1 |
[ સં. ફુપ્ફુસ ] |
न. |
છાતીમાંનો શ્વાસ લેવા મૂકવાનો અવયવ; ફેફડું; શરીરનું હવા લેવા કાઢવાનું અંગ. શ્વાસોચ્છવાસની ક્રિયા માટે ફેફસાં મુખ્ય અને અગત્યના અવયવો છે. વક્ષઃસ્થળની બંને બાજુએ અકેક ફેફસું છે. ફેફસાંની વચ્ચે હૃદય, શ્વાસનલિકા વગેરે બીજા અવયવો રહેલાં છે. બંને ફેફસાં ફુપ્ફુસધરાકલા નામની એક કલામય કોથળી વડે ઢંકાયેલાં છે. તેઓ પાતળાં, કોમળ, હલકાં અને વાદળી જેવા સ્થિતિસ્થાપક પદાર્થનાં બનેલાં છે. તેઓમાં અસંખ્ય વાયુકોષો અથવા હવા માટેનાં ખાનાંઓ હોવાથી તેઓ વજનમાં હલકાં છે અને પાણીમાં તરે છે. પરતું જેને ન્યૂમોનિઅ, ક્ષય વગેર રોગ થયેલ હોય તેમનાં ફેફસાંને બગડેલ ભાગ કઠણ થઈ જાય છે અને પાણીમાં નાખવાથી ડૂબી જાય છે. ગર્ભની અંદર બાળક શ્વાસ નથી લેતું, તેથી તેનું ફેફસું પાણીમાં ડૂબી જાય છે. પરતું બાળક જન્મ થયા બાદ થોડો કાળ જીવ્યું હોય તેનું ફેફસું પાણીમાં નહિ ડૂબે. જો શ્વાસનળીની અંદર ફૂંક મારીને અથવા પંપ વડે હવા ભરવામાં આવે તો તેઓ ફૂલે છે. જો ફેફસાંને હાથ વડે મસળવામાં આવે તો તેમની અંદર રહેલી થોડી હવાને લીધે વાળ પરસ્પર ધસાતાં જેવો અવાજ આવે તેવો ઝીણો ટૂંકો કરરર કરરર જેવો અવાજ આવે છે. ફેફસાં સુંવાળાં અને સહેજ ચકચકતાં હોય છે. તુરતના જન્મેલા બાળકના ફેફસાંનો રંગ આછો ગુલાબી, જ્યારે પુખ્ત વયના મનુષ્યમાં તેમનો રંગ રાખોડિયો થઈ જઈ તેમાં અહીંતહીં કાળા રંગના ધાબાં દેખાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય, તેમ તેમ તે ધાબાં વધુ અને વધુ કાળાં પડતાં જાય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોનાં ફેફસાંમાં કાળાશ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. સાધારણ રીતે ફેફસાંની પાછલી કિનારી આગલી કિનારી કરતાં વધારે કાળી હોય છે. પુરુષોમાં જમણા ફેફસાંનું વજન પંચાવન તોલા જ્યારે ડાબા ફેફસાંનું વજન પચાસ તોલા હોય છે. સ્ત્રીઓનાં ફેફસાંઓનું વજન લગભગ પાંચ તોલા ઓછું હોય છે. પુરુષોના શરીરમાં ફેફસાંઓનું વજન શરીરના કુલ વજનના સાડાત્રીસમા ભાગ જેટલું, જ્યારે સ્ત્રીઓના શરીરમાં તેંતાળીસમાં ભાગ જેટલું હોય છે. ફેફસાંનો આકાર શંકુના જેવો છે, એટલે કે તેનો ઉપરનો ભાગ સાંકડો, જ્યારે નીચેનો ભાગ પહોળો હોય છે તેની બહારની બાજી લગભગ ગોળ હોઈ પાંસળીઓની સાથે સંબંધમાં આવે છે. તેની અંદરની બાજુ હૃદય વગેરે અવયવો માટે ખાડાવાળી છે. દરેક ફેફસાંની આગલી કિનારી પાતળી અને કોમળ હોઈ વધતે ઓછે ભાગે હૃદયને ઢાંકે છે. ડાબા ફેફસાં કરતાં જમણું ફેફસું એક તસુ જેટલું નાનું હોય છે, પણ તેને જગ્યા આપવાને ઉરોદરપટલ જમણી બાજુએ ઊંચું રહેવાથી જમણું ફેફસું કંઈક વધારે પહોળું છે જમણાં ફેફસામાં વધારે હવા રહી શકે છે અને તેનું વજન ડાબા ફેફસાં કરતા વધારે છે. દરેક ફેફસામાં તેને બનાવનારા અસંખ્ય વાયુકોષોમાં દરેક પળે રક્તશુદ્ધિ થયા કરે છે. આખા શરીરમાં ફરીને તેનાં જુદાં જુદાં અંગોની તેમ જ તેઓને બનાવનારા કોષોની પ્રવૃત્તિને લઈને ઉતપન્ન થતો આંગારિક વાયુ, પોતાનામાં સમાવી લેતું શિરાઓનું મેલું લોહી ફેફસાંઓના વાયુકોષમાં આંગારિક વાયુ છોડી દઈને તેમ જ પ્રાણવાયુનો નવો જથ્થો લઈ ને શુદ્ધ અને લાલ થઇ જાય છે. આ પ્રમાણે ફેફસાંમાં ફરતા લોહીનો રક્તશુદ્ધિ એ મુખ્ય ઉદ્દેશ છે. ફેફસાંઓને ત્રણ પ્રકારે ઈજા થાય છેઃ (૧) છાતી એકદમ દબાવવાથી, (૨) પાંસળી તૂટવાથી અને તેનો છેડો તેમાં પેસી જવાથી, (૩) અગર તો તીક્ષ્ણ ધારવાળું હથિયાર કે ગોળી વાગવાથી. એને પરિણામે છાતીમાં લોહી ભરાય, દરદીને લોહીની ઊલટી થાય, ગભરામણ થાય, શ્વાસ ચડે, છાતીમાં સખત પીડા થાય તથા ક્વચિત ફેફસાંનો થોડો ભાગ છાતીની બહાર આવે. કોઈ વાર ફેફસાંની હવા જખમ મારફતે બહાર આવી છાતી ઉપરની ચામડીની નીચે એકઠી થયેલી માલૂમ પડે છે. ફેફસાંનો એક પિંડ અથવા બંને ફેફસાઓના છૂટાછવાયા થોડા ભાગો સૂજી આવે છે. ફેફસાંઓના ક્ષયમાં તેઓ ક્રમે ક્રમે ખવાઈ ને તૂટી પડે છે. કેટલાએક માણસોના ફેફસાંઓમાંના વાયુકોષો જૂની ખાંસી કે દમ જેવા વ્યાધિઓને લીધે હમેશને માટે પહોળા થઈ જાય છે તથા તેમની દીવાલો પાતળી થઈ જર્જરિત થઈ જાય છે કે તૂટી જાય છે. જમણા ફેફસાંના ત્રણ પિંડ જ્યારે ડાબાના બે પિંડ છે. દરેક પિંડમાં એક એક કલોમકાંડિકા જાય છે અને ક્રમે ક્રમે નાની નાની શાખાઓમાં વહેંચાઈ જઈને દ્રાક્ષના ગુચ્છા જેવા તેમના છેડાઓ, વાયુકોષોના સંઘમાં અથવા હવાની ઓરડીઓમાં દાખલ થાય છે. હરેક કોષસંઘમાં પાંચ છ વાયુકોષો હોઈ તેનું કદ આશરે એક આંગળના સોળમાં ભાગ જેટલું હોય છે. કોઈ કોષસંઘ નાનો તો કોઈ મોટો. એવા અસંખ્ય કોષસંઘાતો મળીને ફેફસાંનો એક પિંડ બને છે. દરેક વાયુકોષ અર્ધગોળાકાર હોઈ સ્થિતિસ્થાપક ગુણવાળા સ્નાયુસૂત્રો વડે વીંટળાયેલો છે, જ્યારે તેની અંદરની અંતર્ગોળ બાજુ પાતળી કળા વડે છવાયેલી હોય છે. નજીક નજીક રહેલા કોષોની વચ્ચે ધમનીઓ તેમ જ શિરાઓની સૂક્ષ્મ શાખાઓ છૂટથી પ્રસરેલી હોય છે. તેઓ આ કોષોની બહારની બાજુને ગાઢી રીતે વીંટળાયેલી હોય છે. ફુપ્ફુસાભિગા ધમનીની શાખાઓ હૃદયના જમણા ભાગનું અશુદ્ધ લોહી અહીં લઈ આવે છે. વાયુકોષોની અંદર આવેલી તાજી હવામાંનો પ્રાણવાયું આ અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે. લોહીમાંનો બહાર કાઢી નાખવાનો યોગ્ય આંગારિક વાયુ વાયુકોષોની અંદર દાખલ થયેલી હવા બહાર નીકળતાં ફેફસાંની બહાર આવે છે. આ પ્રમાણે દરેક વાયુકોષમાં પ્રાણવાયુ લોહી શુદ્ધ કરે છે અને આંગરિક વાયુ છૂટો પડી જાય છે. ત્યારબાદ શુદ્ધ લોહી, ફુપ્ફુસીય શિરાઓની શૂક્ષ્મ શાખાઓ દ્વારા એકઠું થઈ ને હૃદયના ડાબા ભાગમાં દાખલ થાય છે. ત્યાંથી તે મહાધમની દ્વારા આખા શરીરમાં ફેલાય છે. ફેફસાંની ગતિ ધમણની પેઠે થયા કરે છે. જે પેટીમાં ફેફસાં છે, તે પેટીને તળિયે એક પડદો છે. સંકોચ વિકાસ પામ્યા કરે છે. પડદો પહોળો થાય ત્યારે પેટી મોટી બને છે એટલે મોં કે નાક વાટે બહારની હવા ઝટ દઈ ને અંદર પેસી જાય છે. પડદો જ્યારે ટૂંકો થાય, ત્યારે પેટી નાની થાય છે, અને તે વખતે તેમાં ભરાયેલી હવા તેમાં સમાતી નહિ હોવાને કારણે વધારાની હવા ઉચ્છવાસ રૂપે બહાર નીકળે છે. ફેફસાંમાં જો હવા ન જાય તો આપણે ગૂંગળાઈને મરી જઈએ. ફેફસાંને મજબૂત અને નીરોગી રાખવા માટે રોજ ખુલ્લી હવામાં શ્વાસ પુષ્કળ લેવો જોઈએ. શુદ્ધ હવા લેવાથી ફેફસાં સારાં રહે છે. ફેફસા નિરોગી હોય તો લોહી પણ શુદ્ધ રહે છે, અને લોહી શુદ્ધ હોય તો હૃદય પણ નીરોગી રહે છે.
image
|