Gujaratilexicon

સોમનાથ મંદિર (Somnath Temple) વિશે શુંં તમે આ વાત જાણો છો ?

July 04 2020
Gujaratilexicon

ગુજરાત રાજ્યના વેરાવળ શહેરમાં પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મહાલય, એટલે ભગવાન શિવના (Shiva Mandir) બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિરની (Somnath Temple) આભા, સકારાત્મક વાતાવરણ, બાજુમાં ખળભળ વહેતો સમુદ્ર શિવભક્તિમાં લીન થવા માટે અદ્ભુત વાતાવરણ પૂરું પાડે છે.

તો ચાલો જઈએ શ્રદ્ધાળુઓના ભક્તિ ધામ એવા વિશ્વવિખ્યાત સોમનાથ (Somnath Temple) મહાદેવ જ્યોર્તિલિંગના ઈતિહાસમાં..

સોમનાથનું પહેલું મંદિર આશરે 2000 વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજુ મંદિર બનાવ્યું હતું. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું જેના દ્વાર હીરાજડિત હતા. તેની ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ધારી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ.755માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું.  ત્યારબાદ પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ઈ.સ.૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

આ પણ વાંચો : ગીર સોમનાથ

સોમનાથ મંદિર ઉપર મુસ્લીમ શાશક મહેમુદ ગઝનવી, સુલતાન મુઝ્ઝફરખાન ઉપરાંત ઔરંગઝેબ વિગેરે દ્વારા છ વખત આક્રમણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1947માં ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી અને 1951માં આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા ઉપર જ સાતમી વખત નિર્માણ થયું. 11મે 1951ના દિવસે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તે સમયના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠાન વિધિ કરી ત્યારે કહ્યું હતું- “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે.”  એ સમયે 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી અને સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. આવા વિજયઘોષ સાથે સોમનાથ મંદિરને દાર્શનિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું.

સોમનાથ મંદિરની (Somnath Temple) કેટલીક રોચક વાતો  :
  • સોમનાથ મંદિરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ થયું છે. શ્રી સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.
  • ચાલુક્ય શૈલીથી બંધાયેલું સોમનાથ મંદિર “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર: ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન છે.
  • સોમનાથ મંદિરના જીર્ણોદ્વારમાં મહારાણી અહલ્યાબાઈનો વિશેષ ફાળો છે.
  • સોમનાથ મંદિરની શિખર પર લગાવેલો ધ્વજસ્તંભ 27 ફીટ ઉંચો છે, જે દિવસમાં ત્રણ વખત બદલાય છે.
  • સોમનાથ મંદિરના શિખરે સ્થિત કળશનું વજન 10 ટન છે!
  • ગુજરાતના પશ્ચિમ અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે, જેનો અનેક વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે.
  • સોમનાથ મંદિરના સંદર્ભો શ્રીમદ ભગવદ્ગીતા, સ્કંધપુરાણ, શિવ પુરાણ તેમજ ઋગ્વેદમાં નોંધવામાં આવ્યા છે, જે આ મંદિરને પવિત્ર યાત્રાધામ બનાવે છે.
  • કહેવાય છે કે સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની લીલાનો અંત કરી દેહત્યાગ કર્યો હતો.
  • સોમનાથ મંદિર એવી જગ્યાએ બાંધવામાં આવ્યું છે, જ્યાં મંદિરના કિનારેથી એન્ટાર્કટિકા ખંડ (પૃથ્વીના દક્ષિણ ધ્રુવ) સુધી સીધી રેખામાં સમુદ્ર જ આવેલ છે, જ્યાં કોઈ જમીન નથી. જે પ્રાચીન પૂર્વજોના જ્ઞાન અને સૂઝબુઝનો ઉત્તમ નમૂનો છે.
  • માનવામાં આવે છે, મંદિરમાં આવેલ શિવલિંગ પ્રસિદ્ધ સમ્યક મણી છે. જેને સુરક્ષિત રીતે છુપાવીને રાખવામાં આવ્યું છે, સોનું ઉત્પાદન કરવાની શક્તિ ધરાવતા આ મણીનું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે.
  • સોમનાથ મંદિરે શિવરાત્રી, મહાશિવરાત્રિ, અધિક માસ, શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો વિશેષ ઘસારો રહે જ છે, ઉપરાંત દરરોજ હજારેક જેટલા શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે આવે છે.

સોમનાથ વેરાવળથી 7 કિમી દૂર છે, સોમનાથ પહોંચવા માટે ગુજરાતના દરેક શહેર અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, મુંબઈથી ડાયરેક્ટ ટ્રેન- બસની સુવિધા ઉપલબ્ધ છે. સોમનાથમં રોકાણ માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળા અને વિશ્રામગૃહ ખુબ વ્યાજબી દરે મળી રહે છે.

ભક્તિ અને આધ્યાત્મિકતાની દૃષ્ટટિએ શિરમોર સ્થાન ધરાવતા સોમનાથ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

બ્લોગ લખનાર : મીરા જોશી

આ બ્લોગમાં આવેલ કેટલાક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)

મહાલય : place; sacred place, temple; great destruction.

જીર્ણોદ્ધાર : repairing a building, temple, etc.

શિરમોર : crown for the head; the best of its kind.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects