1 |
[ સં. નક્ષત્ર ( તારાઓનું ઝૂમખું ) + ગણ ( સમૂહ ) ] |
पुं. |
નક્ષત્રોનો સમૂહ; તારાઓનો સમૂહ; ફલિત જ્યોતિષ પ્રમાણે અમુક અમુક નક્ષત્રોનો અલગ અલગ સમૂહ કે ગણ. બૃહત્ સંહિતામાં લખ્યું છે કે: રોહિણી, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને ઉત્તરાફાલ્ગુની આ ચાર નક્ષત્રને ધ્રુવગણ કહે છે. ધ્રુવગણમાં અભિચક્ર, શાંતિ, વૃક્ષ, નગર, ધર્મ, બીજ અને ધ્રુવ કાર્યનો આરંભ કરવો ઉચિત છે. મૂલ, આર્દ્રા, જ્યેષ્ઠા અને અશ્લેષાનો સ્વામી તીક્ષ્ણ છે. તેથી તેના સમૂહને તીક્ષ્ણગણ કહે છે. આમાં અભિઘાત, મંત્રસાધન, વેતાલ, બંધ, વધ અને ભેદ સંબંધી કાર્ય સીદ્ધ થાય છે. પૂર્વાષાઢા, પૂર્વાફાલ્ગુની, પૂર્વા ભાદ્રપદ, ભરણી અને મઘા આ પાંચ નક્ષત્ર ઉગ્રગણ કહેવાય છે. પડતીને માટે નષ્ટ કરવાને, પ્રપંચ કરવાને, બંધન, વિષ, દહન અને શસ્ત્રઘાત આદિની સિદ્ધિને માટે આ ગણનાં નક્ષત્ર બહુ જ ઉપયોગી છે. હસ્ત, અશ્વિની અને પુષ્પના સમૂહને લઘુગણ કહે છે. તેમાં પુણ્ય, રતિ, જ્ઞાન, ભૂષણ, કલા, શિલ્પ આદિની કાર્યસિદ્ધિ થાય છે. અનુરાધા, ચિત્રા, મૃગશીર્ષ અને રેવતીને મૃદુગણ કહે છે અને એ વસ્ત્ર, ભૂષણ, મંગળ, ગીત અને મિત્ર આદિના સંબંધમાં હિતકારી અને ઉપયોગી મનાય છે. વિશાખા અને કૃત્તિકાને મૃદુતીક્ષ્ણગણ કહે છે. એનું ફળ મૃદુ અને તીક્ષ્ણગણોના ફળનું મિશ્રણ હોય છે. શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પુનર્વસુ અને સ્વાતિ એ પાંચ ચરગણ કહેવાય છે. અને તેમાં ચરકર્મ હિતકારી છે.
|