બ્રાહ્મણ ઈતિહાસ

April 20 2017

૧) બ્રાહ્મણ –શબ્દાર્થ:

બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર.

“બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય. 

ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે:

અગ્નિ

આચાર્ય, ગોર

આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ

સૌથી ઊંચી પંક્તિનો હિંદુ

દ્વિજ, વિપ્ર

પવિત્ર અને જ્ઞાની પુરુષ

રાગદ્વેષ, કલહ, ખોટી નિંદા, ચુગલી, કૂથલી, સંયમમાં અરતિ, વિષયોમાં રતિ, કૂડકપટ, જૂઠ વગેરે પાપકર્મોથી વિરક્ત થયેલો, મિથ્યા માન્યતારૂપી કાંટા વગરનો, સમ્યક્ પ્રવૃત્તિવાળો, પોતાના કલ્યાણમાં તત્પર, કદી ગુસ્સે થતો ન હોય કે અભિમાન કરતો ન હોય તેવો પુરુષ

વિષ્ણુ

શિવનું એક નામ

શુક્રના જેવું તેજસ્વી, નિર્મળ અને શ્વેત મોતી  

બ્રહ્મને જાણનાર, આત્મજ્ઞાની

વેદને જાણનાર

 

તમે જોયું ને કે ‘બ્રાહ્મણ’ શબ્દના બધા જ અર્થ કેટલા ઉચ્ચ અને પવિત્ર છે. એટલા માટેજ આપણા દેશની સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણોને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેમની પાસે એવા જ ઉચ્ચ અને પવિત્ર જીવનની અપેક્ષા પણ રાખવામાં આવી છે.

શાસ્ત્રોના આદેશ મુજબ (મનુ સ્મૃતિ પ્રમાણે) બ્રાહ્મણોએ શમ (સંયમ, યોગ), દમ (ઇન્દ્રિયદમન, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી), તપ (શરીરને કષ્ટકારી વ્રત કે નિયમ, તપસ્યા), શૌચ (આંતરિક એટલેકે મનની સ્વચ્છતા, શુદ્ધિ અને પવિત્રતા), ક્ષાંતિ (સહનશીલતા, ક્ષમા, સહિષ્ણુતા), આર્જવ (સરળતા, પ્રમાણિકતા, નમ્રતા), જ્ઞાન (શિક્ષણ, અભ્યાસ), વિજ્ઞાન (તર્કયુક્ત વ્યવહાર અને રૂઢીચુસ્તતાનો અસ્વીકાર), આસ્તિક્ય (આસ્તિકતા, ઈશ્વર, વેદ અને પરલોકમાં શ્રદ્ધા) વિગેરેનું પાલન કરવું જરૂરી છે. ટૂંકમાં બ્રાહ્મણ પાસે ઘણા કઠોર નીતીનીયમોના પાલનની અપેક્ષા રાખવામાં આવી છે. તેથીજ આવા નિયમો મુજબ જીવન ગુજારનાર જ્ઞાની અને પવિત્ર બ્રાહ્મણ સમાજમાં પૂજનીય હોય છે.

  

૨) બ્રાહ્મણની ઉત્પત્તિ:

ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબ સમાજને તેમનાં કર્મો અનુસાર ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

ઋગ્વેદના “પુરુષસુક્ત” અનુસાર બ્રાહ્મણ વર્ણ બ્રહ્મ/બ્રહ્માજીના મુખ/મસ્તિષ્કમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણો ભગવાનના મુખ/મસ્તિષ્ક સમાન છે, ક્ષત્રિય તેમના હાથ છે, વૈશ્ય તેમની જાંઘ અને શુદ્ર તેમના પગ છે. આ પ્રતીકાત્મક વાતનો અર્થ એ છે કે મસ્તિષ્કના પ્રતિકરૂપી બ્રાહ્મણ સમાજને જ્ઞાન, સમજણ, ડહાપણ અને માર્ગદર્શન આપે. હાથના પ્રતિકરૂપી ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે અને પગના પ્રતિકરૂપી વૈશ્ય અને શુદ્ર સમાજના સંચાલનનું કાર્ય કરે. ટૂંકમાં જેમ વ્યક્તિ માટે તેનાં દરેક અંગ જરૂરી છે, તેમ સમાજના આ બધા વર્ગ પણ સમાજના યોગ્ય સંચાલન અને વિકાસ માટે જરૂરી છે.  

 

૩) બ્રાહ્મણનાં કર્મો:

શાસ્ત્ર (સ્મૃતિગ્રંથો) અનુસાર બ્રાહ્મણનાં છ કર્મો છે: પઠન, પાઠન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ.

અર્થાત્ ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન કરવું અને દાન લેવું આ છ કર્મ બ્રાહ્મણનાં કર્મો ગણાય છે. તેથી બ્રાહ્મણને ષટ્કર્મા પણ કહે છે.

 

૪) બ્રાહ્મણોના જીવનનિર્વાહ માટે શાસ્ત્રોક્ત આદેશો:

પૌરાણિક કાળના હિંદુ સમાજ વ્યવસ્થા માટે રચાયેલ સૌથી અગત્યના ગ્રંથ “મનુ સ્મૃતિ”માં મનુએ કહ્યું છે કેઃ બ્રાહ્મણોએ ઋત, અમૃત, મૃત, પ્રમૃત કે સત્યાનૃત દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ.

ઋતનો અર્થ છે ભૂમિ ઉપર પડેલા અનાજના દાણા વીણીને એટલે ઉંછવૃત્તિથી કે ખરી પડેલ ડૂંડાંમાંથી દાણા કાઢીને શિલવૃત્તિથી જીવનનિર્વાહ કરવો.

માગ્યા વિના જે કાંઈ મળી આવે તે લઈ લેવું તેને અમૃતવૃત્તિ કહે છે.

ભિક્ષા માગવાનું કામ મૃતવૃત્તિ કહેવાય છે.

ખેતીકામ એ પ્રમૃતવૃત્તિ છે

અને વેપાર એ સત્યાનૃતવૃત્તિ છે.

આ વૃત્તિઓ અનુસાર બ્રાહ્મણ ચાર પ્રકારના કહેવાય છેઃ કુશૂલધાન્યક, કુંભીધાન્યક, ત્ર્યૈહિક અને અશ્વસ્તતિક.

જે બ્રાહ્મણ ત્રણ વર્ષ માટે અન્નાદિ સામગ્રી સંચિત કરી રાખે તેને કુશૂલધાન્યક,

એક વર્ષ માટે સંચિત કરે તેને કુંભીધાન્યક,

ત્રણ દિવસ માટે રાખે તેને ત્ર્યૈહિક

અને જે નિત્ય લાવે ને નિત્ય ખાય તેને અશ્વસ્તનિક કહે છે.

આ ચારેય પ્રકારમાં અશ્વસ્તનિક શ્રેષ્ઠ મનાય છે.

 

૫) બ્રાહ્મણોના વ્યવસાયો:

વર્ણાશ્રમમાં દરેક વ્યક્તિને તેમના વર્ણ મુજબ કામની વહેંચણી કરેલ છે. આદિકાળથી બ્રાહ્મણ સમાજ વર્ણાશ્રમની પ્રથમ પાયરી પર હોવાથી સંસ્કૃતિની જાળવણી અને વિકાસની કામગીરી બજાવે છે અને તેને યથાયોગ્ય વ્યવસાય અપનાવ્યા છે.

બ્રાહ્મણોએ પોતાના ઉચ્ચપદની રક્ષા માટે અત્યંત શુદ્ધ અને પવિત્ર આચરણ રાખવું પડતું. જેનાથી કોઈ પણ પ્રાણીને દુઃખ પહોંચે એવી આજીવિકાનો તેમના માટે નિષેધ છે.

હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે અને બ્રાહ્મણોને સુચિત કરાયેલ કામ કરતાં આવ્યા છે, જેમકે વેદનો અભ્યાસ કરવો, ધર્મનું પાલન કરવું અને ધર્મ બતાવવો, વેદોક્ત કર્મકાંડ કરવું, વેદની વિવિધ શાખા જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય, અર્થશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવું.

પ્રાચીનકાળથી જ બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા અનુસાર વેદાભ્યાસ, કર્મકાંડ, શિક્ષણ જેવા વ્યવસાય અપનાવ્યા હતા. તદુપરાંત બ્રાહ્મણો આદિકાળથી રાજાના સલાહકાર, મંત્રી. અમાત્ય, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખૂબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવ્યા છે.

શિક્ષણ : પ્રાચીનકાળથી જ બ્રાહ્મણો બાળકોને શિક્ષા આપી માનવતાનાં મુલ્યોનું જતન કરતા આવ્યા છે. પ્રાચીન ગુરુકુળ પ્રથામાં બ્રાહ્મણો વિવિધ વર્ણનાં શિષ્યોને તેમના વર્ણ મુજબ એટલે કે વૈશ્યપુત્રને અંકગણિત, અર્થશાસ્ત્રનું તેમજ ક્ષત્રિયપુત્રને રાજનિતી, યુધ્ધકળા વગેરે વિષયોનું જ્ઞાન આપતા હતા. હાલ શિક્ષણ ક્ષેત્રનો વ્યવસાય વૈશ્વિક બની ગયો છે.

જ્યોતિષ : શુભ પ્રસંગોનાં શુભ મુહુર્ત કાઢવા કે નવા જન્મેલ બાળકનું કુંડળી બનાવી ભવિષ્યકથન કરવું એ જ્યોતિષશાસ્ત્રનું મુખ્ય કામ છે. આજે પણ ઘણા બ્રાહ્મણ આ વ્યવસાય સાથે સંકળાયેલ છે. જ્યોતિષશાસ્ત્રનો આધાર ખગોળશાસ્ત્ર પર રહેલ હોવાથી બ્રાહ્મણો ખગોળશાસ્ત્રના પણ જ્ઞાતા હોય છે.

કર્મકાંડ : કર્મકાંડ એ બ્રાહ્મણોનો મૂળભૂત અને સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતો વ્યવસાય છે. આ વ્યવસાયમાં બ્રાહ્મણો તેમના યજમાનોના શુભ પ્રસંગોએ દેવી દેવતાનું શાસ્ત્રોક્ત રીતે વિધિવત પૂજન કરાવે છે તેમજ શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ, હવન, પાઠ, કથા-વાર્તા, લગ્નવિધિ, પૂજાવિધિ, શ્રાદ્ધવિધિ વિગેરે કરાવે છે.    

સલાહકાર : વિવિધ ક્ષેત્રેની જાણકારી ધરાવતા હોવાથી પ્રાચીનકાળમાં બ્રાહ્મણો રાજાના સલાહકારની ભૂમિકા અદા કરતા હતા. રાજાશાહી સમયમાં રાજાઓના મંત્રી તરીકે મોટે ભાગે બ્રાહ્મણો જ હતા. અર્વાચીન સમયમાં પણ બ્રાહ્મણોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનોના હોદ્દાઓ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓનાં પદ સફળતા પૂર્વક સંભાળ્યાં છે.

બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે યજ્ઞાદિ બંધ થવાથી ઘણા બ્રાહ્મણોની આજીવિકા નષ્ટ થઈ ગઈ, આથી બ્રાહ્મણો બીજાં કામ પણ કરવા લાગ્યા. તેઓ વૈશ્ય અને ક્ષત્રિયનાં કામ પણ કરવા લાગ્યા. પરાશર સ્મૃતિમાં બધા વર્ણોને ખેડ કરવાની આજ્ઞા છે. આ સિવાય મધ્યકાલમાં બધા વર્ણને શસ્ત્ર ગ્રહણ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો, એટલું જ નહિ પણ તે વખતે બ્રાહ્મણ શિલ્પ, વ્યાપાર અને દુકાનદારી પણ કરતા. આમ કરવા છતાં તેઓ મીઠું, તેલ, દૂધ, શરાબ અને માંસ જેવા પદાર્થો ન વેચતા. તેમનું ભોજન બીજા વર્ણોથી વધારે શુદ્ધ અને સાત્ત્વિક હતું. ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો તેમનો વિચાર પ્રબળ હતો. રાજનિયમોમાં પણ તેમને ઘણી છૂટ મળતી.

૬) બ્રાહ્મણોની સંસ્કૃતિ:

બ્રાહ્મણ સમાજ સુશિક્ષિત હોવાથી દરેકને જ્ઞાનની વહેંચણી અને સમાન હક તથા તકનો હિમાયતી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હજુ સંયુક્ત કુટુંબ પ્રથામાં માને છે તેમજ સ્ત્રી-પુરુષ, વડિલ અને બાળકો કુટુંબમાં એકસરખું સમ્માનનીય સ્થાન ધરાવે છે. દિકરીને ભણતરમાં તેમજ સમાજમાં દિકરા સમાન દરજ્જો આપવામાં આવે છે અને દહેજ પ્રથાનું દૂષણ પણ હોતું નથી.

દિકરાને કિશોરાવસ્થા પ્રાપ્ત કરતા "યજ્ઞોપવિત સંસ્કાર" આપવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા કિશોરને વેદનું જ્ઞાન મેળવવાનાં હક અપાય છે તેમજ સાંસારિક માતાપિતા ઉપરાંત વેદમાતા ગાયત્રીને માતા તરીકે અને સૂર્યદેવને પિતા તરીકે પૂજન કરવાના સંસ્કાર અપાય છે. આથીજ યજ્ઞોપવિત સંસ્કાર બાદ તે કિશોર "દ્વિજ" (જેનો બીજો જન્મ થયો છે તે) તરીકે ઓળખાય છે.

પ્રાચીનકાળમાં યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર સાંસારિક માતાપિતાથી અલગ ગુરુકુળમાં રહીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરતા. પરંતુ સમય જતાં આ પ્રથા બંધ થઇ ગઈ. જેથી હવે બ્રાહ્મણોમાં દેવભાષા સંસ્કૃત અને વેદ વિષેનું જ્ઞાન પણ ઘટતું જોવા મળે છે.

યજ્ઞોપવિત સંસ્કાર બાદ એક કિશોર સાચા અર્થમાં બ્રાહ્મણ બને છે પરંતુ ત્યારબાદ વેદાનુસાર અનિવાર્ય સંધ્યાકર્મ પણ હાલ ઘણા બ્રાહ્મણ ટાળે છે. ઉપરાંત બ્રાહ્મણની ઓળખ સમાન શિખા(ચોટલી) અને જનોઇ (યજ્ઞોપવિત) પણ હવે વિસરાઇ રહી છે.

૭) બ્રાહ્મણોનાં ગોત્ર અને પ્રવર:

ગોત્ર એ બ્રાહ્મણ કુળનો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે જે પિતૃપક્ષના મૂળ પૂર્વજ જણાવે છે.

‘ગોત્ર’ શબ્દ કુટંબ, કુળ, વંશ વિગેરે માટે વપરાય છે. ઋગ્વેદમાં ગોત્ર શબ્દ લગભગ છ વાર વપરાયો છે, પણ ત્યાં તેનો અર્થ કુટુંબ થતો નથી. ત્યાં તો તેનો અર્થ ગોપ થાય છે. ધીમે ધીમે તેમાં સમૂહનો અર્થ આવતો ગયો અને ઉપનિષદના સમયમાં તે કુટુંબના અથવા કુટુંબની અટકના અર્થમાં વપરાવા લાગ્યો. તે પછી સૂત્રકાલના સમયમાં સપ્તર્ષિ (કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ) અને અગસત્યે મળીને “આઠ ઋષિમાંના ગમે તે કોઇનો વંશજ” એવા અર્થમાં ગોત્ શબ્દ વાપર્યો. આ આઠની સંખ્યા ધીમે ધીમે ૪૯ સુધી પહોંચી. આમ બ્રાહ્મણોને આ ૪૯માંથી કોઈ એક ગોત્ર હોય છે.

શાસ્ત્ર પ્રમાણે જેનાં ગોત્ર એક જ હોય તેનાં લગ્ન થઈ શકે નહિ. જો કે વેદના સમયમાં લગ્ન વિષયમાં આવી બંધી ન હતી. તે વખતે લગ્ન માટે સ્વયંવરની પ્રથા અમલમાં હતી. પરંતુ જેમ જેમ આર્ય લોકો ગંગા નદીની ખીણમાં આગળ વધ્યા તેમ તેમ સૂત્રકાલમાં આવાં ગોત્ર અને પ્રવર ઉત્પન્ન થયાં. સૂત્રલેખકોએ ગોત્ર અને પ્રવરના કૃત્રિમ વાડા બનાવીને લગ્નનું ક્ષેત્ર સંકુચિત કરી નાખ્યું અને આથી સ્વયંવર બંધ પડ્યા.

ગોત્રમાં થઈ ગયેલ પ્રખ્યાત ઉત્તમ પુરુષો પ્રવર કહેવાય છે. પ્રવરનો અર્થ છે: જે તે ગોત્રના મુખ્ય પ્રવર્તક ઋષિઓ. દા.ત. જમદગ્નિ ગોત્રના પ્રવર જમદગ્નિ, ઔર્વ અને વસિષ્ઠ ઋષીઓ; ગર્ગ ગોત્રના પ્રવર ગાર્ગ્વ, કૌસ્તુભ અને માંડવ્ય ઋષીઓ.

પ્રવરનો બીજો અર્થ થાય છે: ગોત્ર અથવા કુટુંબની આંતરિક શાખા પ્રશાખા. જેમ કે ગૌતમ ગોત્રના ગૌતમ, ઔતથ્ય અને આંગિરસ ત્રણ પ્રવર છે. ભારદ્રાજ ગોત્રનાં ભારદ્રાજ, બૃહસ્પતિ ને અંગિરા એ ત્રણ પ્રવર છે.

ગોત્ર ઉપનિષદકાળ જેટલાં જૂનાં છે અને પ્રવર ત્યાર પછી દાખલ થયા છે. ઉપનિષદમાં શિષ્ય અને ગુરુનાં નામ ઉપરાંત ગોત્રનાં નામ, જેવાં કે ગૌતમ, વૈયાદ્યપધ વગેરે જોવામાં આવે છે. જયારે પ્રવરનો સંબંધ યજ્ઞ સાથે છે. યજ્ઞમાં યજમાનનું જે ગોત્ર હોય તે જ ગોત્રના ઋત્વિજ (યજ્ઞ કરનાર બ્રાહ્મણ) વગેરે પંસદ કરવામાં આવતા, જેથી યજ્ઞની વિધિ એકસરખી રહે. આ પંસદ કરવાની ક્રિયાને પ્રવરણ કહેવામાં આવતી અને તેમાંથી પ્રવર શબ્દ બન્યો છે.

પ્રવર ઋષિ હમેશા વૈદિક ઋષિ એટલે કોઈ પણ વેદનો ઋષિ હોવો જોઈએ. ગોત્ર ઋષિ હમેશા વૈદિક હોતો નથી. આથી પ્રવર ઋષિ ફકત ૪૯ છે, ત્યારે ગોત્ર ઋષિ અસંખ્ય છે. વળી સામાન્ય રીતે પ્રવરમાં ત્રણ કે પાંચ ઋષિઓ હોય છે, ચાર ઋષિ કોઈ કાળે હોતા નથી.

યજ્ઞ કરતી વખતે યજમાન અને ઋત્વિજ કયા કયા ગોત્ર ને પ્રવરના છે તે બોલાતું. આથી પોતે કયા ઋષિના વંશમાંથી ઊતરી આવેલા છે તે જાણી શકાય. જુદા જુદા વેદ માટે ગોત્ર જુદાં જુદાં નથી. ઋગ્વેદી, યજુર્વેદી વગેરે બધા બ્રાહ્મણોનું પ્રવર સામાન્ય હોય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયો શરૂઆતમાં સામાન્ય ઋષિઓમાંથી અવતરેલા હોવાથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું પ્રવર પણ સામાન્ય હોય છે. અથવા ક્ષત્રિયોનું પ્રવર તેના પુરોહિતના પ્રવર પ્રમાણે માનવામાં આવે છે. શરૂઆતમાં પ્રવર યજ્ઞ કરનાર ઋત્વિજોની પસંદગી કરવા માટે જોવામાં આવતું. પણ પાછળથી તેને લગ્નની બાબતમાં પણ જોવામાં આવ્યું અને એક જ ગોત્ર કે પ્રવરમાં લગ્ન નિષેધ ગણાવા લાગ્યાં.

૮) બ્રાહ્મણોની મુખ્ય શાખાઓ:

બ્રાહ્મણોની મૂળ આજીવિકા કર્મકાંડ હોવાથી મહદઅંશે આખા ભારતમાં વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે. પરંતુ વૈદિક કાળની શરૂઆતમાં બ્રાહ્મણો સિંધુ અને સરસ્વતી નદીની આસપાસના વિસ્તારમાં એટલેકે ઉત્તર ભારતમાં જ વસવાટ કરતા હતા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે દુર્ગમ વિંધ્યાચળ પર્વતમાળા અને નર્મદા નદી હોવાથી ખાસ અવરજવર થતી નહોતી. પરંતુ મહાન ઋષિ અગસ્ત્ય તેમના શિષ્યો સાથે વિન્ધ્ય પર્વત વટાવીને દક્ષિણમાં પહોંચ્યા અને ત્યાં જ વસવાટ કર્યો અને વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. તે પછી રામાયણના સમયમાં ઋષિ વિશ્વામિત્ર પણ તેમના શિષ્યો સાથે દક્ષિણ ભારતમાં આવેલ દંડકારણ્યમાં વસ્યા. આથી દક્ષિણ ભારતમાં પણ વૈદિક સંસ્કૃતિ તથા સનાતન ધર્મનો ફેલાવો થયો અને બ્રાહ્મણોનો વસવાટ પણ વધ્યો.

 

શાસ્ત્રાનુસાર ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌડ અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા છે. ઉત્તર ભારતના કાશ્મીર, અવધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં વસતા બ્રાહ્મણો પંચગૌરમાં સમાવિષ્ટ કરાયા છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વસતા બ્રાહ્મણો પંચદ્રવિડમાં સમાવિષ્ટ કરાયા છે.

પંચગૌડની પાંચ પેટા જ્ઞાતિ છે: કાન્યકુબ્જ (કનોજ પાસે રહેતા), સારસ્વત (સરસ્વતી નદીકાંઠે વસતા), મિથિલ (મિથિલા ક્ષેત્રના), ઉત્કલ (ઉડીશામાં વસતા) અને ગૌડ (શેષ). પંચદ્રાવિડની પણ પાંચ પેટા જ્ઞાતિ છે: મહારાષ્ટ્ર (મહારાષ્ટ્રમાં વસતા), તેલંગ (આન્ધ્રમાં વસતા), કર્ણાટ (કર્ણાટકમાં વસતા), ગુજ્જર (ગુજરાતમાં વસતા) અને દ્રવિડ (શેષ).

અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી રાજા મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય નામનું વિશાળ શિવાલય બનાવરાવ્યું. તેની પ્રતિષ્ઠા સમયે કનોજ, કુરુક્ષેત્ર વગેરે ઉત્તરીય પ્રદેશોથી હજાર બ્રાહ્મણોને બોલાવ્યા અને ગામ આદિ આપીને તેમને ગુજરાતમાં જ વસાવ્યા. ઉત્તરમાંથી આવવાને લીધે તેઓ ઔદીચ્ય કહેવાયા અને ગુજરાતમાં વસવાથી પાછળથી તેમની ગણના પણ દ્રવિડોમાં થઈ ગઈ, જેઓ મૂળભૂત રીતે ગૌડ બ્રાહ્મણો છે.

૯) બ્રાહ્મણોની પેટા શાખાઓ:

ઈ. સ. ૬૦૦થી ૧૦૦૦ સુધી બ્રાહ્મણો ભિન્નભિન્ન જાતિઓમાં વિભિન્ન થયા જણાતા નથી. તે સમય સુધી બ્રાહ્મણોનો ભેદ શાખા અને ગોત્રનો ઉલ્લેખ કરવાથી થતો હતો. કોંકણના બારમી સદીના લેખમાં બત્રીશ બ્રાહ્મણોનાં નામ દીધાં છે, જેમનાં ગોત્ર છે પણ શાખા નથી. તેમાં બ્રાહ્મણોનાં ઉપનામ પણ આપ્યાં છે. બારમી શતાબ્દિમાં આવાં ઉપનામોનો પ્રયોગ ઘણો થતો. જેમકે, દીક્ષિત, રાઉત, ઠાકુર, પાઠક, ઉપાધ્યાય, પટ્ટવર્ધન. શિલાલેખોમાં પંડિત, દીક્ષિત, દ્વિવેદી, ચતુર્વેદી, આવસ્થિક, માથુર, ત્રિપુર, અકોલા, ડેંડવાણ આદિ નામ મળે છે. તે નામો સ્પષ્ટ રીતે તેમનાં કાર્ય અને વસવાટ સ્થાન પરથી પડયાં હોય તેમ લાગે છે.

પાછળથી આમાંનાં ઘણાં ઉપનામ ભિન્નભિન્ન જાતિઓમાં પરિણમ્યાં. આ જાતિભેદ ક્રમશઃ વધતો ગયો. તેને વધવામાં બે ત્રણ બીજાં કારણોએ પણ સહાયતા આપી. જેમકે, ભોજનભેદને લીધે માંસાહારી અને શાકાહારીના મોટા ભેદ બની ગયા. આજ રીતે ભિન્નભિન્ન રીતરિવાજો અને વિચારોને લીધે પણ ઘણા ભેદ પેદા થયા. દાર્શનિક ભેદથી પણ ભેદ થયા. આથી જાતિભેદ વધતાં વધતાં આજ બ્રાહ્મણોની અનેક જાતિઓ થઈ ગઈ છે. આમાંથી બ્રાહ્મણોની ચોરાશી પેટા જ્ઞાતિઓ માન્ય ગણાય છે. એટલા માટે ગામના બધાજ બ્રાહ્મણોને જમવા માટે બોલાવવામાં આવે ત્યારે તેને ‘બ્રહ્મચોરાશી’ કહેવામાં આવે છે. આ બાબતમાં એક રસપ્રદ હકીકત પણ જાણી લો કે સને ૧૯૭૮માં રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજીએ બ્રહ્મચોરાશીનું આયોજન કર્યું હતું, તે વખતે તેમણે બ્રાહ્મણદીઠ ૨૫ પૈસાની દક્ષિણા આપી હતી ત્યારે દક્ષિણામાં જ રૂ. ૩૪ હજાર વપરાયા હતા.

 

બ્રાહ્મણોની ચોરાશી પેટા જ્ઞાતિઓમાં નાગર (૬ પેટા ન્યાત), મોઢ (૬ પેટા ન્યાત), શ્રીગોડ (૪ પેટા ન્યાત), ઔદીચ્ય (૩ પેટા ન્યાત), મેવાડા (૩ પેટા ન્યાત), શ્રીમાળી, સોમપુરા, સારસ્વત, સાંચોરા, લાડ વિગેરેનો સમાવેશ થાય છે. જોકે હાલમાં તો અનેક નવી પેટા જ્ઞાતિઓ ઉમેરાઈ ગઈ છે, જેને લીધે કુલ પેટા જ્ઞાતિઓની સંખ્યા ૧૦૦થી પણ વધુ હોવાનું માનવામાં આવે છે. ભારતનાં વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર ઉપરાંત તેમની પેટાજ્ઞાતિથી ઓળખાય છે. બ્રાહ્મણો મુખ્યત્વે પોતાની પેટાજ્ઞાતિમાં જ વૈવાહિક સંબંધ બાંધતા હોય છે.

 

૧૦) પૌરાણિક કાળના બ્રાહ્મણો:

સત્યયુગના સમયમાં એટલેકે મહાભારતના યુદ્ધની પૂર્વે હજાર વર્ષ પહેલાંથી હિંદુસ્તાનમાં ઉત્તર સંસ્કૃતિનો આરંભ થઈ ગયો હતો. છેક પ્રાચીન કાળમાં પ્રાચીન સરસ્વતી નદીથી સિંધુ નદી સુધીના સુપ્રસિદ્ધ પ્રદેશમાં બ્રાહ્મણોની જ વસ્તી હતી. તેઓના મુખ્ય ધર્મ તો તપશ્ચર્યાનો હતો, છતાં ક્રમે ક્રમે તેઓએ યજ્ઞાદિ કર્મોની પણ યોજના કરી હતી. નદીઓના તટો ઉપર ફળફૂલથી લચી રહેલાં અરણ્યોમાં આશ્રમો બાંધીને અથવા પર્વતોની ગુફાઓમાં માત્ર વલ્કલ ધારણ કરી અને કુદરતે અર્પણ કરેલો ફળકંદથી ક્ષુધાની શાંતિ કરીને તેઓ દેવતત્ત્વ, ઈશ્વરતત્ત્વ અને બ્રહ્મતત્ત્વનું ચિંતવન કરવામાં જ પોતાનું આયુષ્ય ગાળતા. સમાધિ અવસ્થામાં તેઓને જે જે સત્યોની પ્રતીતિ થતી, તે તે સત્યોને તેઓ પોતાની કાવ્ય વાણીમાં અમર કરી ગયા છે. તેથી તેઓ ઋષિઓ અથવા મંત્રદ્રષ્ટાઓ કહેવાય છે. અને તેથી જ તેઓનાં કાવ્યો મંત્રો અથવા વેદજ્ઞાન કહેવાય છે.

વેદકાળના મહાન બ્રાહ્મણો જેઓ ઋષિઓ તરીકે જાણીતા હતા, એમણે આધ્યાત્મિકતાથી ભરપૂર અને વિદ્વતાપૂર્ણ અનેક ગ્રંથોની રચના કરી છે, જેમાં ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦૮ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શનનો સમાવેશ થાય છે. આ વૈદિક સાહિત્યની રચના પછીના સમયમાં ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા  ગ્રંથો રચેલા છે. આ બધા જ ગ્રંથો  શાસ્ત્રો તરીકે ઓળખાય છે.

 

આ બધા ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન ઉપરાંત ભૌતિક વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, શિલ્પ, વર્ણાશ્રમ, રાજા અને પ્રજાના ધર્મનાં વર્ણન પણ છે. ઉપરાંત તેમાં બ્રહ્મ, સૃષ્ટિ, ગણિત, તત્વજ્ઞાન, યુદ્ધકલા, નાટ્ય શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર,  યોગ, આયુર્વેદ, વાણીજ્ય, કૃષિ, ધનુર્વિદ્યા, નૌકા, વિમાન, દુરસંચાર (તાર -ટેલીગ્રામ), જેવા વિષયોનાં વર્ણન પણ છે.

આ ગ્રંથોનું જ્ઞાન આજે પણ પ્રસ્તુત છે. તેમાંથી કેટલાય ગ્રંથોનું અનેક વિદેશી ભાષાઓમાં ભાષાંતર થયેલું છે અને વિશ્વભરના વિદ્વાનોએ આ ગ્રંથોમાં દર્શાવેલ જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની અત્યંત સરાહના કરેલી છે. આ બધા ગ્રંથો અને તેમાં સમાવિષ્ટ જ્ઞાન એ ભારતના બ્રાહ્મણો તરફથી જગતને મોટી સાંસ્કૃતિક ભેટ છે.

બ્રાહ્મણકાળનો અથવા સત્યયુગના કાળનો નિર્ણય કરવા સચોટ પ્રમાણ તો ઉપલબ્ધ સાધન નથી; તોપણ ઋગ્વેદિક ઇંડિઆ નામના ગ્રંથમાં અવિનાશચંદ્ર દાસે એમ સ્થાપિત કરવાનો યત્ન કર્યો છે કે, ભૂસ્તરના ચતુર્થ યુગ પહેલાં એટલે લગભગ સાડાપાંચ લાખ વર્ષ પહેલાં સપ્તસિંધુ પ્રદેશની ચારે બાજુ મોટા મોટા સમુદ્રો હતા. તે સમયમાં ઋગ્વેદના કેટલાક મંત્રો રચાયા છે. તે ઉપરથી બ્રાહ્મણકાળ ઓછાંમાં ઓછાં સાડાપાંચ લાખ વર્ષો પહેલાં પ્રવર્તતો હતો, એમ તેઓ અનુમાન કરે છે.

આ બ્રાહ્મણકાળમાં અંગિરા, અથર્વ અને ભૃગુ ઋષિઓનાં કુળો મુખ્ય હતાં. અંગિરાના પુત્ર બૃહસ્પતિએ પણિઓનો નાશ કર્યો હતો. વિમદ ઋષિએ પણિઓ પાસેથી અંગિરાઓની ગાયો છોડાવી હતી. નમી આપ્ય ઋષિએ વૃત્રોના સરદાર નમુચિને હરાવીને તેના સો કિલ્લાઓ તોડી નાખ્યા હતા અને તેની રાજધાનીનો નાશ કર્યો હતો. દભીતિએ ધુનિ અને ચુમુરની એક્ત્ર સેનાનો પરાજય કર્યો હતો અને તેઓના ૩૦,૦૦૦ યોદ્ધાઓને રણસંગ્રામમાં કાપી નાખ્યા હતા. એતશ તથા રથે વૃત્રોના ૯૯ કિલ્લાઓ તોડી નાખી તેઓની સેનાનો નાશ કર્યો હતો. ઋજિધાને પિયુઓની સાથે વિગ્રહ થયો હતો. તે વિગ્રહમાં તેણે તેઓનાં કિલ્લાબંધ સો શહેરોનો નાશ કર્યા અને તેઓના સરદાર વૃગંદ સહિત ૫૦,૦૦૦ યોદ્ધાઓને મારી નાખ્યા હતા. અંગિરા ગોત્રના અર્જુનીના પુત્ર કુત્સ ઋષિને તો એક તરફ અસુરોના રાજા શુષ્ણ સાથે નૌકાયુદ્ધ થયું હતું. બીજી તરફ ગાંધર્વો એટલે ગાંધાર દેશના લોકો સાથે તેને લડવું પડ્યું હતું અને ત્રીજી તરફ આર્ય રાજાઓ સાથે પણ તેને અનેક વિગ્રહોમાં ઊતરવું પડ્યું હતું. આ સઘળા વિગ્રહોમાં તેણે વિજયો મેળવ્યા હતા અને એકસંપી કરીને આવેલા રાજાઓને તેણે નમાવ્યા હતા.

પૌરાણિક કાળમાં મહાપ્રતાપી પરશુરામે પૃથ્વીને ૨૧ વાર નક્ષત્રી કરી હતી એવા ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. અર્થાત્ બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામે જયારે ક્ષત્રિયોનો તાપ અને ત્રાસ બહુ વધી ગયો હતો ત્યારે ૨૧ મોટાં યુધ્ધો લડીને તમામ ક્ષત્રિય રાજાઓને પરાસ્ત કર્યા હતા.

મહાભારત કાળમાં ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય, અશ્વત્થામા જેવા અનેક મહાશક્તિશાળી બ્રાહ્મણ યોધ્ધાઓ રાજનીતિમાં તેમજ યુદ્ધ દરમ્યાન ઘણો અગત્યનો ભાગ ભજવતા હતા.

આવી અનેક હકીકતો ઉપરથી કહી શકાય કે બ્રાહ્મણકાળમાં બ્રાહ્મણો પાસે વિદ્વતા તો હતી જ, પરંતુ તેની સાથે રાજસત્તા પણ હતી અને બ્રાહ્મણો જ્ઞાન અને શિક્ષણ ઉપરાંત યુદ્ધકલામાં પણ નિપૂર્ણ હતા. તદુપરાંત તે સમયના તપસ્વી બ્રાહ્મણોનાં શરીર પણ એવાં દ્રઢ અને મજબૂત હતાં કે મહર્ષિ દધીચિનાં હાડકાંમાંથી વજ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું.

 

૧૧) મધ્યકાલીન કાળના બ્રાહ્મણો:

મધ્યકાલીન કાળમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ ઘટ્યું હતું, તો પણ સમાજમાં સૌથી વધારે માન બ્રાહ્મણોનું હતું. શિક્ષા અને વિદ્યામાં બધાથી ઊંચા તેઓ જ હતા, તેથી બધા વર્ણોવાળા તેમની પ્રધાનતા માનતા. ઘણાં અગત્યનાં કાર્યો લગભગ બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત રહેતાં. તેઓ શાસન કાર્યમાં પણ પૂરતો ભાગ લેતા. પ્રાયઃ મંત્રી અથવા દિવાન પણ બ્રાહ્મણો જ રહેતા અને કોઈ વાર સેનાપતિ પણ બનતા. મૌર્ય યુગમાં આચાર્ય ચાણક્ય પોતાની તેજસ્વી બુદ્ધિ, યુદ્ધકલા, દૂરંદેશી, કુટિલનીતિના જ્ઞાન અને પ્રભાવથી રાજા કરતાં પણ ઊંચું સ્થાન ભોગવતા હતા. મોગલ સમયમાં સેનાપતિ હેમચંદ્રાચાર્ય (હેમુ) પણ બ્રાહ્મણ હતા અને શક્તિશાળી રાજા ગણાતા હતા. અકબરના દરબારનાં નવ રત્નોમાં રાજા બીરબલ. રાજા ટોડરમલ, સંગીત સમ્રાટ તાનસેન વિગેરે પણ બ્રાહ્મણ જ હતા. 

 

ગુર્જર દેશનો પ્રથમ ઉલ્લેખનીય રાજા હરિચંદ્ર બ્રાહ્મણ હતો. મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (હ્યુ એન સંગ)ની નોંધ પ્રમાણે ઉજ્જયિનીમાં રાજા બ્રાહ્મણ કુળના હતા. ઉલ્લેખનીય વાત તો એ છે કે દસમી સદીમાં વિધર્મી આક્રમણોનો સામનો કરનાર, મહંમદ ગઝની સામે લડનાર અફઘાનિસ્તાનના શાસકો પણ બ્રાહ્મણ હતા.

તદુપરાંત મધ્યયુગમાં આર્યભટ્ટ, વરાહમિહિર, કવિ કાલિદાસ, કવિ માઘ, તાનસેન, બૈજુ બાવરા, તાનારીરી, જેવા અનેક બ્રાહ્મણોએ વિજ્ઞાન, સાહિત્ય અને કળાક્ષેત્રે પણ મોટું યોગદાન આપેલું છે.

૧૨) અર્વાચીનકાળના બ્રાહ્મણો:

નજીકના ભૂતકાળમાં એટલે કે મરાઠા યુગમાં છત્રપતિ શિવાજીએ તેમના અષ્ટ પ્રધાનમંડળના વડા તરીકે ‘પેશ્વા’ (દિવાન, અમાત્ય)નો હોદ્દો રાખ્યો હતો, જે મુખ્ય પ્રધાન અને મુખ્ય સેનાપતિ જેવો મહત્વનો હોદ્દો હતો. આ હોદ્દા પર પણ બ્રાહ્મણોની વરણી થઇ હતી. કાળક્રમે આ પેશ્વાઓ રાજા બન્યા હતા અને બાજીરાવ પેશ્વા, માધવરાવ પેશ્વા, નાનાસાહેબ પેશ્વા જેવા અનેક બ્રાહ્મણ સરદારોએ ઘણાં વર્ષો સુધી સફળ શાસન કર્યું હતું. બાજીરાવ પેશ્વા તો એટલો બહાદુર લડવૈયો અને કુશળ સેનાપતિ હતો કે તે ૪૨ યુધ્ધો લડ્યો અને તે દરેકમાં વિજયી થયો હતો.

આધુનિક સમયમાં પણ બિહાર અને બંગાળ બાજુના બ્રાહ્મણો લડાયકવૃતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે વિગત જાણી લો કે સને ૧૮૪૨માં “બેન્ગાલ આર્મી” નામની લશ્કરની રેજીમેન્ટમાં ૬૭૦૦૦ હિંદુ સૈનિકો હતા, તેમાંથી ૨૫૦૦૦ બ્રાહ્મણ હતા.

પોતાના જ્ઞાન, બુદ્ધિ, ઉચ્ચ શિક્ષણ, વહીવટી ક્ષમતા અને અનુભવના આધારે બ્રાહ્મણો અંગેજ સમય દરમ્યાન અને તે પછી પણ સમાજ પર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. આઝાદી પછીના સમયમાં પણ ઘણા બ્રાહ્મણોએ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યોના મુખ્યપ્રધાન જેવાં સર્વોચ્ચ સ્થાનો શોભાવ્યાં છે, તેમજ કેન્દ્ર તથા અનેક રાજ્યોમાં પ્રધાનો તરીકે તેમજ ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર સફળતાપૂર્વક શાસન પણ કર્યું છે.

જોકે પૌરાણિક કાળની કર્મ આધારિત વર્ણવ્યવસ્થા આધુનિક કાળમાં મહદ્ અંશે ખોરવાઈ ગઈ છે, જેથી બ્રાહ્મણો પોતાનો પરંપરાગત વ્યવસાયો છોડીને અન્ય વ્યવસાયોમાં પરોવાઈ જવા મજબૂર બન્યા છે. ઉપરાંત લોકશાહીનું દૂષણ ગણાય તેવા જાતિવાદ આધારિત રાજકારણના વર્ચસ્વને લીધે અને સમાજમાં ટકાવારીની દ્રષ્ટીએ લઘુમતીમાં હોવાથી (૧૯૩૧ની વસ્તીગણત્રી મુજબ ભારતમાં બ્રાહ્મણોની સંખ્યા કુલ વસ્તીના માત્ર ૪.૩૨% હતી) તેમજ બ્રાહ્મણસમાજ સંગઠિત ના હોવાને લીધે હાલે બ્રાહ્મણો સક્રિય રાજકારણમાં મોટો ભાગ ભજવી શકતા નથી. વળી અમુક સરકારી નીતિઓને લીધે ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર પણ બ્રાહ્મણોનું વર્ચસ્વ અત્યારે ઘટી ગયું છે.  

૧૩) બ્રાહ્મણોનું મહત્વ:

આપણે જોયું કે પૌરાણિક કાળમાં બ્રાહ્મણો સમાજમાં બહુ જ ઊંચું સ્થાન ધરાવતા હતા. તે સમયે બ્રાહ્મણો વિદ્વાન તો હતા જ સાથે સાથે બહાદુર યોદ્ધા પણ હતા અને કુશળ રાજનીતિજ્ઞ પણ હતા. ઘણી જગ્યાએ બ્રાહ્મણો રાજા પણ હતા. અને તે સિવાયની જગ્યાઓમાં તેઓ રાજાઓના ગુરુ હતા, જેથી રાજકાજના દરેક અગત્યના નિર્ણયમાં તેમની સલાહ લેવાતી. ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણ, અશ્વત્થામા જેવા અનેક બ્રાહ્મણ યોધ્ધાઓ તેમની વીરતા માટે ખ્યાતનામ હતા. મહર્ષિ ભૃગુ તો એટલા પ્રભાવશાળી હતા કે સાક્ષાત ભગવાન વિષ્ણુની છાતીમાં તેમણે પગથી પ્રહાર કર્યો ત્યારે સ્વયં વિષ્ણુએ તેમની માફી માગતાં કહ્યું હતું કે મારી કઠોર છાતી વડે આપના નાજૂક પગને ઈજા પહોંચી હશે તે બદલ હું આપની માફી માગું છું. તે સમયમાં આવો હતો બ્રાહ્મણોનો પ્રભાવ.

પરંતુ સમયનું ચક્ર ક્યારેય સ્થિર રહેતું નથી પણ હમેશાં ફરતું જ રહે છે. ચક્રના જે પાસા ઉપર હોય તેમને નીચે આવવું જ પડે છે અને નીચેના પાસા ઉપર તરફ ગતિ કરે છે. તે મુજબ મધ્યકાલીન યુગમાં બ્રાહ્મણોનો પ્રભાવ ઓસરવા લાગ્યો હતો. એક તો જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપના અને પ્રચારથી અને વિદેશી આક્રમણખોરોને લીધે હિંદુ ધર્મનો પ્રભાવ ઘટ્યો. બીજું વર્ણવ્યવસ્થામાં રૂઢીચુસ્તતા વધવાથી સમાજના જુદા જુદા ઘટકો વચ્ચે તણાવ વધ્યો અને સનાતન ધર્મ સમાજનો પીડિત અને શોષિત વર્ગ બીજા ધર્મો અને સંપ્રદાયો તરફ વળ્યો, જેવા કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, કબીર પંથ, શીખ ધર્મ, વિગેરે. આ બધા ધર્મ અને સંપ્રદાયમાં બ્રાહ્મણોનું અસ્તિત્વ જ નહોતું. ત્રીજું બ્રાહ્મણોએ સમાજને વેદ (પરમેશ્વર દ્વારા અપાયેલ જ્ઞાન) આધારિત આધ્યાત્મિકતાને બદલે પુરાણો જેવાં મનુષ્યો દ્વારા રચાયેલાં શાસ્ત્રો આધારિત ધાર્મિકતા તરફ એટલેકે કર્મકાંડ તરફ વાળ્યો. તદુપરાંત બ્રાહ્મણોએ સમાજના દરેક વર્ગને ધર્મ અને ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન આપવાને બદલે આ દરેક વિધિઓ પોતાને જ હસ્તક રાખી. કર્મકાંડ આધારિત ધર્મની આ વિચારસરણી કાળક્રમે વિજ્ઞાન આધારિત પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ સામે ટકી શકી નહીં, જેને લીધે સનાતન ધર્મ નબળો પડતો ગયો અને બ્રાહ્મણોનો પ્રભાવ પણ ઘટતો ગયો.

જો કે આ મધ્યકાલીન સમયમાં પણ કેટલીક જગ્યાએ બ્રાહ્મણો રાજા તરીકે શાસન કરતા હતા અને કેટલાક રાજાના ગુરુ, મંત્રી, દિવાન, સેનાપતિ અથવા સલાહકાર તરીકે પણ બ્રાહ્મણો હતા, જેવા કે આચાર્ય ચાણક્ય, સેનાપતિ હેમુ, રાજા બીરબલ, રાજા ટોડરમલ, બાજીરાવ પેશ્વા, માધવરાવ પેશ્વા, સમર્થ રામદાસ (શિવાજીના ગુરુ) વિગેરે. વળી આ જ સમયમાં આદિ શંકરાચાર્યે સનાતન ધર્મને ફરીથી નવપલ્લવિત કર્યો. આમ મધ્યકાલીન યુગમાં બ્રાહ્મણોનો પ્રભાવ ઘટ્યો હતો, છતાં પણ તેઓ સમાજનું એક મહત્વનું અંગ બની રહ્યા હતા.

પરંતુ અર્વાચીનયુગમાં ક્રૂર કાળની થપાટોથી બ્રાહ્મણોની પડતી વધુ તિવ્ર બની અને તેમણે સમાજમાં પોતાનો પ્રભાવ ગુમાવ્યો. એટલું જ નહીં, તેમને પોતાના પરંપરાગત વ્યવસાયો છોડીને અન્ય વ્યવસાયો તરફ વળવાની ફરજ પણ પડી. બ્રાહ્મણો તેમની ધરોહર ગણાય તેવી વૈદિક સંસ્કૃતિથી મધ્યકાલીન સમયથી જ વિમુખ થતા ગયા હતા અને આધુનિક કાળમાં વિજ્ઞાન આધારિત પશ્ચિમી સંસ્કૃતિઓના આક્રમણથી તેમનો પ્રભાવ સાવ સમાપ્ત થઇ ગયો.  

જો કે આ કપરા સમયમાં પણ ઘણા બ્રાહ્મણો પોતાના ભવ્ય પ્રભાવી ભૂતકાળના ચમકારા બતાવી શક્યા છે, જેમ કે ૧૮૫૭ના બળવાના મુખ્ય સરદારોમાં મોટા ભાગના સરદારો જેવા કે બળવાની શરૂઆત કરનાર મંગલ પાંડે, છેલ્લા પેશ્વા નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ તમામ બ્રાહ્મણ હતા. જો કે અંગ્રેજોની ચાલાકી અને દેશી લોકોમાં સંગઠન, નિર્ણયશક્તિ અને યોગ્ય વ્યૂહરચનાના અભાવથી આ બળવો નિષ્ફળ ગયો. પ

More from Sureshbhai Trivedi

More Article

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects