12 |
|
पुं. |
પરમાત્મા; પ્રભુ નારાયણ નામ બહુ વિશિષ્ટપણે વિસ્તૃત અર્થમાં વ્યાપક છેઃ (૧) પરમાત્મા નર કહેવાય છે. નર શબ્દ ઉપર અ પ્રત્યય લાગતાં નાર એવું રૂપ થઈ સ્ત્રીલિંગનો દ્યોતક પ્રત્યય લાગતાં નારા શબ્દ થયો. નારા એ શબ્દ જલનો વાચક થાય છે. તે નારા પ્રથમ પરમાત્માનું અયન એટલે આશ્રય હોવાથી પરમાત્મા નારાયણ કહેવાય છે. (૨) જીવને નાર કહેવામાં આવે છે, કારણ કે તે નરથી એટલે પરમાત્માથી ઉત્પન્ન થાય છે. સર્વ જીવોમાં વ્યાપક હોવાથી અને સર્વ જીવોના સ્થાનરૂપ હોવાથી પરમાત્માને નારાયણ કહેવામાં આવે છે. (૩) નારા એટલે જલ છે અને રહેવાનુ સ્થાન જેનું ક્ષીરસાગર છે તે શેષશાયી વિષ્ણુ નારાયણ પરમાત્મા છે. (૪) નારા એટલે માયા છે. માયાના અધિષ્ઠાનરૂપ પરમાત્મા નારાયણ છે તે શંકર. માયાની સાથે જે જોડાયેલ છે અર્થાત્ માયાના સ્વામી તે મહેશ્વર નારાયણ. (૫) નારા એટલે જીવ. બુદ્ધિમાં નિવાસ છે જેનો તે બ્રહ્મા ચેતન નારાયણ. (૬) સૃષ્ટિના આદિ કાળમાં પરબ્રહ્મ પુરુષ, પરમાત્માના હિરણ્યમય તેજોમય અંડમાંથી સ્વયં પ્રાદુર્ભૂત થયા તે સ્વયંભૂ, હિરણ્યગર્ભ, પ્રજાપતિ, બ્રહ્મા, વિરાટ આદિ અનેક નામથી સ્તુત્ય છે. સ્વયં પ્રગટ થયા હોવાથી સ્વંયભૂ, તેજોમય હોવાથી હિરણ્યગર્ભ, દેવ તિર્યગાદિ અનેક રૂપથી પ્રગટ હોવાથી અને સર્વેના વિધિનિષેધના નિયમોનું પ્રતિપાદન કરતા હોવાથી પ્રજાપતિ, સગુણ વા સાકાર હોતાં બ્રહ્મા, તેના દ્વારા સર્વ વસ્તુ પ્રકાશિત હોવાથી વિરાટ કહેવાય છે. તે પરમાત્માનું જલ અયનસ્થાન હોવાથી નારાયણ બ્રહ્મા કહેવાય છે. (૭) સૃષ્ટિ ઉત્પન્ન કરનાર જગદીશ્વર પ્રજાપતિનું જલ સ્થાન એઠલે અયનરૂપ હોતાં તે પરમાત્મા નારાયણ કહેવાય છે. (૮) ૐરૂપ નારાયણ સર્વત્ર વિરાટસ્વરૂપે વ્યાપક છે. (૯) જે ચેતન સર્વ પદાર્થોને પોતપોતાનાં કાર્યમાં પ્રવૃત્ત કરે છે તે ચેતનનું નામ નર છે. આ ચેતન આત્મારૂપ નરની માયા દૃશ્યરૂપથી સંબંધી હોવાથી માયાને નારા કહે છે, તથા સૂક્ષ્મ પ્રપંચ માયાનું કાર્ય હોવાથી તેને નારા કહેવામાં આવે છે. માયારૂપ નારામાં પરમાત્મા પ્રતિબિંબિત રહે છે, તેથી માયાવિશિષ્ટ પરમાત્માને તથા સૂક્ષ્મ પ્રપંચવિશિષ્ટ હિરણ્યકર્ભને નારાયણ કહે છે. (૧૦) જેમ પ્રસિદ્ધ નદીઓનું જળ નૌકાનો આધાર છે, તેમ ભૂમિરૂપ નૌકાનો આધાર જળ છે, જે પરમાત્માથી ઉત્પન્ન છે. આ નારાને પરમાત્મા પ્રાણરૂપથી ધારણકર્તા હોવાથી શ્રુતિએ પરમાત્માને નારાયણ કહ્યા છે. (૧૧) સમુદ્ર તરવાને જેમ નૌકા છે, તેમ સંસારસમુદ્ર તરવાને તરણીરૂપ પરમાત્મા છે. તે સંસારસમુદ્રમાંથી તારે છે, તેથી પરમાત્માને નારાયણ કહેવામાં આવે છે. (૧૨) જીવમાં સ્વભાવસિદ્ધ કામક્રોધાદિ દોષોને આર કહેવાય છે. આ દુઃખરૂપ આરના આશ્રયરૂપ અજ્ઞાનાદિના જડ પ્રપંચને આરાયણ કહે છે. આ જડ પ્રપંચના રૂપ આરાયણ સ્વંયજ્યોતિ આનંદરૂપ પરમાત્મામાં ન હોવાથી ન + આરાયણ એટલે પરમાત્માને નારાયણ કહેવાય છે. (૧૩) કલ્પિત તાદાત્મ્યાધ્યાસરૂપ સંબંધથી માયારૂપ નારીની સ્થિતિ પરમાત્મામાં હોવાથી શ્રુતિએ પરમાત્માને નારાયણ કહ્યા છે. (૧૪) પરમેશ્વરરૂપ નરની સાથે સંબંધ રાખવાવાળી લક્ષ્મીનું નામ નારી છે. તે સર્વ દેહધારી જીવોને પ્રિય છે. તે અનેક કળાવાળી અને રૂપવાળી, અત્યંત મનોહર, પુણ્યવાનને સુખ દેનારી તથા પાપીઓને દુઃખ દેનારી છે. એવી લક્ષ્મીરૂપ નારી પરમાત્મામાં નિશ્ચલ હોવાથી લક્ષ્મીપતિને નારાયણ કહેવાય છે. (૧૫) આનંદસ્વરૂપ દ્રષ્ટા આત્માને અનેક પ્રકારના પદાર્થોને દેખાડવાવાળી સર્વ જીવની બુદ્ધિનું નામ નારી છે. તે નારીરૂપ જડબુદ્ધિના સ્વયંજ્યોતિ, આત્મદેવતાપ્રકાશકર્તા હોવાથી શ્રુતિમાં સ્વયંજ્યોતિદ્રષ્ટા પરમાત્માને નારાયણ કહેવાય છે. તે બુદ્ધિના પ્રેરક અંતર્યામી છે અને તેનું ઉપાસન ગાયત્રી મંત્રથી વિદિત છે. તે પરમાત્મા સૂર્યનારાયણ કહેવાય છે. નારાયણ શબ્દની વ્યુત્પત્તિ ગ્રંથોમાં કેટલાયે પ્રકારે બતાવી છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે, નર પરમાત્માનું નામ છે. પરમાત્માથી સૌથીપહેલે ઉત્પન્ન થવાના કારણે જળને નારા કહે છે. જળ જેનું પ્રથમ અયન કે અધિષ્ટાન છે એવા પરમાત્માનું નામ નારાયણ થયું. મહાભારતના એક શ્લોકના ભાષ્યમાં કહ્યું છે કે, નર આત્મા કે પરમાત્માનું નામ છે. આકાશ વગેરે સૌથી પહેલાં પરમાત્માથી ઉત્પન્ન થવાથી તેને નારા કહે છે. આ નારા કારણ સ્વરૂપ થઈ સર્વત્ર વ્યાપ્ત છે. તેથી પરમાત્માનું નામ નારાયણ થયું. કેટલીક જગ્યાએ એવું પણ લખ્યું છે કે, કોઈ એક મન્વંતરમાં વિષ્ણુ નર નામના ઋષિના પુત્ર હતા, તેથી તેનું નામ નારાયણ પડ્યું. બ્રહ્મવૈવર્ત્ત વગેરે પુરાણોમાં આ સિવાય કેટલાયે પ્રકારની વ્યુત્પત્તિ બતાવેલી છે. યજુર્વેદના પુરુષસૂક્ત અને ઉત્તર નારાયણ સૂક્ત તથા શતપથ બ્રાહ્મણ અને સાંખ્યાયન શ્રૌત સૂત્રમાં નારાયણ શબ્દ વિષ્ણુ અથવા પ્રથમ પુરુષના અર્થમાં આવેલ છે. અમરકોશમાં નારાયણનાં વિષ્ણુ, કૃષ્ણ, વૈકુંઠ, વિષ્ટરશ્રવા, દામોદર, હૃષીકેશ, કેશવ, માધવ, સ્વભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, ગોવિંદ, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, વિશ્વકસેન, જનાર્દન, ઉપેંદ્ર, ચક્રપાણિ, ચતુર્ભુજ, પદ્મનાભ, મધુરિપુ, વાસુદેવ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શૌરિ, શ્રીપતિ, પુરુષોત્તમ, વનમાલી, બલિધ્વંસી, કંસરાતિ, વિશ્વંભર, કૈટભજિત્, વિધુ, શ્રીવત્સલાંછન, પુરાણપુરુષ, યજ્ઞપુરુષ, જલશાયી, વિશ્વરૂપ, મુકુંદ, મુરમર્દન વગેરે નામ આપેલાં છે.
|