1 |
[ સં. ] |
न. |
અજાયબગૃહ; અજાયબી ભરેલી ચીજોનો સંગ્રહ કરવા માટેનું સ્થાન; સંગ્રહાલય; જ્યાં દેશપરદેશની જાણવા અને જોવાજોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ; ‘મ્યૂઝિયમ’ સંગ્રહસ્થાન એ લોકશિક્ષણનું અગત્યનું અંગ છે. સંગ્રહસ્થાન એ શાળા નહિ પણ મહાશાળા છે. આંખ અને સ્પર્શ દ્વારા અપાતી કેળવણી યોજનામાં એક પ્રધાન અને નક્કર અંગ છે. જગતના ઈતિહાસ ભણી દૃષ્ટિ કરતાં આપણે જોઈ શકીએ કે, પૃથ્વી ઉપર માનવરૂપ પ્રાણીના જન્મ સાથે તેને કંઈક નવું જાણવાની , કંઇક સંગ્રહ કરવાની અને તેમાં સાત્ત્વિક આનંદ લેવાની વૃત્તિ ગ્રહજ છે. સૂજન જૂની આવી આવી કોઈ વૃત્તિઓનું વ્યાપક સ્વરૂપ સંગ્રહસ્થાનમાં અથવા કોઈ સંશોધન-સંસ્થામાં પરિણમે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિનો ઉદભવ થાય છે એટલે પુરાતત્ત્વ પણ આવી માનવવૃત્તિનું સીધું પરિણામ છે. સંગ્રહસ્થાન માટે અંગ્રેજીમાં વપરાતો મ્યૂઝિયમ શબ્દ ગ્રીક શબ્દ મ્યૂઝ ઉપરથી આવેલો છે. તેનો શબ્દાર્થ સર્વ વિદ્યાદેવીઓનું મંદિર એવો થાય છે. સંગ્રહસ્થાન એ પરંપરાથી ઊતરી આવેલી સંસ્કૃતિનો સાર્વજનિક ખજાનો છે. આપણા ગૌરવશાળી પૂર્વજોના આત્માનાં દર્શન કરવાનું પવિત્ર મંદિર છે. પ્રાચીન સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવવાની મશાલ છે અને શક્ય હોય તો સારા યે વિશ્વનાં જ્ઞાન અને સંસ્કારનું કેંન્દ્ર છે. યરપમાં લગભગ પ,૦૦૦ સંગ્રહસ્થાનો છે ત્યારે આપણા દેશની વસ્તી જોતાં ઘણાં જ ઓછાં કહી શકાય તેટલાં – માત્ર ૯૫ જેટલાં સંગ્રહસ્થાનો છે. અમેરિકામાં સંગ્રહસ્થાન કેળવણીનું મહત્ત્વનું અંગ બની જાય છે: શાળા અને કોલેજની મહત્ત્વની પ્રયોગશાળા બની જાય છે. ૧૯૫૧ ના જુલાઈમાં સંગ્રહસ્થાન પરિષદનું ઉદઘાટન પ્રસંગે બોલતાં શ્રી ખેરે કહ્યું હતું કે, સામાજિક કેળવણીની પ્રવૃત્તિમાં આવતી કાલનાં સંગ્રહસ્થાનોએ મહત્ત્વનો ભાગ ભજવવાનો રહેશે. ભારતનાં વડાપ્રધાન શ્રી નહેરુએ પણ હાલમાં જણાવ્યું છે કે, મારી મહત્વાકાંક્ષા તો સારો યે ભારત સંગ્રહસ્થાનોથી ભરાઈ જાય તેવી છે. જેથી માત્ર રાષ્ટ્રના ઊંચામાં ઊંચા વારસાને ઊગતી જનતા સમજી શકે, એટલું જ નહિ પરંતુ ભારતના ભવ્ય આદર્શોને પોતાના જીવનમાં ઊતારી શકે. આવા પૂર્ણ આદર્શને પહોંચી વળવા સંગ્રહસ્થાનમાં સારી યે સંસ્કૃતિની વાતો મૂર્ત સ્વરૂપમાં ગોઠવાયેલી હોવી જોઈએ . પ,૦૦૦ વર્ષ પૂર્વેના મોહન-જો-દેરોથી માંડીને આધુનિક કાળ સુધીની કલાકારીગીરી, ચિત્રો શિલ્પસ્થાપત્ય, સિક્કા, લેખો વગેરેના નમૂનાઓ બની શકે તો પ્લાસ્ટરકાસ્ટના, નહીં તો તે બધાની આબેહૂબ છબીઓનો સમાવેશ થવો જોઈએ. તેની સાથે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કળાના નમૂના પણ હોવા જોઈએ, જેથી સંસ્કૃતિના અભ્યાસીઓને સરખામણી કરવી ઠીક પડે અને સામાન્ય મનુષ્ય પહેલી નજરે સારી યે સંસ્કૃતિના ઈતિહાસનો પળવારમાં ખયાલ કરી શકે. માનવ પોતે જ એ ભવ્ય સંસ્કૃતિનો વારસદાર છે, તે તેનું પાન કરી શકે. આજ રીતે અન્ય વિષયો જેવા કે, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, સામાજિકશાસ્ત્ર, વિજ્ઞાન અને ઇતિહાસનાં અન્ય ચિત્રો તેમ જ હકીકત સમજાવતા નકશા હોવા જોઈએ. આ બધું દરેક વિષયના ખાસ નિષ્ણાતો પાસે તૈયાર કરાવેલું હોવું જોઈએ. તે ઉપરાંત આવા વિષયોના પારંગતોનાં ભાષણો સંગ્રહસ્થાનમાં અવારનવાર ગોઠવવાં જોઈએ. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આ રીતે સંગ્રહસ્થાન એક મહાન પ્રયોગશાળા બની રહેશે. આવી જ રીતે સ્થાનિક તેમ જ રાષ્ટ્રીય મહાન વ્યક્તિઓ, કવિઓ, લેખકો, ચિત્રકારો, ભક્તો અને જાહેર સેવકોના પણ ખાસ વિભાગો સંગ્રહસ્થાનમાં હોવા જોઇએ. તેમાં તેમના જીવનને લગતી સઘળી બાબતો, ચીજો તેમ જ તેમના કર્તવ્યનો ખયાલ આપતો સંગ્રહ હોવો જોઈએ અને યોગ્ય રીતે પ્રદર્શિત કરવો જોઈએ. તેમની જયંતીઓ ત્યાં ઉજવાવી જોઈએ જેથી જનતા તેમના આદર્શ તરફ દોરવાય. ભારતના સંગ્રહસ્થાનમાં પૂ. મહાત્માજી વિષે એક અગ્ર વિભાગ તો તદ્દન આવશ્યક છે. આવાં સંગ્રહસ્થાનોની તેમ જ અન્ય સ્થાનિક અને રાષ્ટ્રીય કલાકારીગીરી, શિલ્પસ્થાપત્ય અને સ્મારકોની ફિલ્મ ઉતરાવી સામાન્ય જનતા તેમજ ગ્રામ્ય જનતામાં શક્ય તેટલો પ્રચાર થવો જોઈએ. આવા ભગીરથ આદર્શોને પહોંચી વળવા સંગ્રહસ્થાનના સંચાલકની જવાબદારી ખૂબ બધી પડે છે. સંગ્રહસ્થાન શાળાની મહાશાળા બને તો ક્યુરેટરે પણ શિક્ષકોનો શિક્ષક બનવું ઘટે. તેટલાં જ્ઞાન, શક્તિ અને ચરિત્ર તેનામાં હોવાં જોઈએ. તેણે તો આ વિદ્યાદેવીના મંદિર માટે પૂજારી થવું ઘટે કારણ કે તે આ ભવ્ય સંસ્કૃતિનો પ્રચારક છે, રક્ષક છે. નાનાલાલ લખે છે કે: ભારતીય ઇતિહાસ એટલે સંસારશાસ્ત્રના અજબ અખતરાઓનું સંગ્રહસ્થાન. દ્રૌપદીના પાંચ પતિ, શ્રીકૃષ્ણની અષ્ટપટરાણીઓ, રામનું એક પત્નીત્ત્વ, સીતાજીનું એક પતિત્ત્વ, સુભદ્રાહરણનો રાક્ષસવિવાહ, સીતા, દ્રૌપદી, સંયુક્તાના સ્વયંવરો, પિતૃઆજ્ઞાધારી રામ, પિતૃસ્વતંત્ર પ્રહ્લાદ, સરસ્વતીનાં બ્રહ્મચર્ય, તારા મંદોદરીના વિધવા વિવાહ, સાગર બાંધી પૃથ્વીના એકચક્ર ચક્રવર્તીઓ, રાજવી-શૂન્ય પ્રજાશાશનાં રાજવિધાન, સત્યવાદી હરિંદ્ર, રાજખેલાડી ચાણક્ય, રાજવીકુલમાં સૌંદર્યમણિ સરિખડી શકુંતલા, નૂરજહાં, મુમતાઝ મહાલ, અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ અને ચાંદબીબી સમી અમર સોહાગિણી રાજરાણીઓ, કુંતા અને જીજીબાઈ સમી રાજમાતાઓ, કવિતા, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નાટક, સૌંદર્યનો સર્વાંગી ખિલાવ; ઢાકાનું મલમલ સાત સાત પડ છતાંયે મહીંથી શરીર ઝંખાય; અમદાવાદનો કિનખાબ- જેની સોનામોહિની આજેય નથી ઉતરી; મેઘદૂત અને શાકુંતલ, રામાયણ અને મહાભારત; દેલવાડાનાં મંદિરોની આરસકોતરી કવિતા, તાજમહાલનું આરસઆલેખ્યું દાંપત્યકાવ્ય, ગોકુલ વૃંદાવનની ગોપ કવિતા, બુદ્ધ સમા ધર્મસંસ્થાપક, કપિલ, કણાદ, પતંજલિ સમા ફિલસૂફો; વારણાવટમાંના ફિલસૂફીના અખાડાઓ અને ધર્મ વિપ્લવો; બ્રહ્માવર્તનું બ્રાહ્મણત્ત્વ, ચિતોડનું ક્ષત્રિયત્ત્વ-ક્ષત્રિયોનાં કેસરીયાં; ક્ષત્રાણીઓનાં જૌહર; ભામાશાહ ટોડરમલ્લ, જગડુશાહ, વસ્તુપાળ, તેજપાળ સમાઓનાં વૈશ્યત્ત્વ; રાજતરંગિણી, અકબરનામા, બાબરશાહનું આત્મવૃતાંત સમા ઈતિહાસો, કાદંબરી સમી જન્માંતરની મહાવાર્તા, સાગરખોળે ઊછળતા પારસીઓનો ગુજરાતખોળે સમાસ; પ્રાચીનમાં પ્રાચીન ખ્રિસ્તીઓની પહેલાં બીજા સૈકામાં જ મલબાર કાંઠે વસાહતો એ બધું પૃથ્વીપાટલે શોધ્યું જડે તેમ નથી. વિશ્વની વિચિત્રતાઓમાં લખ્યું છે કે: ન્યુયોર્કના હુન્નરવિજ્ઞાનના સંગ્રહસ્થાનમાં રોક્ફેલર કેંદ્રમાં બેલ્જિયમની એક અજાયબ ઘડિયાળ છે. તે ૧૬ ફૂટ ઊંચી છે અને તેમાં ૯૩ કાંટા છે. સૌથી ઝડપી કાંટો સેકંડના વિભાગમાં આખું ચક્કર ફરી વળે છે. જ્યારે સૌથી ધીમા કાંટાને આ ચક્કર ફરતાં ૨૬,૦૦૦ વર્ષ લાગે છે ! આ ઘડિયાળ માં ચાલુ વખત જોવા ઉપરાંત આખા જગતનાં અગત્યનાં શહેરોમાં ચાલતા વખત, મુખ્ય બંદરોની ભરતી, ઓટ, પંચાંગની ગણતરી, પૃથ્વી તથા બીજા ગ્રહોની ગતિ તેમજ બીજી કેટલીયે અગત્યની બાબતોની ખબર પડે છે.
|