હીરાને હવા વગરના વાસણમાં ઓછા દબાણમાં ગરમ કરવામાં આવે તો તેમાંથી કાળો પેન્સિલ બનાવવામાં વપરાતો ગ્રેફાઇટ બને છે. હીરો ગ્રેફાઇટ, મેશ અને કોયલા રાસાયણિક દ્રષ્ટિએ એક જ તત્ત્વનાં જુદાં જુદાં રૂપ છે; અને એ સઘળાંને બાળવાથી કાર્બોનિક વાયુ નામનો એક જાતનો પદાર્થ બને છે. દુનિયાના જુદા જુદા ભાગમાં મળી આવતી હીરાની ખાણોની શિલાઓ અને થરોની તપાસ કરતાં એમ જણાયું છે કે ઘણે ખરે ઠેકાણે આ હીરાઓ સ્ફાટિક શિલાઓમાંથી
ધોવાઈને બનેલી માટીવાળી જમીનમાંથી મળી આવે છે; આ સિવાય દક્ષિણ આફ્રિકામાં જ્વાળામુખી પર્વતોમાંથી બનેલા પથ્થરોની સોબતમાં મળી આવે છે. આ બનાવનું કારણ એમ હોઈ શકે કે જ્વાળામુખી પર્વતોના મુખમાંથી નીકળતા પથ્થરો ઠંડા પડતાં તેમાં રહેલું ` કાર્બન ` હીરાના રૂપમાં છૂટું પડતું હોય છે. પ્રો. મ્વાસાં નામના ફ્રેન્ચ વિજ્ઞાન શાસ્ત્રીએ ઘણી જાતના પ્રયોગો ઈ.સ. ૧૮૯૩માં કર્યા હતા. આ પ્રયોગોને લીધે એટલું પણ સિદ્ધ થયું છે કે હીરાઓ પ્રયોગશાળામાં બનાવી શકાય છે; પરંતુ તે હીરાઓ રજકણો જેટલા નાના હોવાથી તેમની બહુ કીમત ગણાતી નથી. તે છતાં વિજ્ઞાનના વિકાસની સાથે આ હીરાઓ બનાવટી માણેક અને નીલમની માફક મોટા જથ્થામાં અને મોટા કદના બનાવવામાં આવે તો અસંભવિત નથી. હીરા બનાવવાને માટે ગ્રેફાઈટ લેવામાં આવ્યું હતું. તેને ઓગાળનાર દ્રવ્ય તરીકે લોખંડ લઈને તે બંને પદાર્થોને પ્રો. મ્વાસાંની પોતાની શોધની પ્રચંડ ભઠ્ઠીઓમાં ગરમ કરવામાં આવ્યા હતા. લોખંડ અને કાર્બનનું એક રસ થઈને દ્રાવણ થયા પછી તેને એકદમ ઠંડું પાડવામાં આવતાં તેમાંથી કાર્બન સ્ફાટિકનાં રજકણોના રૂપમાં છૂટું પડયું હતું. આ રજકઓની ઘનતા અને કઠિનતા સ્ફાટિકના રૂપ અને સૂક્ષ્મદર્શક યંત્ર નીચેના દેખાવ વગેરે ભૌતિક ગુણો અને તેના રાસાયણિક ગુણો હીરાના જેવા હોવાથી અને તેને બાળવાથી કાર્બોનિક વાયુ બનતો હોવાથી આ હીરાનાં જ રજકણો છે એમ સિદ્ધ કરવામાં આવ્યું હતું. હીરાના ગુણ અને કાચના ગુણમાં ઘણો તફાવત હોય છે. હીરાને બહુ જ ગરમ કરવામાં આવે તો તે બળીને ખાખ નહિ પણ વાયુરૂપ થઈ જાય છે. કાચને ખૂબ તપાસવામાં આવે તો તે ઓગળીને પ્રવાહી રૂપ બની જશે. તેથી આગમાં હીરાના ઘરેણાંનો સંપૂર્ણ નાશ થઈ જાય છે; પરંતુ સોના અથવા કાચના પદાર્થો ઓગળીને બેડોળ ઘાટમાં પણ હાથમાં આવે છે. હીરા એ સર્વથી સખતમાં સખત વસ્તુ ગણાય છે તે પોલાદને પણ કાપી શકે છે. હીરાથી કાચ કપાય છે અને તેથી હીરાકણી કાચ કાપવામાં વપરાય છે. લોખંડથી અથવા કાનસથી હીરાની ઉપર કાપો પાડી શકાતો નથી; પરંતુ કાચ ઉપર જલદીથી લિસોટા થાય છે. હીરા ઝેરી નથી હોતા. હીરા ચૂસવાથી માણસ મરી જાય છે એ ભ્રાંતિ છે. હીરો એટલી સખત વસ્તુ છે કે શરીરમાં જતાં અંદરની ચામડી કપાઈ જાય છે અને તેથી મૃત્યુ થાય છે. કાચનો ભૂકો પણ આ રીતે કાતિલ ઝેરનું કામ કરે છે. તેથી હીરો પણ ઝેરી ગણાય છે. કાચ કરતાં વધારે સખત અને હીરા કરતાં ઓછી સખત વસ્તુમાં બિલોર છે, તેના સ્ફાટિક મોટાં થાય છે. તેમાંથી ` પેબ ના ચશ્માં બને છે અને મદ્રાસ તરફ વપરાતા પોખરાજ ( પુષ્પરાગ ) નાં ઘરેણાં પણ તેમાંથી બને છે. હીરાનું તેજ તેની અંદરના બંધારણને લીધે છે. તે છતાં પણ તેને પહેલ પાડવાની સફાઈ અને કારીગરીથી તેનું તેજ વધે છે. હીરાનું પ્રકાશનું પ્રત્યાવર્તન કરવાની અદ્દભુત શક્તિને લીધે જ તેનું તેજ આટલું બધું છે.
રૂઢિપ્રયોગ
૧. હીરાની કીમત ઝવેરી આગળ = વસ્તુની યોગ્યતા તેનો પારખાનર જ નક્કી કરી શકે.
૨. હીરો વટાવવો = પૈસા લઈ કન્યાવિક્રય કરવો.
૩. હીરો હીરાને કાપે = જેવાની સાથે તેવા થવું.
|
2 |
|
पुं. |
મૂર્ખ માણસ; રૂપે રંગે રૂડો સમજ શક્તિ વગરનો સ્વયં પ્રજ્ઞા રહિત માણસ.
રૂઢિપ્રયોગ
હીરો ઘોઘો જઈ આવ્યો = અર્થ વગરનું કાર્ય કરવું; વ્યર્થ મહેનત કરવી. હીરો ઘોઘે જઈ આવ્યો એ કહેવતના સંબંધમાં એવી હકીકત રજૂ કરાય છે કે, ભાવનગર શહેરમાં કમળશી નામે એક મોટો વેપારી હતો. તેને ત્યાં હીરો કરીને એક વાણોતર હતો. હીરાને અને અક્કલને હજારો ગાઉનું છેટું હતું; પણ દયાળુ શેઠે તેનો નિભાવ કરવા સારુ રાખ્યો હતો તેથી શેઠજી તેને ફક્ત પરગામ કાગળપત્ર લઈ જ્વાનું કામ સોંપતા, તેમ જ ઉઘરાણીએ જનારની સાથે તેને મોકલતા. આમ છતાં પણ હીરો દરેક વખતે પોતાની ચાલાકી બતાવવી ચૂકતો નહિ. એક રાત્રે કમળશી શેઠ ગુમાસ્તા સાથે વાત કરતા હતા કે હીરાને કાલે ઘોઘે મોકલવો છે. તે વાત હીરાના કાને સંભળાઈ ગઈ. હીરાને રાત્રે ઘેર સૂતાં સૂતાં વિચાર આવ્યો કે શેઠનો ઇરાદો મને ઘોઘા મોકલવાનો છે તો શેઠજી કહે અને કામ કરવું તે કરતાં વગર કહ્યે જ કરું ત્યારે જ મારી હોશિયારી. મારા બાપ મને રોજ કહેતા હતા કે, કહ્યું કામ તો ઢોર પણ કરે પણ વગર કહ્યે પોતાની સમજણથી કરીએ ત્યારે જ માણસાઈ. આવો વિચાર કરી હીરો પાછલી રાત્રે ચાર વાગે ઊઠી ઘોઘે જઈ સવારમાં આઠ વાગે પાછો આવ્યો. તુરત હરખાતો હરખાતો શેઠ પાસે ગયો અને જશ લેવાની આશાએ ઉતાવળથી બોલી ઊઠ્યો કે, ” શેઠજી, હું હીરો ઘોઘે જઈ આવ્યો “. શેઠે કહ્યું ” તું ક્યારે, શું કામ, કોના કહેવાથી ઘોઘે ગયો હતો ? ” હીરાએ કહ્યું, ” શેઠજી, તમો રાત્રે મને ઘોઘે મોકલવાની વાત કરતા હતા તો આપ કહો અને હું જાઉં તે કરતાં વગર કહ્યે જ જાઉં તો જશ મળે એ સારુ ગયો હતો “. આથી શેઠે તેની મૂર્ખાઈ ઉપર ખૂબ હસી, ફોકટ ફેરો ખાધો તે માટે જશને બદલે જૂતિયાં ( ઠપકો ) આપ્યાં. આ વાત ફોકટના ફેરા ખાનાર મૂર્ખાઓની અક્કલનો નમૂનો બતાવે છે અને એવા પ્રસંગમાં આ દૃષ્ટાંત વપરાય છે.
|