7 |
[ સં. આમિષ ] |
न. |
પ્રાણીઓના શરીરમાંનો ચામડી નીચેનો અને હાડકાંની ઉપરનો લોંદા જેવો રાતો પેશીદાર પદાર્થ; શરીરની સાત માંહેની એ નામની એક ધાતુ; માટી, ગોસ, માસ, આમિષ, તરસ, પરમાટી, પિશિત, ક્રવ્ય, પતલ, પલ, પલલ, ગોશ, હરિસામાંસ, તલિતમાંસ, શૂલ્યમાંસ, તકમાંસ, મહદ્રક માંસ એમ તેના ઘણા પ્રકાર છે. આપણે ત્યાં માંસ બે પ્રકારનું મનાય છે: જાંગલ અને આનૂપ. જંઘાલ, વિલસ્થ, ગુહાશય, પર્ણમૃગ, વિષ્કિર, પ્રતુદ, પ્રસહ અને ગ્રામ્ય એ આઠ પ્રકારના જંગલી જીવોનું માસ જાંગલ કહેવાય છે. વૈદક અનુસાર તે મધુર, કષાય, રુક્ષ, લઘુ, બળકારક, વીર્યવર્ધક, અગ્નિ પ્રદિપ્ત કરનાર, દોષધ્ન અને બહેરાપણું, અરુચિ, પ્રમેહ, મુખરોગ, ગલગંડ વગેરેનો નાશ કરનાર મનાય છે. કુલેચર, પ્લય કોશસ્થ, પાદી, અને મત્સ્ય, આ પાંચ પ્રકારના જીવોનું માંસ આનૂપ કહેવાય છે. વૈદક અનુસાર તે સાધારણ રીતે મધુર, સ્નિગ્ધ, ગુરુ, અગ્નિને મંદ કરનાર, કફકારક, તથા માંસપોષક છે. પક્ષીઓમાં પુરુષ જાતિ અથવા નરનું અને ચોપગા પ્રાણીઓમાં સ્ત્રીજાતિ અથવા માદાનું માંસ સારું કહેવાય છે. આ સિવાય ભિન્ન ભિન્ન જીવોના માંસના ગુણ પણ ભિન્ન ભિન્ન હોય છે. સામાન્ય રીતે દરેક દેશમાં બધી જાતિઓમાં કોઈ ખાસ પશુ. પક્ષી અને માછલાંનું માંસ અધિક પ્રમાણમાં ખાવામાં આવે છે, પરંતુ ભારતના કેટલાક ધાર્મિક સંપ્રદાય અનુસાર માંસ ખાવું બહુ જ નિષિદ્ધ છે. પુરાણોમાં માંસ ખાવું પાપ માનેલ છે. કેટલાક આધુનિક વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોનો એવો અભિપ્રાય છે કે, માંસ મનુષ્યનું સ્વાભાવિક ભોજન નથી અને તે ખાવાથી અનેક પ્રકારના ઘાતક તથા અસાધ્ય રોગ ઉત્પન્ન થાય છે. વિદ્યાવિજ્યજી મહારાજ લખે છે કે, માંસ ખાવું એ મનુષ્યજાતિ માટે સર્વથા અનુચિત છે. પુશુજાતિમાં પણ બધાં પશુ માંસ નથી ખાતાં. પ્રકૃતિએ દાંત, જીભ તથા બીજી અનેક બાબતો ભિન્ન બનાવી છે, જેને કારણે માંસભક્ષી અને વનસ્પતિ આહારી એટલે નિરામિષભોજી એમ જનાવરના બે ભેદ પડે છે. સિંહ, કૂતરો, બિલાડી આદિ માંસાહારી જનાવર અને હાથી, ગાય, ભેંસ, ઘોડા આદિ વનસ્પતિ આહારી જનાવરોમાં ગણાય છે. મનુષ્યની રચના શુદ્ધ નિરામિષભોજીની છે. ગાંધીજી લખે છે કે, આ રહસ્ય સૂક્ષ્મ છે ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિલાયતમાં માંસની ત્રણ વ્યાખ્યા મેં વાંચેલી. એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખ્યાકારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય, ઈંડાં તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે, જેને સામાન્ય મનુષ્ય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય, એટલે માછલી ત્યાજ્ય પણ ઈંડાં ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યામાં સામાન્યપણે મનાતા જીવમાત્ર અને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ. આ વ્યાખ્યા પ્રમાણે ઈંડાનો અને દૂધનો પણ ત્યાગ બંધનકર્તા થાય છે.
રૂઢિપ્રયોગ
૧. માંસ ખાઈ હાડકાં કોટે ન બંધાય = કોઈની ગુપ્ત વાત ત્યાંને ત્યાં દાટી દેવી.
૨. માંસનું ઘી = ચરબી.
|