Gujaratilexicon

યુવાનોના પ્રેરક સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન – યુવાદિન

January 12 2015
GujaratilexiconGL Team

યુવાશક્તિના પ્રેરણાસ્રોત આદરણીય સ્વામી વિવેકાનંદજીનો  આજે  ૧૨ જાન્યુઆરીના રોજ ‘૧૫૧’ મો જન્મદિન છે. તેમનો જન્મદિન  દેશભરમાં ‘યુવાદિન’ તરીકે ઉજવાય છે. ચાલો, તેમના જન્મદિન નિમિત્તે તેમના પ્રેરણાદાયી જીવન અને વ્યક્તિત્ત્વથી પ્રેરિત થઈએ.

સ્વામી વિવેકાનંદજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે.  જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.

“મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.” આ વિશ્વાસ ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.

સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.

આમ, લક્ષ નિર્ધાર જ જીવન કર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્વિત બની જશે.

જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે. “પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” આપણે આપણી શકિતઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલંુ જ કરી શકીએ, જયારે આપણી શકિતઓ અમર્યાદ છે. જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશકય છે ? આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.

કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. “અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે.” આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.

વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.

જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આદર્શોને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. આમેય ભારત આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે.

………………………………………………………………………………………………………………………………………………………………………………

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects