3 |
[ સં. ન ( નહિ ) + ક્ષત્ર ( નાશ પામે તેવું ) ] |
न. |
( ખગોળ ) તારકપુંજ; તારાનું ઝૂમખું. ચંદ્રમાના રસ્તામાં આવતા તારાના જુદા જુદા સમૂહ બનાવી તેનો જે આકાર થાય તે પ્રમાણે તેને નામ આપવામાં આવે છે. અને તે સમૂહ નક્ષત્ર કહેવાય છે. બધા આકાશમાં ફરી વળવાને ચંદ્રને સવાસત્તાવીશ દિવસ લાગે છે. તે ઉપરથી સત્તાવીશ કે અઠ્ઠાવીશ નક્ષત્રો માન્યાં છે. નક્ષત્રોની ક્લપના હિંદ સિવાય બીજા કોઈ દેશમાં નથી. વળી પૂર્ણિમાને દિવસ જે નક્ષત્રમાં ચંદ્ર હોય તે નક્ષત્ર ઉપરથી બારે માસનાં નામ પણ પાડવામાં આવ્યાં છે. ક્રાંતિવૃત્તના સત્તાવીશ વિભાગ કરીને તેમાંના પ્રત્યેક વિભાગને નક્ષત્ર કહે છે. આપણે જોવા માંડીએ ત્યારે એકીવખતે આપણને અર્ધું આકાશ દેખાય છે. તેથી શુમારે તેર નક્ષત્રો એકીવખતે જ દેખવામાં આવે છે. સાંજે બાર તેર નક્ષત્રો જોવામાં આવ્યાં તો બીજાં બાર તેર નક્ષત્રો પરોઢિયે દેખાવાનાં. સૂર્ય કે નક્ષત્રમાં હોય તે નક્ષત્ર અને તેના આગલાં પાછલાં એકાદ બે નક્ષત્ર સૂર્યના પ્રચંડ તેજમાં ઢંકાઈ જઈ બિલકુલ દેખાતાં નથી. સંધ્યાકાળે તથા પરોઢિયામાં એક રાત્રિ જેટલા કાળમાં શુમારે પચીશ નક્ષત્રનાં દર્શન થાય છે. અશ્વિનીથી ગણતાં બાર નક્ષત્રોના તારા વિષુવવૃત્તની ઉત્તરે છે. તેવીજ રીતે સ્વાતિ, અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, અને રેવતી નક્ષત્રના કેટલાક તારા ઉત્તરમાં છે. બાકીના સર્વે તારા દક્ષિણમાં છે. આ નક્ષત્રોના બધા તારા સરખા અંતર ઉપર નથી હોતા. તેને લીધે ચંદ્રાદિકની ગતિની ગણતરી કરવાને બદલે ક્રાંતિવૃત્તના સત્તવીશ ભાગ કરીને તેમાંના દરેક વિભાગને નક્ષત્ર કહે છે. પ્રત્યેક નક્ષત્ર માં ૧૩ અંશ ૨૦ કલા હોય છે. એટલું અંતર ચાલવાનો ચંદ્રને જ કાળ લાગે છે તેને નક્ષત્ર કહે છે. મધ્યમ માન પ્રમાણે એક નક્ષત્ર ૬૦ ઘડી ૪૩ પળ હોય છે. કોઈ કોઈ નક્ષત્રો આ માનથી ઓછાં વધતાં હોય છે, તેને લીધે વૃદ્ધિ ક્ષય થાય છે. પંચાંગમાં રોજનાં નક્ષત્ર આપેલાં હોય છે, તે ચંદ્રનાં હોય છે. એનો અર્થ એમ સમજવાનો કે, ચંદ્ર તે દિવસે તે નક્ષત્ર પાસે હોય છે, તેથી એને ચંદ્રનક્ષત્ર કહે છે. તેને દિનનક્ષત્ર પણ કહેવાય છે. જેવી રીતે ચંદ્ર નક્ષત્રમાં થઈને ફરે છે તે પ્રમાણે સર્વ ગ્રહો પણ નક્ષત્રોમાં થઈને ફરે છે. સૂર્યને એક નક્ષત્રનું ક્રમણ કરતા ૧૩ અથવા ૧૪ દિવસ લાગે છે. આર્દ્રા ઇત્યાદિ જે ચોમાસાનાં નક્ષત્રો છે તેમને સૂર્યનક્ષત્રો એવું નામ પણ અપાય છે. સૂર્યનક્ષત્રો જેવા ચોમાસામાં તેવાં બીજી ઋતુઓમાં પણ હોય છે. સૂર્યને સર્વ નક્ષત્રોમાં ફરતાં એક વર્ષ લાગે છે. વરસાદનો આધાર સૂર્ય ઉપર હોય છે, તેટલા માટે સૂર્ય જે નક્ષત્રમાં હોવાથી વરસાદ પડે છે તે નક્ષત્રને વરસાદનું નક્ષત્ર પણ કહે છે. રોહિણી, ઉત્તરા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, એ ચાર નક્ષત્ર સ્થિર કહેવાય છે. એ નક્ષત્રોમાં ઘર બાંધવું, ગામ વસાવવું, રાજ્યાભિષેક, બાગબગીચા, દેવાલય તથા લાંબો વખત ટકનારાં કામ કરાય છે. શ્રવણ, પુષ્ય, અશ્વિની, મૃગશિર, અનુરાધા, સ્વાતિ, રેવતી, હસ્ત અને પુનર્વસુ એ નવ નક્ષત્રો દેવગણનાં છે. ભરણી, રોહીણી, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને આર્દ્રા એ નવ નક્ષત્રો મનુષ્યગણનાં તથા મૂળ, વિશાખા, કૃત્તિકા, મઘા, ચિત્રા, ધનિષ્ઠા, શતભિષા, જયેષ્ઠા અને અશ્લેષા એ નવ નક્ષત્રો રાક્ષસગણનાં મનાય છે. નક્ષત્રના બે ભાગ પાડવામાં આવેલ છે: (૧) સવ્ય અને (૨) અપસવ્ય. સવ્ય નક્ષત્રોના ત્રણ ભાગ છે: (૧) અશ્વિની, પુનર્વસુ, હસ્તિ, મૂળ પૂર્વભાદ્રપદા; (૨) ભરણી, પુષ્ય, ચિત્રા પૂર્વાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને (૩) કૃત્તિકા, અશ્લેષા, સ્વાતિ, ઉત્તરાષાઢા, રેવતી. અપસવ્ય નક્ષત્રોના ત્રણ વિભાગ છે: (૧) રોહિણી, મઘા, વિશાખા, શ્રવણ; (૨) મૃગશીર્ષ, પૂર્વા, અનુરાધા, ધનિષ્ઠા અને (૩) આર્દ્રા, ઉત્તરા, જેષ્ઠા, શતભિષા. નક્ષત્રનાં ગોત્ર અઠ્ઠાવીસ મનાય છે: મુદ્દગલાયન, સંખ્યાયન, અગ્રભાવ, કરણીલાયન, જાતુકર્ણ, ધનંજય, પુષ્પાયન, અશ્વાયન, ભાર્ગવેશ, અગ્નિવેશ, ગૌતમ, ભારદ્વાજ લોહિત્ય, વસિષ્ઠ, અવમંથયન, માંડવ્યાયન, પિંગલાયન, ગોપાલ્લાયન, કાશ્યપ, કૌશિક, દભીયન, ચામરછાપ, શૃંગાગયન, ગોલવ્યાનન, તીગીછાપન, કાત્યાયન, અવધ્યાયન અને વ્યાધ્રાપત્ય. પ્રાચીન કાળમાં નક્ષત્રો દેવોનાં ઘર મનાતાં અને જેઓ યજ્ઞ કરતા તેઓ ત્યાં જાય છે એમ માનવામાં આવતું, માટે તે નક્ષત્ર કહેવાયાં. નક્ષત્ર એટલે સ્થિર તારા. પૃથ્વી પોતાની ધરી ઉપર એક દિવસમાં એક આંટો ફરે છે, તેથી આકાશનો દરેક પદાર્થ ઊગતો, આથમતો અને એક દિવસમાં પૃથ્વીની આસપાસ એક આંટો ફરતો દેખાય છે. આવા ફરવા ઉપરાંત આકાશના કેટલાક પદાર્થો સ્થિર તારાઓની વચ્ચે થઈને ખસતા માલૂમ પડે છે. સૂર્ય ખરૂં કહીએ તો ફરતો નથી, પણ પૃથ્વી સૂર્યની આસપાસ એક વરસમાં એક આંટો ફરે છે, તેથી સૂર્ય તારાઓમાં થઈને એક વરસમાં એક આંટો ફરતો દેખાય છે. આથી સૂર્યને નક્ષત્ર ગણવામાં આવતો નથી. ચંદ્ર, મંગળ વગેરે ખરેખર ફરે છે જ, તેથી ચંદ્ર વગેરેને પણ નક્ષત્ર કહેવામાં આવતા નથી. સ્થિર તારો એક હોય, તોપણ તેને નક્ષત્ર કહી શકાય. પણ ઘણીખરી વખત સ્થિર તારાઓના સમુદાયને નક્ષત્ર કહેવામાં આવે છે. નક્ષત્ર શબ્દનો આ વિશાળ અર્થ થયો, પણ ઘણીખરી વાર આ શબ્દ તેના વધારે સાંકડા અર્થમાં વપરાય છે. આ સાંકડા અર્થમાં અશ્વિનીથી રેવતી સુધીના ૨૭ તારાસમૂહોને નક્ષત્ર કહેવામાં આવે છે. આ નક્ષત્રો શું છે, તેઓ ૨૭ જ શા માટે છે. તેઓની ગણતરી ક્યાં, ક્યારે અને કેવી રીતે શરૂ થઈ વગેરે બાબતો બહુ મનોરંજક છે. એટલું જ નહિ પણ તેનો ઇતિહાસ સમજવાથી હિંદુસ્તાનનો છેલ્લા છ સાત હજાર વર્ષનો ઇતિહાસ ઊકલે છે. લોકમાન્ય તિલક મહારાજનાં મૃગશીર્ષ વગેરે પુસ્તકો આનાં દૃષ્ટાંતો છે. વળી ઘણીયે પૌરાણિક કથાઓ ઐતિહાસિક બનાવો કે કલ્પિત વાર્તાઓ નથી, પણ આકાશના પદાર્થોનું અમુક સ્થિતિનાં વર્ણનો છે, એમ પણ સમજાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ૨૭ ૧/૩ દિવસમાં એક આંટો ફરે છે, તથી એક દિવસમાં તે આકાશનો લગભગ ૨૭મો ભાગ તારાઓમાં થઈને કાપતો દેખાય છે. આકાશનો ૨૭મો ભાગ સમજતી વખતે એટલું યાદ રાખવું કે, કોઈ પણ વખતે આકાશનો જેટલો ભાગ દેખાય છે તે અર્ધું આકાશ છે. આકાશનો જેવો અર્ધગોળ ઘુમ્મટ કોઈ પણ વખતે દેખાય છે, તેવો બીજા અર્ધગોળ આપણા ક્ષિતિજની નીચે છે એવી કલ્પના કરવાથી જે આખો ગોળ બને છે તેના આખું આકાશ કહેવામાં આવે છે. આ આખા આકાશ ઉપર એક કલ્પિત વર્તુળ દોરવામાં આવ્યું છે, તેને ક્રાંતિવૃત્ત કહે છે. આ વર્તુળની લગભગમાં સૂર્ય, ચંદ્ર અને મંગળ વગેરે બધા ગ્રહો ફરતા દેખાય છે. ચંદ્ર આ વર્તુળ ૨૭ દિવસમાં પૂરૂં કરે છે, તેથી તે દરરોજ આ વર્તુળનો જેટલો ભાગ ફરે છે તેને એક નક્ષત્ર કહે છે. તેથી ચંદ્ર ૨૭ દિવસમાં બધા નક્ષત્રો ફરી રહે છે. કેટલીક વખત નક્ષત્રો ૨૭ ને બદલે ૨૮ ગણવામાં આવે છે. ચંદ્રને આખું ક્રાંતિવૃત્ત ફરવામાં બરાબર ૨૭ નહિ પણ ૨૭ ૧/૩ દિવસ લાગે છે, તેથી ત્રણ મહિને ૧ દિવસનો ફેર પડે, તેથી જૂના વખતમાં કેટલીક વખત ૨૭ ને બદલે ૨૮ નક્ષત્રો ગણવામાં આવતાં હતાં. વધારાનું એક નક્ષત્ર અભિજિત ગણાતું હતું. પણ હલામાં તો નક્ષત્રો ૨૭ જ ગણવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે: (૧) અશ્વિની, (૨) ભરણી, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આર્દ્રા, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) અશ્લેષા, (૧૦) મઘા, (૧૧) પૂર્વાફાલ્ગુની, (૧૨) ઉત્તરાફાલ્ગુની, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા, (૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જયેષ્ઠા, (૧૯) મૂળ, (૨૦) પૂર્વાષાઢા, (૨૧) ઉત્તરાષાઢા, (૨૨) શ્રવણ, (૨૩) ધનિષ્ઠા, (૨૪) શતતારા, (૨૫) પૂર્વાભાદ્રપદા, (૨૬) ઉત્તરાભાદ્રપદા અને (૨૭) રેવતી. અહીં એટલું યાદ રાખવાની જરૂર છે કે, ઉપલાં નક્ષત્રોનાં નામો બે અર્થમાં વપરાય છે: એક તો ઉપર કહ્યા પ્રમાણે ક્રાંતિવૃત્તિનો ૨૭ ભાગ, જે અર્થ માત્ર ગણિત માટે છે. આ અર્થમાં બધાં નક્ષત્રો સરખી લંબાઈનાં છે. આને વિભાગાત્મક નક્ષત્રો કહે છે. બીજો અર્થ આકાશમાં દેખાતા આ નામના તારાપૂંજો. આને તારાત્મક નક્ષત્રો કહે છે. આ તારાત્મક નક્ષત્રો સરખી લંબાઈનાં પણ નથી અને સરખે અંતરે આવેલાં પણ નથી. ચિત્રા, સ્વાતિ જેવા કેટલાંક નક્ષત્રોમાં એકેક જ તારો છે, ત્યારે રેવતી જેવાં કેટલાંક નક્ષત્રોમાં બહુ તારા છે. જે વિભાગની પાસે જે તારાપુંજ આવ્યા છે, તે તારાપુંજ ઉપરથી તે વિભાગનું નામ પાડવામાં આવ્યુ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ૨૪ કલાકમાં એક આંટો ફરે છે, તેથી આ ૨૭ નક્ષત્રો ૨૪ કલાકમાં વારાફરતી એક પછી એક ઊગે છે, યામ્યોત્તરવૃત્ત ઉપર આવે છે અને આથમે છે. યામ્યોત્તરવૃત્ત એટલે ક્ષિતિજ ઉપરનું ઉત્તર દિશાનું બિંદુ, ધ્રુવનો તારો, ખસ્વસ્તિક એટલે આપણા માથા ઉપરનું બિંદુ અને ક્ષિતિજ ઉપરનું દક્ષિણ દિશાનું બિંદુ, આ ચાર બિંદુમાંથી પસાર થતું અર્ધવર્તુળ. આ ઉપરથી જણાય છે. કે, ઊગવા, યામ્યોત્તર થવા કે આથમવા માટે એક નક્ષત્રને લગભગ એક કલાક લાગે છે. આપણા મહિનાઓનાં નામ એવી રીતે પાડવામાં આવ્યાં છે કે જે મહિનાની પૂનમે કૃત્તિકામાં ચંદ્ર હોય તે કાર્તિક, મૃગશીર્ષમાં હોય તે માગશર, પુષ્યમાં હોય તે પોષ મઘામાં હોય તે માઘ, ઉત્તરાફાલ્ગુનીમાં હોય તે ફાલ્ગુન, ચિત્રામાં હોય તે ચૈત્ર, વિશાખામાં હોય તે વૈશાખ, જ્યેષ્ઠામાં હોય તે જયેષ્ઠ, પૂર્વાષાઢામાં હોય તે અષાઢ, શ્રવણમાં હોય તે શ્રાવણ પૂર્વાભાદ્રપદામાં હોય તે ભાદ્રપદ અને અશ્વિનીમાં હોય તે આશ્વિન. તે નક્ષત્રો તે તે મહિનામાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે. દરેક નક્ષત્રમાં નીચ મુજબ તારાની સંખ્યા વગેરે છે:

આ ૨૭ નક્ષત્રો ઉપરાંત અભિજિત નામનું એક વધારે નક્ષત્ર આગળ ગણાતું પણ એ નક્ષત્ર પૂર્વાષાઢાની અંદર આવી જાય છે, તેથી ૨૭ નક્ષત્ર ગણાય છે.
ઉપયોગ
તૈત્તિરીય બ્રાહ્મણમાં નક્ષત્રીય પ્રજાપતિ નામે એક વિશાલ આકૃતિનું વર્ણન આવે છે. હસ્ત નક્ષત્ર એ તે આકૃતિનો હાથ, ચિત્રા માથું, સ્વાતિ હૃદય, વિશાખાના બે તારા તે જંઘા અને અનુરાધા તે ઊભા રહેવાની જગ્યા.×××યુરોપીઅન લોકો ગમે તેમ કહે પરંતુ એમને નક્ષત્રનું જ્ઞાન ચોખ્ખું આઠ હજાર વર્ષથી છે. – જયોતિર્વિલાસ
|