7 |
|
पुं. |
( પુરાણ ) નૈષધ દેશના ચંદ્રવંશી વીરસેન રાજાનો એ નામનો એક દીકરો; દમયંતીનો પતિ. તે બહુ સંદર, ઘણો ગુણવાન અને વિશેષે કરીને ઘોડા આદિની પરીક્ષા તથા તેઓને ચલાવવામાં બહુ હોશિયાર હતો. તે વિદર્ભ દેશના તે વખતના ભીમક રાજાની દીકરી દમયંતીના રૂપ અને ગુણની પ્રશંસા સાંભળી તેના ઉપર આસક્ત થયો હતો. એક દિવસ જ્યારે તે બગીચામાં દમયંતીના વિચારમાં બેઠો હતો, ત્યારે કોઈ ઠેકાણેથી કેટલાક હંસ ઊડતા ઊડતા આવી તેની સામે બેઠા. નળે તેમાંથી એક હંસને પકડી લીધો. તે હંસે કહ્યું કે, મહારાજ, મને છોડી દો. હું વિદર્ભ દેશમાં જઈ દમયંતી આગળ આપનાં રૂપ અને ગુણની પ્રશંસા કરીશ. તેને છોડી દેવામાં આવતાં તે હંસ વિદર્ભ દેશમાં ગયો અને ત્યાં દમયંતીના બગીચામાં જઈ તેની આગળ નળનાં ગુણ અને રૂપની બહુ પ્રશંસા કરી. તે સાંભળી નળ પ્રત્યે તેમનો પ્રથમનો અનુરાગ ઘણો વધી ગયો અને તેણે હંસને કહી દીધું કે, હું નળ સાથે જ વિવાહ કરીશ. તું જઈને આ વાત નળને કહે. હંસે તે પ્રમાણે કર્યું. જ્યારે ભીમક રાજાએ દમયંતીનો સ્વયંવર રચ્યો, ત્યારે તેમાં ઘણા રાજાઓ ઉપરાંત અનેક દેવતા પણ આવ્યા હતા. જ્યારે ઇંદ્ર, યમ, અગ્નિ અને વરુણ સ્વંયવરમાં જતા હતા, ત્યારે તેમને માર્ગમાં નળ પણ જતો મળ્યો. આ ચારે દેવોએ નળને આજ્ઞા કરી કે તું જઈને દમયંતીને કહે કે, અમે પણ આવ્યા છીએ, અમારામાંથી કોઈને તારે વરવું. નળે જ્યારે દમયંતીને આ વાત કરી, ત્યારે તેણે કહ્યું કે, હું તો તમને જ પતિ કરવાની પ્રતિજ્ઞા લઈ ચૂકી છું. આ વાત તમારે દેવોને કહી દેવી. નળે દેવતાઓની તરફથી દમયંતીને બહુ સમજાવી, પણ દમયંતીએ માન્યું નહિ અને કહ્યું કે, દેવો તો ધર્મના રક્ષક હોય છે, તેઓએ મારા ધર્મની રક્ષા કરવી જોઈએ. નળે આ બધી વાત દેવોને કહી. તે ઉપરથી એ ચારે દેવતા નળનું રૂપ ધારણ કરી સ્વયંવરમાં પહોંચ્યા અને નળની નજીક જ બેઠા. પહેલાં તો દમયંતી નળ જેવાં પાંચ રૂપ દેખીને ગભરાઈ, પણ પાછળથી અસલ નળને ઓળખી તેની ડોકમાં જ માળા પહેરાવી. આ ઉપરથી ચારે દેવોએ પ્રસન્ન થઈ નળને આઠ વરદાન આપ્યાં. દમયંતી સાથે નળનાં લગ્ન તો થયાં, પણ કળિયુગ અને દ્વાપરે અસંતુષ્ટ બની નળને દુઃખ દેવાનું ઇચ્છયું. કળિયુગ હમેશા નળના શરીરમાં પ્રવેશ કરવાની તક શોધતો હતો, પણ બાર વર્ષ સુધી તેને અવસર મળ્યો નહિ. આ અરસામાં નળને ઇંદ્રસેન નામનો દીકરો અને ઇંદ્રસેના નામની દીકરી થઈ. એક દિવસ તક મળતાં કળિએ નળના શરીરમાં પ્રવેશ કર્યો અને નળના ભાઈ પુષ્કરને નળની સાથે જૂગટું ખેલી નિષેધ દેશ જીતવાને ઉશ્કેર્યો. તે પ્રમાણે જૂગટામાં નળ પોતાનું બધું હારી ગયો. પુષ્કરે આજ્ઞા કરી કે, નળ અને તેના પરિવારને કોઈએ આશ્રય, ભોજન વગેરે આપવું નહિ. દમયંતીએ પોતાનાં બે સંતાનને પોતાને પિયર મોકલી દીધાં. જ્યારે ત્રણ દિવસ સુધી નળ અને દમયંતીને અન્ન ન મળ્યું ત્યારે તે બે જણ જંગલમાં જતાં રહ્યાં. ત્યાં તે દંપતીને ઘણું ઘણું દુઃખ પડ્યું. એક દિવસ નળે સોનેરી રંગનાં કેટલાંક પક્ષી દીઠાં અને તેને પકડવા તેણે તેના ઉપર પોતાનું કપડું નાખ્યું, પણ તે પક્ષી તેનું કપડું લઈને ઊડી ગયાં. બહુ દુઃખી થવાથી નળે દમયંતીને પોતાને પિયર જવા માટે કહ્યું, પણ તેણે માન્યું નહિ તે વખતે તેમની પાસે માત્ર એક કપડું રહ્યું હતું, તે પહેરી તેઓ બે ચાલવા લાગ્યાં. એક જગ્યાએ દમયંતી થાકીને જ્યારે સૂઈ ગઈ, ત્યારે નળ તેનું અર્ધું વસ્ત્ર ફાડીને અને તેને તે દશામાં મૂકીને ચાલ્યો ગયો. જ્યારે દમયંતી જાગી ત્યારે બહુ વિલાપ કરવા લાગી અને વલવલતી વલવલતી નળને શોધવા લાગી. અને કષ્ટ ભોગવી તે છેવટ પોતાને પિયર પહોંચી. નળ પણ અનેક કષ્ટ ભોગવતો અયોધ્યા પહોંચ્યો અને ઋતુપુર્ણ રાજાને ત્યાં સારથિ તરીકે રહ્યો. બહુ તપાસ કરાવતાં પત્તો લાગ્યો કે, ઋતુપર્ણને ત્યાં બાહુક નામનો સારથિ છે તે કદાચિત નળ હોય. આથી ભીમક રાજા એ ઋતુપર્ણને ત્યાં ખબર મોકલાવ્યા કે, કાલે અમારી કન્યાનો ફરી સ્વંયવર થવાનો છે. તેના સારથિ બાહુક એટલે કે નળે એક જ દિવસમાં તેને વિદર્ભ પહોંચાડી દીધો. ત્યાં દમયંતીએ નળને ઓળખ્યો અને ત્રણ વર્શ સુધી ઘોર કષ્ટ સહન કરી તે દંપતી ફરી મળ્યાં. આ વખતે કળએ પણ તેમનો પીછો છોડી દીધો. ઉપરાંત ઋતુપર્ણે પણ નળની ક્ષમા માગી. એક માસ વિદર્ભમાં રહી નળે પુશ્કરની પાસે જ ફરી જૂગટું ખેલ્યું અને ફરી પોતાનું રાજ્ય જીતી લીધું. તે પછી તે બે ફરીને સુખપૂર્વક રહેવા લાગ્યા. દમયંતીનું પતિવ્રત આદર્શ મનાય છે અને ઘોર કષ્ટ સહન કરવા માટે દમયંતી પ્રસિદ્ધ છે.
|
16 |
[ સં. દેવનલ ] |
स्त्री. |
એક જાતની વનસ્પતિ; એક પ્રકારનું નેતર; છૈયા; એક જાતનું ઘાસ. તેની સોટી બરૂ જેવી પોલી અને ઉપર ગાંઠ હોય છે. એની નળીની નળીઓ બને છે, પાન વાંસ જેવાં હોય છે. તે શીતળ, રુચ્ય, તૂરી, મધુર, વીર્યવર્ધક, કડવી, દીપન તથા મૂત્રશોધક મનાય છે અને વિસર્પ, મૂત્રકૃચ્છ્ર, દાહ, રક્તદોષ, પિત્ત, કફ, હૃદ્રોગ, બસ્તિશૂળ, યોનિરોગ તથા રક્તપિત્તનો નાશ કરે છે.
|