9 |
|
न. |
તંત્રશાસ્ત્ર પ્રમાણે માસ, વાર, વગેરે દર્શાવતું પંચાંગ જેવું કાલમાન; તાંત્રિકોનું પંચાંગ, સામાન્ય પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગ હોવાથી તે પંચાંગ કહેવાય છે, તેમ તાંત્રિકો યુગ, પરિવૃત્તિ, વર્ષ, માસ, દિવસ, નિત્યા, વાર અને ઉદયઘટિકા એમ આઠ અંગ ગણી અષ્ટાંગ માને છે. હાલ કલિયુગના પ્રારંભથી યુગ ગણતરી ચાલુ છે. યુગ ૩૬, વર્ષ ૩૬, માસ ૧૬, દિવસ ૩૬, નિત્યા ૧૫, વાર ૯ અને ઉદયઘટિકા ૫ છે. અં, કં થી શરૂ ળં, ક્ષં સુધી ૩૬ વર્ષ; તે જ પ્રમાણે અં થી ક્ષં સુધી ૩૬ પરિવૃત્તિ; અં, આં થી દીર્ઘ લૃ ને ગણતાં સ્વર જેટલા ૧૬ માસ થાય છે. ૧૬ માસનું ૧ વર્ષ; ૩૬ વર્ષની ૧ પરિવૃત્તિ; ૩૬ પરિવૃત્તિનો ૧ યુગ થાય છે. પ્રત્યેક માસમાં ૩૬ દિવસ આવે છે, અને તે તંત્રશાસ્ત્રનાં ૩૬ તત્ત્વોનાં નામના ક્રમે હોવાથી દરેક દિવસ તત્ત્વદિવસ કહેવાય છે. એ ૩૬ તત્ત્વઃ ૧. શિવ, ૨. શક્તિ, ૩. સદાશિવ, ૪. ઈશ્વર, ૫. શુદ્ધવિદ્યા, ૬. માયા, ૭. અવિદ્યા, ૮. કલા, ૯. રાગ, ૧૦. કાલ, ૧૧. નિયતિ, ૧૨. પુરુષ, ૧૩. પ્રકૃતિ, ૧૪. અહંકાર, ૧૫. બુદ્ધિ, ૧૬. મનસ, ૧૭. શ્રોત્ર, ૧૮. ત્વક્, ૧૯. ચક્ષુસ્, ૨૦. જિહ્વા, ૨૧. ધ્રાણ, ૨૨. વાક્, ૨૩. પાણિ, ૨૪. પાદ, ૨૫. પાયુ, ૨૬. ઉપસ્થ, ૨૭. શબ્દ, ૨૮. સ્પર્શ, ૨૯. રૂપ, ૩૦. રસ, ૩૧. ગંધ, ૩૨. આકાશ, ૩૩. વાયુ, ૩૪. અગ્નિ, ૩૫. સલિલ અને ૩૬. પૃથ્વી. આ દરેક તત્ત્વદિવસ પહેલાં અં, કં એમ શરૂ કરી ક્ષં સુધી બીજ મુકાય છે. તે જ બીજપૂર્વક પરિવૃત્તિ લખાય છે. તે જ પ્રમાણે અં, આં થી શરૂ કરી સાનુસ્વાર અં સુધીનાં બીજપૂર્વક ૧૫ નિત્યાનાં નામ આવે છે. તેનાં નામઃ ૧. કામેશ્વરી, ૨. ભગમાલિની, ૩. નિત્યકિભન્ના, ૪. ભેરૂંડા, ૫. વહ્નિવાસિની, ૬. મહાવજ્રેશ્વરી, ૭. શિવદૂતી, ૮. ત્વરિતા, ૯. કુલસુન્દરી, ૧૦. નિત્યા, ૧૧. નીલપતાકા, ૧૨. વિજયા, ૧૩. સર્વમંગલા, ૧૪. જ્વાલામાલિની અને ૧૫. ચિત્રા. આ ક્રમ પ્રમાણે પ્રત્યેક તત્ત્વદિવસે નિત્યાનાં નામ આવે છે અને એ પંદર નામ પૂરાં થયે તે જ નામ વ્યુત્ક્રમથી પાછાં ચાલે છે. વાર અં, લૃં, કં, ચં, ટં, તં, પં, યં, ષં એ બીજપૂર્વક ૯ છે અને દરેક વાસરના નામ પાછળ આનન્દનાથ મૂકવામાં આવે છે. જેમકે, અં પ્રકાશાનન્દનાથ વાસર. તે જ પ્રમાણે બીજાં બીજ સાથે અનુક્રમે વિમર્શ, આનન્દ, જ્ઞાન, સત્ય, પૂર્ણ, સ્વભાવ, પ્રતિભા અને સુભગાની સાથે આનન્દનાથ બોલાય છે. ઉદયઘટિકા અં. એં, ચં, તં અને યં એમ પાંચ આવ્યા કરે છે. વાસરની જેમ ઘટિકા પણ એક જ ક્રમમાં ચાલુ રહ્યા કરે છે. હાલ કલિયુગના પ્રારંભથી ખં (ત્રીજો) યુગ તં (૧૭મી) પરિવૃત્તિ ચાલે છે. જે જે દિવસોએ બે, ત્રણ, ચાર કે પાંચ એક જ જાતનાં બીજ આવે તે દિવસો તંત્રશાસ્ત્રના મત પ્રમાણે પર્વણી ગણાય છે. જેમકે, અં શિવ તત્ત્વદિવસ, અં કામેશ્વરી નિત્યા, અં. પ્રકાશાનન્દનાથ વાસર, અં ઉદયઘટિકા. કૃષ્ણ પક્ષની અષ્ટમી તથા ચતુર્દશી, પૂર્ણિમા તેમ જ અમાવાસ્યા તથા માસિક સૂર્યસંક્રાંતિ જેટલી જ આ મોટી પર્વણી છે. ૫૭૬ સૌર દિવસનું એક તાંત્રિક વર્ષ થાય છે. એમાં કોઈ પણ અંગનો ક્ષય કે વૃદ્ધિ નથી.
|