4 |
|
पुं. |
ઈશ્વર; નિરંજન નિરાકાર પરમાત્મા; વિશ્વસત્તા; પરમેશ્વર. બ્રહ્મની પરિપૂર્ણતા વિષે ઈશોપનિષદમાં કહ્યું છે કેઃ
પૂર્ણ તે, પૂર્ણ આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે,
પૂર્ણમાંથી પૂર્ણ લેતાં, પૂર્ણ જ શેષ રહે.
તે બ્રહ્મ પૂર્ણ છે. આ જગત પૂર્ણ છે. બ્રહ્મથી જગત ઉદ્ભવે છે અને બ્રહ્મમાં જગત લીન થતાં બાકી રહેલ બ્રહ્મ પણ પૂર્ણ જ છે. તે પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ શબ્દનો અર્થ ઊનતા રહિત છે, અર્થાત્ પરમાત્મા ઊનતા રહિત છે, એટલે કે તેનામાં કોઈ પણ જાતની ત્રુટી નથી. સ્વરૂપદૃષ્ટિએ કે ધર્મદૃષ્ટિએ પરમાત્મા પરિપૂર્ણ છે, નિર્દોષ છે. એ પરમાત્મા સદ્રૂપે પણ પરિપૂર્ણ છે, ચિતરૂપે પણ પરિપૂર્ણ છે અને આનંદરૂપે પણ પરિપૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. પરમાત્મા અને જગતમાં આપણને જે ઊનતા જેવું લાગે છે, તે વિકૃત દૃષ્ટિનું જ પરિણામ છે. શુદ્ધ દૃષ્ટિએ સમજવામાં આવે તો પરમાત્મા અને જગતમાં કશી યે ઊનતા નથી, કેમકે આ જગત પરમાત્માથી ઉદ્ભવ્યું છે. પરમાત્મા આ જગતનું કારણ હોઈને તે પણ કાર્યરૂપ બ્રહ્મ સમું પરિપૂર્ણ જ છે. આ મંત્રમાં પરમાત્મા અને જગતની વાસ્તવિકતા બતાવી છે અને પાઠકોને પ્રબોધે છે કેઃ આદિ, મધ્ય અને અંતમાં પરમાત્મારૂપી બ્રહ્મ પરિપૂર્ણ જ છે. આદિમાં બ્રહ્મ પૂર્ણ છે. તેમાંથી પૂર્ણ જગત ઉદ્ભવે છે. તે મધ્યકાળમાં પણ બ્રહ્મ પૂર્ણ છે અને આ પૂર્ણ જગત પાછું પૂર્ણ બ્રહ્મમાં લીન થાય છે. ત્યારે અંતમાં તે પૂર્ણ જ છે. આ રીતે બ્રહ્મ આદિ, મધ્ય અને અંતમાં પૂર્ણ જ છે.
ઉપયોગ
બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા સત્ય એ જ પરં ઈશ, જાણે છે સત્યને એમ ત્રિકાળદર્શી તે જ છે. – ગાંધીગીતા
|
29 |
|
पुं. |
વિષ્ણુ. તે સર્વત્ર સર્વવ્યાપક તત્ત્વ, સત્, ચિત્, આનંદ અથવા અસ્તિ, ભાતિ, પ્રિય સ્વરૂપ અને દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન, અખંડ, એક, અદ્વૈત, સજાતીય, વિજાતીય અને સ્વાગત ભેદ રહિત પરમ આત્મતત્ત્વ છે.
|
43 |
[ સં. બૃહ્ ( વધવું ) ] |
न. |
જગતનું મૂળતત્ત્વ; દેશ, કાળ અને વસ્તુની મર્યાદાનું અતિક્રમણ કરી પોતાના સ્વરૂપમાં અથવા મહિમામાં રમતું સત્, ચિત્ અને આનંદ નામના સ્વભાવધર્મવાળું તત્ત્વ. તે પોતે અત્યંત મોટું હોઈ સર્વ નાનાં અથવા અણુ ચૈતન્યોને પોતાના સમાન મોટાં બનાવે છે, તેથી તેને બ્રહ્મ કહે છે. બ્રહ્મ અને પરમાત્મા પર્યાય શબ્દો છે. જગતના કારણના અર્થમાં પરમાત્મા શબ્દ વપરાય છે, જ્યારે સચ્ચિદાનંદ સ્વભાવ માત્રને લક્ષ્યમાં લઈએ ત્યારે તે પરબ્રહ્મ કહેવાય. જ્યારે શુદ્ધ સત્યાદિ ત્રણ ધર્મોથી વિશિષ્ટ ભાવમાં સમજીએ ત્યારે તે અપરબ્રહ્મ. નામરૂપાત્મક સઘળા જગતને આકારે પરિણામ પામતી માયાનું તે અધિષ્ઠાન છે. ચરાચર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છતાં નિર્ગુણ અને માયા, અવિદ્યા વગેરે ઉપાધિઓથી રહિત છે. આનંદમય કોશના આધારરૂપે જે નિરુપાધિક આનંદ છે, તે જ બ્રહ્મ છે. જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, જેના વડે જગતની સ્થિતિ છે અને પ્રલયકાળે જેમાં જગતનો અભેદભાવે પ્રવેશ થાય છે, તે બ્રહ્મ છે. બ્રહ્મ તો ચક્રાતીત છે અને ચક્રાતીતનું સ્થાન તો સર્વત્ર છે. તે તો કૈવલ્યાદ્વૈતનું મહાપદ છે. તેને રૂપ, રંગ કે નામ નથી. બ્રહ્મસ્વરૂપનો વિચાર કરવામાં જે પુરુષ અસમર્થ હોય, તેણે આત્માથી અભિન્ન બ્રહ્મની ઉપાસના સતત કરવી. બ્રહ્મનું નિરંતર ચિંતન કરનાર પુરુષને તેના ચિંતનના પરિપાકે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. જેમ ભૂમિના ઊંડાણમાં રહેલા ખજાનાની પ્રાપ્તિનું સાધન એ ભૂમિને ખોદવી એ જ છે. તેમ બ્રહ્મનું ચિંતન કરવું એ બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. બુદ્ધિરૂપી કોદાળી વડે શરીરરૂપ માટી ને પાણાને દૂર કરવા માટે મનોરૂપ ભૂમિને ખોદવી અને બ્રહ્મથી અભિન્ન આત્મરૂપ ખજાનાની પ્રાપ્તિ કરવી. બ્રહ્મ સદ્રૂપ, ચિદ્રૂપ ને સુખરૂપ છે. ભગવાન ઉદ્દાલકે બ્રહ્મને સદ્રૂપ કહેલ છે અને ભગવાન સનત્કુમારે બ્રહ્મને આનંદરૂપ કહેલું છે. બ્રહ્મની કામના રહિત ઉપાસના કરનારને મોક્ષલાભ થાય છે, એમ નૃસિંહતાપનીય ઉપનિષદમાં કહ્યું છે અને બ્રહ્મની કામના સહિત ઉપાસના કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, એમ પ્રશ્નોપનિષદમાં કહેલું છે. વેદાંતદર્શનમાં પણ એમ જણાવેલું છે. બ્રહ્મ પોતાને આશરે રહેલી માયા નામની શક્તિ વડે ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય છે. બ્રહ્મની જ્ઞાનશક્તિ દેવાદિનાં શરીરોમાં પ્રાપ્ત થાય છે. પવન, પાષાણ, પાણી, આકાશ, અગ્નિ અને વિનાશ પામનારી વસ્તુઓમાં અનુક્રમે ગતિશક્તિ, દૃઢપણારૂપ શક્તિ, પ્રવાહી શક્તિ, શૂન્યશક્તિ, દાહશક્તિ અને નાશશક્તિ રહેલી છે. પ્રલયકાળે બ્રહ્મમાં જગતની અવ્યક્તરૂપે સત્તા હોય છે. સાપનાં ઈંડામાં જેમ મોટો સાપ ન જણાય એવી રીતે રહેલો હોય છે, તેમ આત્મામાં ન જણાય એવી રીતે જગત રહેલું હોય છે. વૃક્ષના બીજમાં જેમ ફૂલ, ફળ, પાંદડાં અને પાતળી ડાળીઓ ઇત્યાદિ સહિત ઝાડ ગુપ્તરૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત ગુપ્તરૂપે રહે છે. કેટલાકનો મત એવો છે કે, બ્રહ્મનો મૂળ અર્થ વૈદિક ઋચા એવો થાય છે. તેમાંથી ક્રમે ક્રમે તેનો અર્થ વેદ થયો અને છેવટે વેદમાં આખી દુનિયાના આધાર ને સારભૂત વસ્તુનું જે વર્ણન કરેલું છે તે બ્રહ્મ એવો અર્થ થયો. કેટલાક એમ માને છે કે, આ ચિદાકાશ અગર આત્માનો સમાવેશ જે પરમ તત્ત્વ કિંવા આકાશમાં થાય છે તેને ચિદાકાશ, પરમાત્મા અગર બ્રહ્મ કહે છે. આ તત્ત્વની દીર્ઘ વાસના અને સતત અભ્યાસ થકી જીવાત્મા સ્વયં ચિદાકાશ, પરમાત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ બની જાય છે. એક અદ્વિતીય સદ્રૂપ બ્રહ્મ આ જગતનું કારણ છે, એમ છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા પ્રપાઠકમાં કહ્યું છે. તે અતિસૂક્ષ્મ હોવાથી કોઈ પ્રકારના અવલંબન વિના જાણી શકાતું નથી. તેથી આકાશાદિ પંચમહાભૂતનું તેનાથી વિવેચન કરીને તેનું જ્ઞાન સંપાદન કરાય છે. બ્રહ્મ શબ્દનો શબ્દાર્થ વિશાળ સત્તા એમ પણ થતો મનાય છે; અર્થાત્ આત્માની સત્તા, દેહમાત્રમાં રૂંધાયેલી નથી; એની સત્તા સચરાચરમાં વ્યાપ્ત છે. આથી દેહાદિમાં રહેલા પ્રાદેશિક આત્માનું દર્શન એ બ્રહ્મદર્શન નથી, એ અલ્પદર્શન છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતાં કહેવાયું છે કે, ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચાર વિભાગો જેમ મહાકાશમાં કલ્પાય છે, તેમ ચેતનમાં પણ બ્રહ્મથી અભિન્ન આત્માનું સ્વરૂપ સમજવા માટે કૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એવા ચાર વિભાગમાં કલ્પાય છે. જેમ બ્રહ્માંડની અંદર ને બહાર રહેલું આકાશ મહાકાશ કહેવાય છે, તેમ માયાની અંદર ને બહાર વ્યાપી રહેલું ચેતન બ્રહ્મ કહેવાય છે.
ઉપયોગ
પ્રાણી અન્નથી થાય છે, નીપજતું એ અન્ન વૃષ્ટિ થકી, વૃષ્ટિ યજ્ઞથી થાય, ઉદ્ભવ થતો એ યજ્ઞનો કર્મથી; કર્મો બ્રહ્મથી ઉદ્ભવ્યાં, સમાજ તું તે બ્રહ્મ તો અક્ષરે, સૌમાં વ્યાપક તેથી, બ્રહ્મનું સદા યજ્ઞે અધિષ્ઠાન છે. – ગીતા પંચામૃત
|