Gujaratilexicon

ગીતાસાર – Learning from Bhagavadgita

January 07 2020
GujaratilexiconGL Team

ગીતાસાર એટલે કે Learning from Bhagavadgita સમજતાં પહેલાં ભગવદ્ગીતા વિશે થોડી માહિતી લેવી જરૂરી બને છે.

શ્રીમદ ભગવદ્ગીતા એ ઉપનિષદનું ગીતા સંક્ષિપ્ત નામ છે. લાખ શ્લોક પૂરતો મહાભારત ગ્રંથ છે, જેમાં ૧૮ મુખ્ય પર્વ છે; તેમાંના છઠ્ઠા ભીષ્મ પર્વના ૨૫ થી ૪૨ સુધીના ૧૮ અધ્યાય એઠલે ૭૪૫ શ્લોકનું આ નાનકડું પ્રકરણ છે. તેમાં શ્રીકૃષ્ણ અથવા કેશવના કહેલા ૬૨૦, અર્જુનના ૫૭, સંજયના ૬૭ અને ધૃતરાષ્ટ્રનો ૧ શ્લોક મળી કુલ ૭૪૫ ગીતાનું માન કે માપ કહ્યું છે. તેમાંથી હાલ માત્ર ૭૦૦ શ્લોક જ મળે છે.

પાંડવકૌરવ વચ્ચેના યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુનને મોહ થયો,ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી, સર્વે ઉપનિષદયુક્ત વેદશાસ્ત્રના સારરૂપ આ ગીતાશાસ્ત્ર કહી સંભળાવ્યું હતું. અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચેની આ સંવાદાત્મક આખ્યાયિકા છે. એના છ છ અધ્યાયના ઝૂમખાને ષટ્ક કહે છે. ગીતામાં એવાં ત્રણ ષટ્ક છે. પ્રથમ છ અધ્યાયના ષટ્કમાં કર્મકાંડનું, બીજામાં ભગવદ્ભક્તિનું અને ત્રીજામાં જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે.

ગીતા એ આપણા ધર્મગ્રંથોમાં એક અત્યંત તેજસ્વી અને નિર્મલ રત્ન છે. એના જેવો બીજો ગ્રંથ માત્ર સંસ્કૃતમાં જ શું, પણ જગતના કોઈ પણ વાઙ્મયમાં મળવો મુશ્કેલ છે. વેદ પણ બ્રહ્માને પ્રેરણા થઈ તે મુજબ તેના મુખમાંથી નીકળ્યા, જ્યારે સ્મૃતિઓ તો તેના અર્થ સ્મરણ કરી ઋષિઓએ કહી એવાં શાસ્ત્ર છે, પણ ગીતાજી તો જેની નાભિમાંથી બ્રહ્મા પ્રગટ્યા તે પદ્મનાભના સાક્ષાત્ શ્રીમુખથી નીકળેલ છે એટલે તેની શ્રેષ્ઠતા તે રીતે પણ અતિ વિશેષ છે.

શ્રીભગવાન પોતે પણ ગીતાનું માહાત્મ્ય દર્શાવતાં કહે છે કે, ગીતા તો મારૂં હૃદય છે, હું ગીતાને આધારે રહ્યો છું, ગીતા એ મારૂં ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને ત્રણે લોકનું હું પાલન કરૂં છું. ગીતા એ મારી પરમ વિદ્યા છે, બ્રહ્મસ્વરૂપા છે, ૐકારના ઁ એટલે મ્કારરૂપ અર્ધમાત્રાવાળી છે, અવિનાશી છે અને ગૂઢ અર્થથી ભરેલાં પદોવાળી છે. એમાં સંશ્ય નથી. તત્ત્વજ્ઞાનમાં મસ્ત બની સંન્યાસી થવું સારૂં કે ઘડામથલવાળી અવડચટ્ટી રાજકીય ધમાલમાં પડીને રાજનીતિજ્ઞ તરીકે પંકાવું તે સારૂં, તેનો એરિસ્ટોટલે કરેલો નિર્ણય પણ ગીતામાં છે.

Click here to explore the meaning of ગીતા from Bhagwadgomandal

મનુષ્ય જે કાંઈ પાપ કરે છે તે અજ્ઞાનને જ આભારી છે એવો જે સોક્રેટીસનો મત છે, તેનો પણ ગીતામાં સમાવેશ થયેલ છે. દરેક મનુષ્યે માનવજાતિના શ્રેય માટે શ્રમ લેવો જ જોઈએ, એવી મિલ, સ્પેન્સર વગેરે આધિભૌતિકવાદીઓની જે નીતિ છે, તેનો યે ગીતામાં યોગ્ય રીતે સંગ્રહ થયો છે. કેન્ટ ને ગ્રીન જેવા નીતિજ્ઞોના ઇચ્છાસ્વાતંત્ર્યના સિદ્ધાંતો પણ ગીતામાં આવેલા છે. વાસનાનો ક્ષય કરવો એ જ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે એવો શોપનહોંએરનો સિદ્ધાંત પણ ગીતાને ગ્રાહ્ય છે અને વાસનાની નિષ્કામતા તેમ જ સદાચાર કે નીતિનું મૂળ છે એવી ડાયસનની માન્યતાનું યે ગીતામાં પ્રતિપાદન થયેલું છે.

ગીતામાં કર્મયોગીને કર્મ, જ્ઞાનમાર્ગીને જ્ઞાન, ભક્તને ભક્તિ, અદ્વેંતવાદીને અદ્વૈતભાવ, દ્વેતવાદીને દ્વૈતભાવ, પ્રવૃત્તિપરયણને પ્રવૃત્તિ, નિવૃત્તિપરાયણને નિવૃત્તિ, સંસારીને વ્યવહાર, રાજનીતિજ્ઞને રાજનીતિ અને દેશભક્તને દેશભક્તિ દૃષ્ટિગોચર થાય છે, પણ વાસ્તવિક રીતે તો ગીતાની રગેરગમાં સમત્વ સિવાય બીજું એવું પ્રધાન તત્ત્વ ભાગ્યે જ લાધે છે. જેમકે,

(૧) સુખદુ:ખે સમ મોક્ષને પાત્ર છે.

(૨) લાભાલાભે, જયાજયે સમને પાપ નથી.

(૩) સિદ્ધિઅસિદ્ધિમાં સમ એ જ યોગ.

(૪) શુભાશુભમાં સમને સ્થિતિપ્રજ્ઞ કહે છે.

(૫) સિદ્ધિઅસિદ્ધમાં સમને બંધન નથી.

(૬) સાંખ્ય ને યોગ જેને સમ છે એ જ દૃષ્ટા છે.

(૭) સર્વને સમ જાણનાર લેપાતો નથી.

(૮) પંડિતો બ્રાહ્મણ ગાય હસ્તિ આદિમા સમદર્શી છે.

(૯) પ્રિયઅપ્રિયમાં સમ બ્રહ્મમય થાય છે.

(૧૦) સમલોષ્ટશ્મકાંચન યોગી કહેવાય છે.

(૧૧) સુહૃદ્, અરિ, સજ્જન ને પાપીમાં સમબુદ્ધિ રાખનાર શ્રેષ્ઠ છે.

(૧૨) સમદર્શી પરમ યોગી છે.

(૧૩) સમબુદ્ધિ પ્રભુને પામે છે.

(૧૪) સુખદુ:ખે, હર્ષશોક, શુભાશુભ અને માનાપમાને સમ એ જ પ્રિય ભક્ત છે.

(૧૫) ઇષ્ટ અનિષ્ટમાં સમચિત્ત એ જ્ઞાન છે.

(૧૬) ઈશ્વરને સમજનાર પરમ બુદ્ધિને પામે છે.

(૧૭) પૃથક્ભાવે જે સમભાવી તે બ્રહ્મ પામે છે.

(૧૮) સમલોષ્ટાશ્મકાંચન ગુણાતીત છે.

(૧૯) પ્રિયઅપ્રિયે, માનાપમાને અને મિત્રઅરિમાં સમ તે ગુણતીત છે.

(૨૦) સર્વભૂતે સમભાવ એ જ સાત્ત્વિક જ્ઞાન છે.

(૨૧) સિદ્ધિઅસિદ્ધિમાં સમને સાત્ત્વિક કર્તા કહે છે.

(૨૨) પ્રવૃત્તિનિવૃત્તિમાં સમ એ જ સાત્ત્વિક બુદ્ધિ છે.

(૨૩) સર્વભૂતે સમ પરમ ભક્તિ પામે છે.

તાત્પર્ય કે ગીતામાં મોક્ષ, યોગ, સ્થિતપ્રજ્ઞ, મુક્તિ, દ્રષ્ટા, નિર્લેપ, સમદર્શી, બ્રહ્મમય, યોગી, શ્રેષ્ઠ, પરમ યોગી, પ્રિય ભક્ત, જ્ઞાન, પરમબુદ્ધિ, બ્રહ્મપ્રાપ્તિ, ગુણાતીત, સાત્ત્વિક જ્ઞાન, સાત્ત્વિક કર્તા, સાત્ત્વિક બુદ્ધિ અને પરમ ભક્તિ આદિની વિવિધ વ્યાખ્યાઓ આપતાં જુદેજુદે પ્રસંગે તેનાં લક્ષણ તરીકે માત્રએક સમત્વને જ પ્રધાનપદ આપવામાં આવ્યું છે, ગીતા એ એક શાશ્વત માગદર્શિકા છે. તેનો ઉદ્દેશ તો આપણા હૃદયની અંદર દીવો કરીને તે હૃદય આપણી પાસે તપસાવવાનો છે.

મહાભારત અને ગીતા :

યુદ્ધને આરંભે શ્રીકૃષ્ણે અર્જુનને જે ગીતા ઉપદેશેલી છે તેનો પછી લોકમાં કેવી રીતે ફેલાવો થયો તેની પરંપરા હાલના મહાભારતમાં એવી રીતે વર્ણવેલી છે કે, યુદ્ધને આરંભે વ્યાસ ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને તેને કહ્યું કે યુદ્ધ જોવાની તારી ઇચ્છા હોય તો હું તને દિવ્યચક્ષુ આપું. પરંતુ મારા કુલનો ક્ષય થતો જોવાની મારી ઇચ્છા નથી એવો ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો ત્યારે વ્યાસે સંજય નામના સૂત જે ત્યાં હતા તેને ત્યાં ને ત્યાં જ બેઠાં બેઠાં જ બધું પ્રત્યક્ષ જ્ઞાન થાય એવી દિવ્યદૃષ્ટિ આપી અને તેણે ધૃતરાષ્ટ્રને બધી યુદ્ધની હકીકત કહેવી એવી વ્યવસ્થા કરી વ્યાસજી ત્યાંથી ચાલ્યા ગયા.

પછી આ વ્યવસ્થા પ્રમાણે યુદ્ધમાં ભીષ્મ પડ્યા ત્યારે તેની ખબર આપવા પહેલાં સંજય તેમની પાસે ગયા. ત્યારે ભીષ્મ માટે શોક કરી યુદ્ધની સર્વ હકીકત કહેવાને ધૃતરાષ્ટ્રે સંજયને આજ્ઞા કરી. સંજયે પહેલાં બંને પક્ષના સૈન્યનું વર્ણન કર્યું અને પછી ધૃતરાષ્ટ્રના પ્રશ્ન ઉપરથી ગીતા કહેવાની શરૂઆત કરી. તે જ હકીકત પછીથી વ્યાસે પોતાના શિષ્યોને, તે શિષ્યો માંહેના વૈશંપાયને જનમેજયને અને છેવટ સૂતે શૌનકને કહેલી છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિનો ઉદય થયો તે પછી ગ્રીક, લેટિન, જર્મન, ફ્રેંચ, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ ગીતાનાં અનેક ભાષાંતર થયાં છે.

ગીતા અભ્યુદય અને આત્યંતિક કલ્યાણનું સાધન છે. ટૂંકમાં કહીએ તો,

જે થયું તે સારું થયું

જે થઈ રહ્યું છે તે સારું જ છે

જે થશે તે પણ સારું જ હશે….

તમારું શું ગયું છે કે તમે રડો છો..

તમે શુંં લાવ્યા હતા કે જે તમે ગુમાવ્યું

તમે શું પેદા કર્યું હતું કે તએ નષ્ટ થઈ ગયું

તમે જે મેળવ્યું તે અહીંથી જ મેળવ્યું છે

તમે જે આપ્યું તે અહીં જ આપ્યું છે.

જે આજે તમારું છે તે ગઈકાલે કોઈ બીજાનુંં હતું અને આવતીકાલે બીજા કોઈનું હોઈ શકે છે.

પરિવર્તન એ સંસારનો નિયમ છે.

ગીતાના કેટલાક સુવિચારો

” હું પ્રથમ રહું તેનું નામ સ્પર્ધા
અને મારો હરીફ પાછળ રહી જાય એનું નામ ઈર્ષા “

” જે થયું તે સારું થયું,
જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે
જે થશે તે પણ સારું જ થશે “

” મનુષ્યને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી,
આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે “

માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે,
શું થવું તેણે નક્કી કરવાનું છે “

જાણો આ બ્લોગમાં રહેલા કેટલાક જરૂરી ગુજરાતી શબ્દોનું અંગ્રેજી (Gujarati to English word meaning)

ઉપનિષદ – philosophical work considered part of the Vedas explaining their secret meaning and dealing with the knowledge of Brahma; mystical knowledge or instruction.
ગ્રાહ્ય – fit to be received, taken, or accepted; admissible
દિવ્યયચક્ષુ – supernatural vision or sight
આવા અન્ય ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જાણવા અહીં ક્લિક કરો.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

18

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects