10 |
[ ફા. મધ્ઝ ] |
न. |
ભેજું; માથાની ખોપરીમાંનો સમજણ અને જુસ્સાને લગતા તંતુઓનો સમૂહ; ઇંદ્રિયોની મારફત મળતા જુદા જુદા જ્ઞાનનો ધારણ કરનારો, પોચો અને લોચા જેવો માથામાંનો ઘણા તંતુવાળો અવયવોનો પિંડ; ખોપરીની અંદરનો નરમ ભાગ; શિરોબ્રહ્ય; જ્ઞાનતંતુઓનું કેન્દ્ર. તેના ત્રણ વિભાગ છેઃ મોટું મગજ, નાનું મગજ અને મજ્જાતંતુ. મગજમાં પુષ્કળ ગડી કે કડચલી હોય છે. જેમ મગજમાં ગડી વધારે તેમ મગજમાં બુદ્ધિ વધારે. મોટું મગજ નાના મગજ કરતાં આઠગણું મોટું હોય છે. ઇચ્છા, લાગણી, અનુભવ અને આંખ, નાક, કાન, જીભ અને ચામડી એ પાંચે જ્ઞાનેંદ્રિયો દ્વારા જ્ઞાન થવું તે મોટા મગજનું કાર્ય છે. નાનું મગજ મોટા મગજની પાછળના ભાગમાં આવેલું છે. હાથપગ વગેરે અવયવો ટટ્ટાર રાખવા, તેને યોગ્ય રીતે ચલાવવા વગેરે ઉપર નાના મગજનો કાબૂ છે. આ નાના મગજને કેફ વગેરેની અસર થાય તો હાથ, પગ વગેરે અવયવો ઉપરથી માણસનો કાબૂ જતો રહે છે. મજ્જાતંતુ એ ડોકની ઉપરના ભાગમાં મસ્તકમાં આવેલો દોઢેક ઇંચ લાંબો જ્ઞાનતંતુ છે. તેનું કામ ઘણું જ અગત્યનું છે. શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકાર ઉપર તેનો કાબૂ છે. મોટા મગજ અને નાના મગજને ઈજા થાય તો કંઈ ખાસ વાંધો આવતો નથી, પરંતુ મજ્જાતંતુને ઈજા થાય તો હૃદયના ધબકારા અને શ્વોસોચ્છવાસની ક્રિયામાં હરકત આવે છે અને પરિણામે માણસ મૃત્યુ પામે છે. માટે માણસને મસ્તકના પાછળના ભાગ ઉપર મારવાની મના કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે મોટું મગજ તથા નાનું મગજ આરામ કરતું હોય ત્યારે ઊંઘમાં મચ્છર કરડે કે માખી બેસે તો તેને ઉડાડવાનું વગેરે સાદાં કાર્ય કરોડરજ્જુ કરે છે. જ્ઞાનતંતુઓ દ્વારા આખા શરીરમાં મગજ સંદેશાઓ ચલાવે છે. જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાની આપલે થાય છે. જ્ઞાનતંતુઓ બે પ્રકારના હોય છેઃ આખા શરીરમાંથી મગજમાં સંદેશા લઈ જાય છે તે સંદેશવાહક જ્ઞાનતંતુઓ કહેવાય છે અને મગજમાંથી સંદેશો શરીરના દરેક ભાગમાં લઈ જાય છે તે આજ્ઞાવાહક જ્ઞાનતંતુઓ કહેવાય છે. મગજને બે બાજુ હોય છે અને આ બે બાજુ વચ્ચે તફાવત નથી. જન્મ વખતે બંને બાજુઓ સરખી હોય છે. મગજની ડાબી બાજુ કે જે આપણી ઇચ્છિત હિલચાલ ઉપર કાબૂ રાખે છે, ત્યાં આપણે જોઈએ છીએ કે જ્ઞાનતંતુકોષ માંહેના કેટલાક જ્ઞાનતંતુઓનો સમૂહ ભારીરૂપે ત્યાં રહેલ છે. તેને આપણે ઇચ્છાશક્તિનો રસ્તો કહી શકીએ. આ બંડલ અથવા જ્ઞાનતંતુઓનો સમૂહ મગજની ડાબી બાજુની નીચે જાય છે અને ધીમે ધીમે શરીરની મધ્યમાં આવે છે. પછી એવે ઠેકાણે આવે છે કે જ્યાં લગભગ આખો સમૂહ જમણી બાજુ તરફ ફરે છે. આથી પરિણામ એ આવે છે કે, શરીરનો જમણો ભાગ ડાબા મગજના હાથમાં છે અને તેવી જ રીતે ડાબો ભાગ મગજના જમણા ભાગના કાબૂમાં છે. મગજની ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે એ જ તફાવત હોય છે. જે માણસનું ડાબું મગજ વધારે કામ કરતું હોય તેને મગજની ડાબી બાજુ તરફ વધારે લોહી મળે છે અને જમણી બાજુને ઓછું મળે છે. જો આપણે છાતીમાં રક્તવાહિનીઓ જોઈએ કે જ્યાંથી માથા તરફ ધમનીઓ જાય છે, તો આપણને માલૂમ પડશે કે, ધમનીઓ એવી રીતે ગોઠવાયેલ છે. કે, ડાબી બાજુના મગજને લોહી વધારે સીધી રીતે મળે છે, પરંતુ જો આપણે મગજને જોઈએ તો માલૂમ પડશે કે, બંને બાજુને સરખું લોહી મળે છે. એટલે આપણે કોઈને ડાબેરી કહીએ ત્યારે સમજવું કે તેના મગજનો જમણો ભાગ વધારે બળવાન છે અને આપણે જ્યારે જમણેરી કહીએ ત્યારે સમજવું કે તેના મગજનો ડાબો ભાગ વધારે શક્તિવાન છે. એમ સાબિત થયું છે કે, જમણેરી લોકો શબ્દની સમજણ મગજના ડાબા ભાગથી જ કરે છે. શબ્દ સમજવાને માટે ડાબા ભાગમાં એક ખાસ ભાગ રાખ્યો છે, તેને આપણે શબ્દજ્ઞાન કહીશું. જો શબ્દજ્ઞાનકેંદ્રને કોઈ રીતે ઈજા થાય તો બાળકની માફક સમજણ વગર માણસ માત્ર શબ્દ સાંભળી શકે. આપણા બંને હાથ સરખું કામ કરી શકતા નથી, કારણ કે કુદરતે કરકસર વાપરી છે. જે વસ્તુ એકથી થઈ શકે તે વસ્તુ બીજાથી થવી જોઈએ એ જરૂરિયાતનું નથી. એવી પણ સબળ માન્યતા છે કે, અનેક ભાષા જાણનાર લોકોને ઉપર કહ્યા તેવા શબ્દ સમજવા ભાષાદીઠ ભાગ હોય છે. દરેક ભાષાને તેનું પોતાનું કેંદ્ર હોય છે, જે કેળવણીથી વૃદ્ધિ પામેલ હોય છે. આ કેંદ્રનું સ્થાન માણસ જમણેરી કે ડાબેરી હોય તે ઉપર આધાર રાખે છે. કોઈ કોઈ વાર આપણું ચિત્ત બીજી વસ્તુ તરફ હોય ત્યારે સામા માણસના આપણે શબ્દો સાંભળીએ છીએ. પરંતુ તેનો અર્થ સમજતા નથી અને શું કહ્યું ? એવો પ્રશ્ન પૂછીએ છીએ. પરંતુ સામો માણસ જવાબ આપે તે પહેલાં આપણે તે જ શબ્દો સમજી લઈએ છીએ. આનું કારણ એ છે કે, કાનની ઇંદ્રિયે શબ્દો સાંભળ્યા પણ શબ્દજ્ઞાનકેંદ્રે એ શબ્દો તરફ લક્ષ્ય આપ્યું નહિ; પણ પાછળથી જ્યારે ખબર પડી ત્યારે કેંદ્રે ધ્યાન આપી તરત જ સમજી લીધું. સંગીતને માટે પણ મગજનો એક વિભાગ અથવા કેંદ્ર શબ્દજ્ઞાનકેંદ્ર નજીક હોય છે. સારા અને પ્રવીણ સંગીતશાસ્ત્રીઓના મરણ પછી તેમનાં મગજ તપાસતાં માલૂમ પડ્યું છે કે, તેઓનાં મગજનો સંગીત સમજવાનો ભાગ ખાસ કોષોથી વૃદ્ધિ પામેલ હોય છે. સંગીતના કેંદ્રની માફક જોવાનું કેંદ્ર અને ભાષાનું કેંદ્ર પણ હોય છે. મગજમાં ભાષાનું કેંદ્ર ઘણું વૃદ્ધિ પામેલ છે, કારણ કે મનુષ્ય અને પ્રાણી વચ્ચે મુખ્ય તફાવત એ છે કે, મનુષ્ય બોલી શકે છે તેટલા માટે આ કેંદ્ર ઘણી વૃદ્ધિ પામેલ છે. આ કેંદ્રની શોધ ઓગણીશમી સદીની અધવચમાં જાણીતા ફ્રેંચ વિજ્ઞાની બ્રોકાથી થયેલ છે, એટલા માટે આ ભાગને બ્રોકાક્ષેત્ર પણ કહે છે. જાણીતા તત્ત્વજ્ઞાની હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે, સારા વિચારકોને મગજની બંને બાજુ સરખી વૃદ્ધિ પામેલ હોય છે અને મગજમાં એક ભાગથી બીજા ભાગ તરફ જતાં અનેક તંતુઓ જોતાં માલૂમ પડશે કે, સ્પેન્સરે કહ્યું તે ખરું હશે. સૌથી રસમય પ્રશ્ર્ન એ છે કે, કેળવણીનું ધોરણ હલકું કર્યાં વિના અને શક્તિના ક્ષય વગર બંને બાજુઓ કેવી રીતે સરખી વૃદ્ધિ પામે ? દારૂ, કફ, આળસ, અતિ, પૌષ્ટિક ખોરાક, ઘણો તાપ, ટાઢ, ક્રોધ, હૃદય તથા ગુદરાનાં દરદોથી લોહી એકાએક મગજ ઉપર ચડી જાય છે અને વાઈ આવે છે. વાઈમાં ફૂંફાડા મારતો શ્વાસ હોતો નથી. આવી રીતે જ્યારે વાઈ આવે ત્યારે છાતીનો ભાગ ખુલ્લો કરી પવન નાખવો, કપાળ ઉપર ઠંડું પણી છાંટવું, પગ ગરમ પાણીમાં બોળવા અને જેમાં આલ્બ્યુમિન વિશેષ પ્રમાણમાં હોય તેવો મગજશક્તિ વધારનાર ખોરાક લેવો, તથા આવો ગુણ ધરાવનાર વનસ્પતિનો મુરબ્બો, લાડુ, રોટલી, ચાટણ, ઇત્યાદિના રૂપમાં ઉપયોગ કરવો શતાવરી, ભોંકોળું, આસંધ, ગોખરુ, કૌચાં, આમળાં, શંખાવળી, ઘઉં, ચણા, વટાણા, કાંદા, કારેલાં, અળશી, સફરજન, દાડમ, કેરી વગેરે પણ સારાં છે. બદામનાં મીંજ તોલો એક એલચી માસા ત્રણ, સાકર તોલો એક, ગાયનું ઘી તોલા બે એ સર્વ કલાઈના વાસણમાં રાત્રે અગાસીએ રાખી સવાર સાંજ ચાટવું એ પણ પુષ્ટિકારક છે અને તેથી આંખને પણ પોષણ મળે છે. માનવીઓ સદંતર સાંભળી ન શકે એવાં અવાજનીં મોજાંની સહાય વડે મગજના રોગો શોધી કાઢવાનો અખતરો અમેરિકની વૈજ્ઞાનિક સંસ્થામાં વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ચોક્કસ કોણથી સારા મગજ ઉપર કિરણાવલિ પસાર કરવામાં આવે છે ત્યારે અવાજ કેટલા સમયમાં વિલીન થાય છે એનું નિશ્ર્ચિત ધોરણ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે. કોઈ પણ પ્રકારના દોષની અસરવાળા મગજ ઉપર અસામાન્ય અવાજનાં મોજાંને મોકલવાથી એ મગજમાં જો અસામાન્ય ફેરફાર હોય તો, પેલા નિશ્ચિત ધોરણમાં ફરક પડવાથી તરત જ જાણી શકાય છે. મજગમાં બિનજરૂરી જ્ઞાનતંતુઓ છે કે નહિ તે નિશ્ર્ચિત કરવા માટે અત્યારે પ્રચલિત રહેલી ક્ષ કિરણ પદ્ધતિ કરતાં અવાજનાં મોજાં વાપરવાની પદ્ધતિ બહુ સરળ છે. ક્ષ કિરણોથી મગજ ઉપરનો બોજો તપાસવા માટે, એ પહેલાં મગજમાંના પોલાણને હવાથી ભરી દેવું પડે છે. આ પદ્ધતિ ગૂંચવાડાભરી અને અગવડકર્તા છે. મગજને સહેજ પણ નુકસાન થાય એ રીતે માનવીઓ ઉપર વધુમાં વધુ કેટલી ગતિમાં અવાજનાં મોજાં અથડાવી શકાય એ મર્યાદા નિશ્ર્ચિત કરવા માટેનું સંશોધન થઈ રહ્યું છે. પુરુષના મગજનું સરાસરી વજન ૫૦.૧૧ ઔંસ અને સ્ત્રીના મગજનું વજન ૪૪.૫૨ ઔંસ હોય છે. મગજ અને મનમાં ફેર છે. મગજને પ્રાણશક્તિ ચલાવે છે, જ્યારે મનને સંકલ્પો ચલાવે છે. મોટા મગજને આગલું મગજ પણ કહેવાય છે. લકવો, પક્ષઘાત, ધનુર, ઊરુસ્તંભ, આક્ષેપવાયુ વગેરે મગજની સાથે સંબંધ રાખતાં હોવાથી તેને મગજનાં દરદ કહે છે. મગજમાં ઊંડી અથવા છીછરી કરચલીઓ પડેલી હોય છે, જેને મગજનાં ગૂંચળાં કે વળિયાં કહે છે. સ્ત્રીઓમાં મગજની ગ્રંથિઓની ક્ષતિઓ ઉત્પન્ન થાય છે ત્યારે ધાવણ ઘણું પાતળું, સત્ત્વ વગરનું અને ઓછું આવે છે. મગજની ગ્રંથિઓને કારણે જ્યારે દૂધ ઓછું આવતું હોય ત્યારે ગૂગળના તમામ પ્રયોગ હિતકાર નીવડે છે. કાસ કરીને કૈશોરગૂગળ અને ત્રિફળાગૂગળ નો પ્રયોગ વધારે ફાયદાકારક નીવડે છે. જ્યારે બધી ગ્રંથિઓના મિશ્ર રોગો હોય અને કારણ ન સમજાય ત્યારે કોપરૂં અને ખડીસાકર ખૂબ પ્રમાણમાં ખાવાં એ રોગ દૂર કરવા માટેનું ઉત્તમ સાધન મનાય છે. મગજનાં દર્દો અને ગાંડપણ માટે જડીબુટ્ટીરૂપ લેખાતી વનસ્પતિ નિર્વિષા છે. તેનાં પાનનો તાજો રસ દરરોજ અરધો તોલો લેવાય છે.
રૂઢિપ્રયોગ
૧. મગજ ઉપર છારી વળવી = મગજ બહેર મારી જવું.
૨. મગજ ઊંધુંચતું થઈ જવું = બુદ્ધિ ઠેકાણે ન રહેવી.
૩. મગજ કહ્યું ન કરવું = (૧) બુદ્ધિ ન ચાલવી. (૨) મગજ ભમવું. (૩) મિજાજ જવો.
૪. મગજ ખસવું-જવું = (૧) ગાંડું થવું; સમજ ઓછી થઈ જવી; ભાન જતું રહેવું; સુધ જવી; કામમાં જે સાવધગીરી અને ચોક્કસપણું હોવાંજોઈએ તે ન હોવાં; મગજ બગડવું; ઘેલા બનવું; ડગલી છટકી જવી.
૫. મગજ ખાવું-ખાઈ જવું = કાયર કરવું; માથાફોડ કરાવવી; કંટાળો આપવો.
૬. મગજ ઠેકાણે ન હોવું = (૧) ભાન ખસી જવું. (૨) વ્યગ્ર કે ગુસ્સે હોવું.
૭. મગજ પાકી જવું = માથામાં દુઃખ થવું; માથાફોડી કંટાળવું.
૮. મગજ ફરવું-ફરી જવું = ગુસ્સાથી, તાપથી અને બીજાં ઉગ્ર કારણોથી માથું ભમી જવું; અક્કલ ન ચાલવી.
૯. મગજ ફોડવું = મગજને શ્રમ કે કંટાળો આપવો; માનસિક મહેનત લેવી કે આપવી.
૧૦. મગજ બહેર મારી જવું = મગજ શૂન્યવત્ કે જડ થઈ જવું; વિચારશક્તિ ચાલી જવી.
૧૧. મગજ ભમી જવું = બુદ્ધિ ઠેકાણે ન હોવી; ભાન ખસવું; ખરી વાત કે હકીકત અથવા રસ્તાની સૂઝ ન પડવી; અક્કલ ન ચાલવી.
૧૨. મગજનાં બારણાં ઊઘડવાં = અક્કલ આવવી; સૂઝ પડવી; ગમ પડવી; સમજ પડવી.
૧૩. મગજનું ખસેલું-ચસકેલું = ગાંડું; ઘેલું; ચળેલું.
૧૪. મગજનું ફરેલું-ફાટેલું = (૧) ઉદ્ધત; ઉચ્છ્રંખલ; બેતમાં; મગજનું ફરેલ. (૨) જક્કી; હઠીલું. (૩) મગરૂર; છકી ગયેલ.
૧૫. મગજનો ખીમો કરવો = મગજને ખૂબ ત્રાસ આપવો.
૧૬. મગજમાં આવવું- ઊતરવું = (૧) ભાસવું; જણાવું; વિચાર ઊઠવો; કલ્પનામાં આવવું; સમજવામાં આવવું. (૨) લક્ષમાં કે ધ્યાનમાં આવવું. (૩) સારી પેઠે ઠસવું.
૧૭. મગજમાં ઠસવું-બેસવું = બરાબર ધ્યાન આવવું કે વસી જવું.
૧૮. મગજમાં પવન ભરાવો = (૧) તકરારી બનવું. (૨) મિજાજ વધી જવો; મગરૂર બનવું; સામે થવું; શિરજોરી કરવી; પતરાજખોર થવું. (૩) હઠીલા થવું; જક્કી બનવું.
૧૯. મગજમાં રાઈ હોવી = પોતાના ધન અને બળનો ગર્વ હોવો; મિજાજ કે અભિમાન હોવાં.
૨૦. મગજમાંથી ખસવું = વિસ્મૃત થવું; સ્મૃતિ ચૂક થવું; યાદ ન આવવું; ભૂલી જવું.
|