નાગાર્જુન

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

એ નામનો એક પ્રાચીન બૌદ્ધ મહાત્મા અથવા બોધિસત્વ. તે માધ્યમિક શાખાનો પ્રવર્તક હતો. એમના વિષે કહેવાય છે કે તે વિદર્ભ દેશનો બ્રાહ્મણ હતો. કેટલાકના મત પ્રમાણે તે ઈસાથી ૧૦૦ વર્ષ પૂર્વે અને કેટલાકના મત પ્રમાણે ઈસા પછી ૧૫૦-૨૦૦ વર્ષે થયો. પણ તિબેટમાં લામાના પુસ્તકાલયમાંથી મળેલ એક પ્રાચીન ગ્રંથ પ્રમાણે પહેલો મત ઠીક સિદ્ધ થાય છે. બૌદ્ધ ધર્મને દાર્શનિક રૂપ પહેલવહેલું નાગાર્જુને જ આપ્યું હતું. આથી તેની મારફત સભ્ય અને ભણેલા લોકોમાં બૌદ્ધ ધર્મનો જેટલો પ્રચાર થયો તેટલે બીજા કોઈ મારફત થયો નથી. તેના દર્શનગ્રંથનું નામ માધ્યમિક સૂત્ર છે. તે ઉપરાંત બૌદ્ધ ધર્મ સંબંધી તેણે બીજા કેટલાક ગ્રંથ પણ લખ્યા છે. તેણે સાત વર્ષ સુધી આખા ભારતવર્ષમાં ઉપદેશ અને શાસ્ત્રાર્થ કરી ઘણા લોકોને બૌદ્ધ ધર્મ પાળતા કર્યા હતા. છેવટમાં ભોજભદ્ર નામના એક મોટા રાજાને દશ હજાર બ્રાહ્મણો સહિત બૌદ્ધ ધર્મમાં લાવ્યો હતો. તેના દર્શનના બે ભાગ છેઃ એક સંવૃતિસત્ય અને બીજું પરમાર્થસત્ય. સંવૃતિસત્યમાં તેણે માયાનું મૂળ તથ્ય નિરૂપિત કર્યું છે. અને પરમાર્થસત્યમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે, ચિંતન અને સમાધિ દ્વારા મહાત્માને કોઈ પ્રકારને જાણી શકાય છે. મહાત્માને જાણી લીધા પછી માયા દૂર થઈ જાય છે. માધ્યમિક દર્શનનો સિદ્ધાંત એવો છે કે, સાધારણ નીતિધર્મના પાલનથી જ પ્રાણી પુનર્જન્મથી રહિત થઈ શકતો નથી. નિર્વાણ મેળવવા માટે દાન, શીલ, શાંતિ, વીર્ય, સમાધિ અને પ્રજ્ઞા એટલા ગુણો વડે આત્માને પૂર્ણતાએ પહોંચાડવો જોઈએ. તે કહેતો હતો કે વિષ્ણુ, શિવ, કાલી, તારા વગેરે દેવદેવીઓની ઉપાસના સાંસારિક ઉન્નતિ માટે કરવી જોઈએ. નાગાર્જુને બૌદ્ધ ધર્મને જે રૂપ આપ્યું તે મહાયાન કહેવાય છે અને તેનો પ્રચાર બહુ ઉતાવળે થયો. નેપાળ, તિબેટ, ચીન, તાતાર, જપાન વગેરે દેશોમાં આ શાખાના અનુયાયી છે. તાંત્રિક બૌદ્ધ ધર્મના પ્રવર્તક કેટલાક લોકો નાગાર્જુનને જ માને છે. કશ્મીરમાં બોદ્ધોનો જે ચોથો સંઘ થયો હતો તે તેણે કર્યો હતો. તે ચિકિત્સક પણ ઘણો સારો હતો. ચક્રપાણિ પંડિત જે વિક્રમ સંવત ૧૦૦૦ લગભગ થઈ ગયો હતો, તેણે પોતાના ચિકિત્સા સંગ્રહમાં નાગાર્જુને કરેલ નાગાર્જુનાંજન અને નાગાર્જુનયોગ નામની દવાઓનો ઉલ્લેખ કર્યો છે. ચક્રપણિએ લખ્યું છે કે, પાટલિપુત્ર નગરમાં તેને આ બંને નુસખા પથ્થર ઉપર કોતરેલા મળ્યા હતા. એવુ પ્રસિદ્ધ છે કે, પથ્થરો ઉપર આ પ્રકારના નુસખા કોતરાવી તેણે ઠેકાણે ઠેકાણે દટાવ્યા હતા. કક્ષપુટ, કૌતૂહલ ચિંતામણિ, યોગરત્નમાલા, યોગરત્નાવલિ અને નાગાર્જુનીય ચિકિત્સા આ બીજાં પુસ્તકો તેના નામનથી પ્રસિદ્ધ છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects