4 |
[ સં. ધૂપ્ ( સુગંધીવાળું કરવું + અ ( નામ બનાવનાર પ્રત્યય ) ] |
पुं. |
ગૂગળ, વનસ્પતિ વગેરે દેવતામાં નાખતાં નીકળતો સુગંધીદાર ધુમાડો; દેવપૂજનમાં અથવા તો સુગંધ માટે કપૂર, ગૂગળ, અગર કે બીજાં સુગંધીવાળા દ્રવ્યો બાળી કરાતો ધુમાડો. ધૂપ માટે પાંચ પ્રકારનો દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છેઃ (૧) નિર્યાસ એટલે ગુંદ, જેવો કે ગૂગળ, રાળ. (૨) ચૂર્ણ એટલે જાયફળ વગેરેનું ચૂર્ણ. (૩) ગંધ એટલે કસ્તૂરી વગેરે. (૪) કાષ્ઠ એટલે અગર વગેરેનું લાકડું. (૫) કૃત્રિમ અથવા કેટલાંક દ્રવ્યોના યોગથી બનાવેલો ધૂપ. કૃત્રિમ ધૂપ અનેક પ્રકારનો હોય છે. જેમકે, પંચાંગ ધૂપ, અષ્ટાંગ ધૂપ, દશાંગ ધૂપ, દ્વાદશાંગ ધૂપ, ષોડશાંગ ધૂપ વગેરે. આમાં દશાંગ ધૂપ સૌથી પ્રસિદ્ધ છે. તેમાં દશ ચીજોનો મેળ હોય છે. પરંતુ એ દશ ચીજો કઈ એ માટે મતભેદ છે. પદ્મપુરાણ અનુસાર કપૂર, કુષ્ઠ, અગર, ગૂગળ, ચંદન, કેસર, સુગંધીવાળો, તેજપત્તા, ખસ અને જાયફળ આ દશ ચીજો જોઈએ. સાલનો ગુંદ, મનઃશિલ અગર, દેવદાર, પદ્માખ, મોચરસ, મોથ. જટામાસી વગેરે દ્રવ્યો ધૂપ દેવાના કામમાં આવે છે. ધાર્મિક પૂજામાં ધૂપનો વપરાશ પુરાણા વખતથી થાય છે. યહૂદી લોકો પણ ધૂપનો ઉપયોગ કરતા. આ રિવાજ ધીમે ધીમે ખિસ્તી ધર્મમાં પણ દાખલ થયેલ છે. ધૂપ અથવા ધૂંવાડી લેવી એ ધારાં તેમ જ ત્વક્દોષમાં ગુણકારી મનાય છે. એક પહોળા ઠામની અંદર દેવતા રાખી તે ઉપર ધૂપ આપવાનાં દ્રવ્ય નાખી માથે માચી અગર ખુરસી મેલી દરદીને ખુલ્લે શરીરે તે ઉપર બેસાડવો. માથું ખુલ્લું રાખી ડોક નીચેનો બધો ભાગ કપડકોટ કરવો. ધુમાડો બહાર નીકળી ન જાય તેને માટે કપડું ઠેઠ ભોંય સુધી પહોંચે એવડું મોટું હોવું જોઈએ. દરદીના રહેવાના ઘરની હવા શુદ્ધ કરવા માટે પણ ધૂપ વપરાય છે. તે ધૂપ સાધારણ રીતે ખુલ્લો મૂકવામાં આવે છે, જેથી તેની સુગંધીદાર હવા ઘરમાંની ઝેરી અને દુષ્ટ હવાને દૂર કરે છે.
રૂઢિપ્રયોગ
ધૂપ આપવો-કરવો-દેવો = (૧) જેમાંથી સુગંધીદાર ધૂણી નીકળે એવી વસ્તુને દેવતામાં નાખી બાળવી; સુગંધીદાર ધૂણી આપવી. (૨) સૂર્યની ગરમીમાં સૂકવવા મૂકવું.
|