| 1 |
[ સં. ] |
पुं. |
( વેદાંત ) અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક બ્રહ્મભાવની પ્રાપ્તિ; અક્ષર. મોક્ષ કે મુક્તિના ચાર પ્રકાર છે. (૧) સાર્ષ્ટિ, (૨) સારૂપ્ય, (૩) સામીપ્ય અને (૪) સાલોક્ય. એ ચાર પ્રકારમાંનો દરેક મંદમોક્ષ અને ઉપમોક્ષ એવા બે ભેદવાળો છે: અથવા તેના બે પ્રકાર સંયોગમોક્ષ અને ક્રમમોક્ષ છે. ક્રમમોક્ષના ચાર પ્રકાર; સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય છે. જ્યારે જીવાત્મા, વિજ્ઞાનથી યથાવત્ શુદ્ધ થઈ પરમાત્માના શુદ્ધ ને વિજ્ઞાન સ્વરૂપમાં નિત્ય આનંદપૂર્વક રહે છે ત્યારે તે દશાને મોક્ષ કહે છે. ગીતા હૃદયમાં લખ્યું છે. કે; આપણને સુખદુ:ખ થાય છે એ પ્રમાણે બીજાને થાય છે. આપણે સહુ સમાન, સરખાં છીએ. એક જ ચૈતન્ય સહુમાં રમી રહેલું છે. સર્વત્ર ભરેલા એવા એ આત્મતત્ત્વનાં દર્શન કરવાં એ જ મોક્ષ. ભગવદગીતામાં આ વાત સાફ શબ્દોમાં લખી છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય યા શુદ્ર હોય; કોઈને ગમે તેટલું નાનું યા મોટું કામ મળ્યું હોય, પરંતુ જો તેણે તે કામને સારી રીતે કર્યું હોય તો તે વ્યકિતને સંપૂર્ણ મોક્ષ મળી જાય છે. જયારે મન સહિત પાંચે જ્ઞાનેંદ્રિયો પરમેશ્વરમાં સ્થિર થઈને સદા તેમાં જ રમણ કરે છે અને જ્યારે બુદ્ધિ જ્ઞાનથી વિરુદ્ધ ચેષ્ટા કરતી નથી ત્યારે તેવી દશાને મોક્ષ કહે છે. લોકમાન્ય તિલક ગીતારહસ્યમાં લખે છે કે: મોક્ષ એટલે પુરુષને બહારથી પ્રાપ્ત થનારી કોઈ નિરાળી અવસ્થા નથી કિંવા પુરુષની મૂળની સ્વાભાવિક સ્થિતિથી ભિન્ન એવી બીજી સ્થિતિ પણ નથી. ઘાસની ઉપરની ચામડીથી અંદરની ચામડી જેમ જુદી હોય છે અથવા પાણીમાં રહેનાર માછલી જેમ પાણીથી ભિન્ન છે તેમ પ્રકૃતિ અને પુરુષનો સંબંધ છે. પ્રકૃતિના ગુણથી મોહ પામીને સામાન્ય પુરુષ આ ભિન્નપણું જાણતો નથી અને સંસારના ચક્રમાં ગૂંથાઈ રહે છે; પરંતુ અભિન્નપણું જેણે જાણ્યું તે તો મુક્ત જ છે. તેને જ જ્ઞાની અને કૃતકૃત્ય કહે છે એમ મહાભારતમાં કહેલું છે. અધ્યાત્મદષ્ટિથી મોહનું ખરું સ્વરૂપ પણ આ જ પ્રકારનું છે. આત્મા મૂળથી પરબ્રહ્મ સ્વરૂપ છે અને આત્માએ પોતાનું મૂળ રૂપ એટલે પરબ્રહ્મપણું ઓળખવું એ જ મોક્ષ છે. એમ અદ્વૈત વેદાંતીઓનું કહેવું છે. મોક્ષ આત્મજ્ઞાનથી જ મળે છે, કર્મથી નહિ. જ્ઞાન વિરહિત પણ શ્રદ્ધાથી કરેલાં યજ્ઞયાગાદિ કર્મથી મળનારૂં સ્વર્ગસુખ અનિત્ય છે. મોક્ષના ચાર દ્વારપાલો શાસ્ત્રોમાં કહ્યા છે; શમ, વિચાર, સંતોષ અને સત્પુરુષોનો સત્સંગ. આકાશમંડળમાં મોક્ષ નથી, પાતાળમાં કે ભૂતળમાં મોક્ષ નથી, પરંતુ હૃદયમાં અજ્ઞાનરૂપ જે ગ્રંથિ છે, તેનો નાશ કરવો એ જ મોક્ષ કહેવાય છે. એટલે કે દુ;ખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ એ જ મોક્ષ છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ પ્રકારનાં દુ:ખોની ઐકાંતિક અને આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદ પ્રાપ્તિ એ જ મોક્ષ છે. જૈન શાસ્ત્રકારો તત્ત્વાર્થ સૂત્રમાં લખે છે કે: જ્ઞાન અને ક્રિયા બંને કરવાથી મોક્ષ થાય છે. એકલી ક્રિયા કરવાથી મોક્ષ નથી મળતું અને એકલું જ્ઞાન કરવાથી મોક્ષ મળતું નથી. સ્કંધમાન એવી રીતે નાશ પામે કે તેમાંથી નવી સ્કંધરચના ન થાય તે જૈનોનું નિર્વાણ છે. સમગ્ર કર્મનો ક્ષય થઈ જીવનું સ્વરૂપમાં જે અવસ્થાન થાય તે ન્યાયમતે મોક્ષ છે. તત્ત્વજ્ઞાનથી કરીને જે આત્યંતિક દુ:ખની નિવૃત્તિ તે વૈશેષિક મતે મોક્ષ છે. કર્તારૂપ પરમાત્માની કૃપાથી તત્ત્વજ્ઞાન થાય ત્યારે જીવાત્માનો દુ:ખધર્મ સદાને માટે નિવૃત્ત થઈ જાય તે સાંખ્ય મતાનુસાર મોક્ષ છે. આધ્યાત્મિક આદિ જ્વરમાંથી છૂટી જવાય એટલે એ બધા પ્રકૃતિ ધર્મ છે એમ સમજાઈ પોતે અકર્તા છે એમ પુરુષને જણાય છે તે યોગાનુસાર મોક્ષ છે. વૃત્તિવિરોધ થાય એટલે પુરુષને પોતાના રૂપનો યોગ થઈ સત્ત્વાપત્તિ થાય તે ધર્મમીમાંસાની દષ્ટિએ મોક્ષ છે. વેદવાક્યમાં વિધિરૂપ આદેશ પ્રમાણે ચાલવાથી ધર્મ પ્રાપ્ત થાય ત્યારે મળે તે વસ્તુગતિ યથાર્થ સમજવી. અદ્વય આનંદરૂપનું સદ્વયપણું અને દુ:ખીપણું તે બંધ છે અને સ્વરૂપમાં સ્થિતિ તે મોક્ષ છે; સમસ્ત કર્મનો ક્ષય એ મોક્ષ. આપણે ત્યાં દર્શનોમાં કહેલું છે કે જીવ અજ્ઞાનને કારણે જ વારંવાર જન્મ લે છે અને મરણ પામે છે. આ જન્મમરણના બંધનમાંથી છૂટી જવું તેનું નામ મોક્ષ છે. જ્યારે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે ત્યારે તેને આ સંસારમાં આવીને જન્મ લેવાની જરૂર રહેતી નથી. શાસ્ત્રકારોએ જીવનના ચાર ઉદ્દેશ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી મોક્ષને પરમ અભીષ્ટ અને પરમ પુરુષાર્થ કહેલો છે. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય આત્મતત્ત્વ કે બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો દર્શાવેલ છે. ન્યાયદર્શન અનુસાર દુ:ખનો આત્યંતિક નાશ જ મુક્તિ કે મોક્ષ છે. સાંખ્ય મત પ્રમાણે ત્રણ પ્રકારના તાપોનો સમૂળો નાશ તે મોક્ષ છે. વેદાંતમાં પૂર્ણ આત્મજ્ઞાન દ્વારા માયાના સંબંધથી રહિત થઈને પોતાના શુદ્ધિ બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે મોક્ષ છે. સાર એ છે કે: બધાં પ્રકારનાં સુખદુ:ખ અને મોહ વગેરે છૂટી જવાં તે મોક્ષ છે. મોક્ષની કલ્પના, સ્વર્ગ-નરક વગેરેની કલ્પનાથી પાછળની અને તેની અપેક્ષા વિશેષ સંસ્કૃત અને પરિમાર્જિત છે. સ્વર્ગની કલ્પનામાં એ જરૂરનું છે કે મનુષ્ય પોતાનાં કરેલાં પુણ્ય કે શુભ કર્મનાં ફળ ભોગવવા ઉપરાંત પાછો આ સંસારમાં આવીને જન્મ લે છે અને તેને ફરીને અનેક પ્રકારનાં દુ:ખો ભોગવવાં પડે છે. પરંતુ મોક્ષની કલ્પનામાં આ વાત નથી. મોક્ષ મળવાથી જીવ સદાને માટે બધાં પ્રકારનાં બંધનો અને દુ:ખો વગેરેથી છૂટી જાય છે. ધર્મબિંદુમાં લખ્યું છે કે, જીવની વાસનાવશાત્ ચાલતી ઘટમાળ ચક્રનેમિક્રમેણ એ ન્યાયાનુસાર અનંતકાળ પર્યંત ચાલુ જ રહે છે; પરંતુ તેને જયારે અંતરંગમાં વિવેક જાગૃત થવાથી પોતાના સ્વરૂપનું ભાન થાય છે ત્યારે જ આત્મજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય છે. એટલે આત્મસાક્ષાત્કાર થઈ તે કૃતકૃત્ય થઈ જાય છે. તથા જ્ઞાનાગ્નિ; સર્વ કર્માણિ ભસ્મસાત્કુરુતે તથા-ગીતા. શ્રીમદ્ ભગવતગીતામાં જણાવ્યા પ્રમાણે સૂર્યોદય થવાથી જેમ અંધરાકનો નાશ ક્ષણ માત્રામાં થઈ જાય છે, તેમ તે અજ્ઞાની જીવાત્માના ઉપર જણાવ્યા પ્રમાણે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મો ગમે તેટલી સિલક હોય તો પણ તે સર્વનો એક ક્ષણ માત્રામાં જ નાશ થઈ જાય છે અને દેવાદિથી પર થઈ તે જ્ઞાતજ્ઞેય અને કૃતકૃત્ય એવા જીવાત્માનો સ્વસ્વરૂપમાં વિલય થઈ પોતે પરમપદને પામે છે. આને મુક્તિ કિંવા મોક્ષ કહે છે. શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે, મોક્ષ ત્રણ પ્રકારનો છે: આ લોકમાં રહેતી ઈશ્વરી શકિતઓ પ્રાપ્ત થાય, એ એક મોક્ષ. એમાં મનશકિત ઘણા ઘણા ઉપભોગ લેવાને પાત્ર થાય, પણ કર્મ કરવે અશક્ત રહે. બીજું સ્વરૂપ: મોટાઈ આ લોકમાં મેળવી અને પછી ઈંદ્રલોકમાં જવું ને ત્યાં સુખ ઐશ્વર્ય પ્રાપ્ત કરવાં એ બીજો મોક્ષ છે, એ અલ્પ મોક્ષ છે. પુણ્ય પ્રાપ્ત કરવાથી, ભકિત કરવાથી, સાધનો-જેવાં કે, વ્રતાદિક કરવાથી આ મોક્ષ મળે છે. ત્રીજો મોક્ષ તે બ્રહ્મલોકમાં જવાનો છે, તે યોગાદિક કર્મો કરવાથી મળે છે. શરીર, જગત શોધવાથી આત્મા પરમાત્મામાં એકતા ધારણ કરે છે અને સૂક્ષ્મ પરમાત્માનું ચિંતવન કરતાં કરતાં જીવ શિવની એકતા થાય, તે પૂર્ણ મોક્ષ-એ જ સાયુજ્ય મુક્તિ. મોક્ષ કેમ પામવો તે જાણવું, એટલે જ ધર્મને યથાર્થ જાણ્યો એ નક્કી છે .
ઉપયોગ
મક્તિ, કૈવલ્ય, નિર્વાણ, શ્રેય, નિ:શ્રેય, અમૃત, મોક્ષ, અપવર્ગ એ આઠ નામ મોક્ષનાં છે. મુક્તિ સ્ત્રીલિંગ છે, મોક્ષ ને અપવર્ગ પુંલિંગ છે. શેષ નપુંસકલિંગ છે. –અમરકોષ.
|