Gujaratilexicon

નવરાત્રી

September 24 2014
Gujaratilexicon

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.‘જયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત‘ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેંક પહોંચાડી દીધી છે. નવરાત્રી આદ્યશક્તિ મા અંબાની ઉપાસનામાં ઉજવવામાં આવે છે. જેનાં ઘણાં રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે બુરાઇનો નાશ કરે છે. શિવની પત્‍ની પાર્વતીનાં પણ ઘણાં રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવી-દેવતાઓને પ્રસન્‍ન કરવા માટે પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે.

યા દેવી સર્વભૂતેષુ

શક્તિરૂપેણ સંસ્‍થિતા

નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ

નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતીકરૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ, બીજો રજો ગુણ અનેત્રીજો ગુણ સત્‍વગુણ.આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ મા શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદ્ભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતીક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

નવરાત્રિ એક એવો તહેવાર છે જેમાં માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ મા દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતાં માતાનું સ્થાન ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્ત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ
ઇચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ

પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યમાંથી ઉદ્ભવેલો અને ગુજરાત પૂરતો જ સીમિત રહેલો આ તહેવાર આજે ભારતના અન્ય રાજ્યો સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ રંગેચંગે ઉજવાય છે. ગુજરાતથી પ્રચલિત થયેલા અને વિશ્વવિખ્યાત બનેલા ગરબા હવે માત્ર નવરાત્રી પૂરતા સીમિત નથી રહ્યા. શરદ પૂર્ણિમા, વસંત પંચમી, હોળી અને નાના-મોટા દરેક તહેવારમાં ગરબા ગાવાની તક ગુજરાતીઓ છોડતા નથી. તો રાસ-ગરબાના અનેક સર્જનો ચિત્રકળામાં, શિલ્પકૃતિઓમાં, એમ્બ્રોઇડરી, પ્રિન્ટેડ સાડીઓ, ડ્રેસ મટિરિયલ, લાકડાના સુશોભનમાં પણ રજૂ કરવામાં આવે છે.  માતા દુર્ગાની આરાધના કરવા માટે તથા દૈવી શક્તિનો આભાર માનવા માટે આસો માસની નવ રાત્રીઓમાં ‘ગરબા’ રમવામાં આવે છે.

ગરબાનો ઉદ્ભવ

ગરબાને લગતી દંતકથા એવી છે કે, જયારે અસુરોનો રાજા મહિષાસુર કે જે સૃષ્ટિકર્તા બ્રહ્માજીનો મહાન ભક્ત હતો. કોઈપણ દેવતા કે દાનવ તેને પરાસ્ત કરી શકશે નહીં, બ્રહ્માજીએ આપેલા આ વરદાન બાદ મહિષાસુર સમગ્ર પૃથ્વી પર અત્યાચાર ફેલાવી રહ્યો હતો. મહિષાસુરે ત્રિલોક અને ઇન્દ્રલોક પર હુમલો કર્યો ત્યારે દેવો પણ તેને હરાવી શક્યા નહોતા. આખરે દેવોની ત્રિપુટી- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશએ તેમની શક્તિઓને જોડીને દેવી દુર્ગાનું સર્જન કર્યું. જે શક્તિ તથા પાર્વતીના નામથી પણ ઓળખાય છે. સતત નવ દિવસ અને રાત્રી સુધી દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે ચાલેલા યુદ્ધ બાદ આખરે દસમાં દિવસે દુર્ગા દેવીએ મહિષાસુરનો વધ કર્યો. આ દિવસની ઉજવણી હિંદુઓ વિજ્યાદશમી અને દુર્ગા પૂજા તથા દશેરા કરી ઉજવે છે. દેવી દુર્ગાએ દાનવના અત્યાચારથી પૃથ્વીનો વિનાશ થતા બચાવી. અસત્ય પર સત્યના વિજય અને મા દુર્ગાની આરાધના માટે નવ દિવસ ‘ગરબા’ ગાવામાં આવે છે. 

ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યો છે. મૂળ ગરબાનો અર્થ છિદ્રવાળી ધાતુની કે માટીની મટકી અથવા મોરિયો થાય કે જેમાં દીવો મૂકેલો હોય. ગરબામાં 27 છિદ્ર હોય છે, જે બ્રહ્માંડના 27 નક્ષત્રો ગણાય છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે. 27*4 = 108 આમ ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગોળાકાર ગરબા રમવા એ બ્રહ્માંડની પ્રદક્ષિણા બરાબર ગણાય છે. ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે.

નવરાત્રીના દિવસોમાં દરેક ઘરમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરવામાં આવે છે, તે ઘટ ગરબો કહેવાય છે. આ ઘટને મધ્યમાં મૂકીને શેરીઓમાં રાસ રમાય તેને ગરબા લીધા કહેવાય, અને નુર્તન ગવાય એ પણ ગરબો કહેવાય. આમ ‘ગરબો લખાય’, ગરબો ગવાય’ ‘ગરબો રમાય’ ‘ગરબે ઘુમાય’ આ બધા અર્થો ગરબામાં સમાયેલા છે.      

લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રાચીન ગરબાનો ઉદ્ભવ થયો હતો. જેમાં સમાનવેગ, સમાન અંગભંગ, સમાન સ્ફૂર્તિ, હાથની તાળી, હાથના હિલ્લોળની લયબદ્ધતા અને તાલબદ્ધતા હોય છે. ગરબા રમવા માટે સ્ત્રીઓ અવનવી ભાતની ચણીયાચોળી પહેરે છે તો પુરુષો પણ કેડિયા અને કોટી, કુર્તા, ચૂરીદાર પહેરીને રમે છે. પ્રાચીન સમયના ગરબામાં લોકકૃતિ, લોકગીત અને અનેક કવિઓની ભક્તિપ્રધાન કૃતિઓનો સમાવેશ થતો હતો. જયારે નૃત્યકારોએ, તેમજ ફિલ્મોએ ગરબામાં સુંદર સુધારાઓ કર્યા છે, જે રમવા તથા જોવાની ખૂબ મજા આવે છે. આ નૃત્યરાસ જે ગુજરાતની સંસ્કૃતિને ધબકતી રાખે છે. ગરબા શરૂ થાય તે પહેલાં અને પૂરા થાય ત્યારે માતાજીની આરતી કરવામાં આવે છે.

કેટલી નવરાત્રી

દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે –

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9
મહાસુદ 1 થી મહાસુદ 9

આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્‍તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્‍વ વધુ છે – ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9, આસો સુદ 1 થી આસો સુદ 9.


યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દૂભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્‍તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું.

ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે. નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્‍સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી. નવરાત્રીના તહેવારની રાહ ગુજરાતીઓ જ નહિ, પરંતુ તેમની સાથે વસતા અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ઘેલા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે મનભરીને માણે છે.

આજે વિવિધ ગામ-શહેરમાં ગરબા શીખવતા તાલીમ વર્ગો જોવા મળે છે, જેમાં શીખેલા ખેલૈયાઓ દ્વારા સ્પર્ધાત્મક દાંડિયા રમવામાં આવે છે અને ઈનામો જીતવામાં આવે છે.

રાજસ્થાનમાં આવેલ અંબાજી મંદિર, ગુજરાતના વડોદરા નજીક આવેલ પાવાગઢ, મહેસાણામાં આવેલ બહુચરાજી માતાનું મંદિર, તેમજ કચ્છમાં માતાનો મઢ, ભાવનગરમાં ખોડીયાર મંદિર અને ચોટીલાના ચામુંડા માતાનું મંદિર આ ધાર્મિક સ્થાનોએ માતા દુર્ગાની આરાધના કરવા માટે નવરાત્રી દરમિયાન ભક્તોની ભીડ ઉમટે છે.

નવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતને એકસૂત્રમાં બાંધે છે. નાસ્તિક વ્યક્તિમાં પણ ભક્તિનો ભાવ પ્રેરે છે અને જીવનમાં અદ્ભુત ઉર્જા, શક્તિ અને આનંદ ઉમેરે છે. પોતાનામાં જ વ્યસ્ત યુવાનો નવરાત્રીના માધ્યમથી મિત્રો, પડોશીઓ સાથે હળેમળે છે, શેરી-સોસાયટીઓમાં નાસ્તા તથા જમણવારનું આયોજન થાય છે, આમ સમાજમાં એકતા સંધાય છે, નિરાશા અને ચિંતાને ભૂલીને સૌ ગરબા રમે છે. જે કસરતથી શરીરના રોગો દૂર થાય છે. આમ, શહેરી જીવનશૈલીમાં આવા તહેવારો માનવી માટે અનેક રીતે ઉપકારક સાબિત થાય છે.

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પોશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે.

તો ચાલો નવલી નવરાત્રીએ ગરબે ઘૂમીએ, માને આરાધીએ!

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects