પ્રેરક પ્રસંગો

September 09 2015
Written By GujaratilexiconGurjar Upendra

બુદ્ધિની કસોટી

એક રાજાએ પોતાના પ્રધાનની બુદ્ધિની કસોટી કરવા માટે કહ્યું કે, ‘આ નગરમાંથી ચાર વસ્તુઓ લાવીને આપો.’ પ્રધાને પૂછ્યું, ‘આ ચાર વસ્તુઓ કઈ ?’ રાજાએ કહ્યું : ‘એક તો છે ને છે, બીજે છે ને નથી. ત્રીજી નથી ને છે તથા ચોથી નથી ને નથી : એવી ચાર વસ્તુઓ લાવો.’ પ્રધાન ખૂબ જ શાણા અને ચતુર હતા. તેમણે વિચારીને રાજાને કહ્યું, ‘એક બે દિવસનો સમય આપો.’ રાજા કહે, ‘ભલે.’ પછી બીજે દિવસે પ્રધાને દરબારમાં પ્રથમ એક શેઠને તેડાવ્યા. બીજી એક વેશ્યાને બોલાવી, ત્રીજા એક સાધુ અને ચોથો એક ભિખારી એમ ચારેયને રાજા સામે ઊભા રાખ્યા અને પ્રધાને કહ્યું, ‘હું તમારી ચારેય વસ્તુઓ લાવ્યો છું.’ રાજાએ એનો અર્થ પૂછ્યો, ત્યારે પ્રધાને પ્રથમ શેઠેને દેખાડીને કહ્યું કે, ‘આને તો આ ભવમાં ધન સંપત્તિ વૈભવ છે અને તે પુણ્યદાન સત્કર્મ કરે છે. માટે બીજે ભવે પણ તેમને બધું જ એવું મળશે. માટે એને તો છે ને છે ! પહેલી વસ્તુ જાણવી.’ બીજી વેશ્યાને દેખાડી કહ્યું કે, ‘આ વેશ્યાને અહીં સુખ ભોગનાં સાધન છે. પણ તે પાપકર્મથી મેળવેલાં હોવાથી પરભવે કાંઈ મળવાનું નથી માટે એને તો છે ને નથી, બીજી વસ્તુ જાણવી.’ ત્રીજા તેમણે સાધુ દેખાડ્યા કહ્યું કે, ‘આ સાધુને આ જન્મે ધન વૈભવ કાંઈ નથી, પણ એ જે તપ કરે છે તેના પુણ્યથી બીજે વિવિધ સુખ સંપત્તિ મળશે માટે એને ‘નથી ને છે’ ત્રીજી વસ્તુ જાણવી.’ ચોથા તેમણે ભિખારી દેખાડી કહ્યું કે ‘આ ભિખારીને આ જન્મે ખાવા પીવા મળતું નથી તેથી તે પાપકર્મ કરે છે અને એ પાપકર્મના યોગથી બીજે જન્મે એથી પણ ખરાબ દશા થવાની માટે એને તો ‘નથી ને નથી’ તેમ ચોથી વસ્તુ જાણવી.’ પ્રધાનની આવી શાણી અને ચતુર બુદ્ધિ જોઈ રાજા ખૂબ આનંદ પામ્યા.

…………………………………………………………………………………………………………………………………….

 ગીતાનો પાઠ

ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી એકવાર દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે એક બ્રાહ્મણને ગીતાપાઠ કરતો જોયો. બ્રાહ્મણના મુખ પર આનંદની રેખાઓ ઊપસી રહી હતી. તે તલ્લીન બનીને ગીતાપાઠ બોલી રહ્યો હતો. ચૈતન્યપ્રભુ તેની પાસે ગયા અને પાછળ ઊભા રહી તેમના શ્લોકો સાંભળવા લાગ્યા.

બ્રાહ્મણનો ગીતાપાઠ પૂરો થયો. તેણે પાછળ નજર કરી તો ચૈતન્ય મહાપ્રભુ પોતાની પાસે ઊભેલા જોઈ તેના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. તેણે ચૈતન્ય મહાપ્રભુના ચરણમાં પોતાનું શિર નમાવ્યું. શ્રી ચૈતન્ય સ્વામી બોલ્યા : ‘તમારો ગીતાપાઠ મેં સાંભળ્યો. તમારા સંસ્કૃત ઉચ્ચારો તો ઘણા જ અશુદ્ધ હતા અને તેમ છતાં તમે આવી આનંદ સમાધિ કેવી રીતે મેળવી શકો છો ?’

બ્રાહ્મણે હાથ જોડી જવાબ આપ્યો : ‘પ્રભુ મને સંસ્કૃત ક્યાં આવડે છે તે હું શુદ્ધ ઉચ્ચાર કરી શકું ? સાચા ખોટા કે શુદ્ધ અશુદ્ધ ઉચ્ચારો કરીને, ગમે તે રીતે શ્લોકો બોલ્યા કરું છું. એ શ્લોકનો શો અર્થ થતો હશે એ તો આપ જેવા વિદ્વાનો જ સમજી શકે. પણ હા, એક વાત છે. હું જે વખતે ગીતાપાઠમાં બેસું છું એ વખતે હું કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવોની સેનાઓ વચ્ચે એક સુંદર રથ જોઉં છું. રથની અંદર અર્જુન બેઠા છે અને રથના સારથિ તરીકે જગતના પરમાત્મા શ્રીકૃષ્ણ ઊભા છે અને વારંવાર તેઓ પોતાનું મુખ ફેરવીને અર્જુનને ઉપદેશ આપ્યા કરે છે. આ બધું મને દેખાયા કરે છે. એ દ્રશ્ય જોઈને મારો આત્મા પુલકિત બની જાય છે અને તેમાં હું તલ્લીન બની જાઉં છું.’

આ સાંભળીને શ્રી ચૈતન્ય પ્રભુ તેને ભેટી પડ્યા અને ગદ્‍ગદ્‍ કંઠથી બોલી ઊઠ્યા : ‘બસ, ભાઈ ! ગીતા પાઠનો આ જ એક અર્થ છે અને તેં એ અર્થને જાણ્યો છે !’

More from Gurjar Upendra

More Others

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

માર્ચ , 2024

શુક્રવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects