Gujaratilexicon

કનૈયાલાલ મુનશી – ગુજરાતી અસ્મિતાના સર્જક ઉત્કૃષ્ટ નવલકથાકાર

December 30 2019
Gujaratilexicon

30 ડિસેમ્બર, 1889ના રોજ ભરૂચ ખાતે જન્મેલા કનૈયાલાલ મુનશી ‘ઘનશ્યામ વ્યાસ’ તરીકે પણ જાણીતા છે. તેઓ સ્વતંત્ર ભારતની લડતમાં જોડાયેલા એક સૈનાનીની સાથોસાથ પ્રખ્યાત નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને નિબંધકાર પણ હતા. તેમના માતાનું નામ તાપી બા અને પિતાનું નામ માણેકલાલ મુનશી હતું.

1901માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને 1902માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. 19 વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી. એલ.એલ.બી.ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા બાદ 1913માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. 1922માં તેઓએ ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન 1937માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, વર્ષ 1948માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, 1952ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને 1937 , 1949, 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી.

Video :

કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા ‘પાટણની પ્રભુતા’ જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. ‘જય સોમનાથ’ એ ‘રાજાધિરાજ’ પછી લખાયેલ કૃતિ છે, પણ તે હંમેશા પહેલી ગણાય છે.

Gujarati Quotes, Motivational Quotes in Gujarati

ક. મા. મુનશીએ પોતાના કાર્યક્ષેત્રને ફક્ત સાહિત્ય પૂરતો મર્યાદિત ન રાખ્યો. તેમણે રાજકીય ક્ષેત્રે પણ પોતાની સેવા આપી. તેઓ ગાંધીજી સાથે સ્વતંત્રતાના આંદોલનમાં જોડાણા અને તેના કારણે તેમને જેલવાસ પણ ભોગવ્યો. ભારત આઝાદ થયું ત્યારે હૈદ્રાબાદના વિલિનીકરણમાં અને બાદમાં ગુજરાતના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

તેઓએ ભાર્ગવ અને સમર્પણ માસિક પુસ્તકોનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ ભરૂચમાં નિ:શુલ્ક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના પણ તેઓએ કરી હતી. તેઓ કરાચી ખાતે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. વર્ષ 1988માં ભારત સરકારે તેમના નામની ટપાલ ટીકીટ બહાર પાડી હતી.

ભારતીય વિદ્યાભવન દ્વારા તેમના માનમાં સામાજિક કલ્યાણ માટે ‘કુલપતિ મુનશી પુરસ્કાર’ એનાયત કરવામાં આવે છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના ‘કૃષ્ણાવતાર’ છે, તેના કુલ આઠ ભાગ છે અને આઠમો ભાગ બાકી રહી ગયો હોવાથી જ તે રચના અપૂર્ણ છે.

સાહિત્યસર્જક ક. મા. મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘સ્વપ્નદૃષ્ટા’ જેવી કૃતિમાં તેમણે આઝાદીની ચળવળના નેતાઓના પ્રભાવ હેઠળ નવયુવકોના માનસનો ચિતાર અપાયો છે, તો ‘સ્નેહસંભ્રમ’ એક વ્યંગકટાક્ષ કરતી ફાર્સકૃતિ છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘પૃથિવીવલ્લભ’, ‘ભગવાન કૌટિલ્ય’, ‘જય સોમનાથ’ વગેરે જેવી ઐતિહાસિક નવલકથાઓ અને લઘુનવલોની પણ તેમણે ભેટ આપી છે. પૌરાણિક ઇતિહાસને વણી લઈને તેમણે ‘લોકમહર્ષિણી’, ‘ભગવાન પરશુરામ’ અને આઠ ભાગમાં ‘કૃષ્ણાવતાર’ જેવી રચનાઓ પણ કરી.

કનૈયાલાલ મુનશી રચિત કેટલીક નવલિકાઓનો પરિચય વાંચવા અહીં ક્લિક કરો : પૃથિવીવલ્લભ વેરની વસૂલાત પાટણની પ્રભુતા કૃષ્ણવતાર, ગુજરાતનો નાથ

‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’, ‘બે ખરાબ જણ’, ‘આજ્ઞાંકિત’, ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’, વગેરે જેવા પ્રહસનો અને વિવિધ વિષય પર તેમણે લખેલા નાટકો છે તો ‘ધ્રુવસ્વામિની દેવી’ એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. ‘અડધે રસ્તે’માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજજીવનનાં 1887થી 1906 સુધીનાં સંસ્મરણો; ‘સીધા ચઢાણ’માં 1907થી 1922ના સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં 1923થી 1926ના સમયખંડને આવરીને આત્મકથારૂપે તેમણે પોતાના જીવનના સંસ્મરણો આલેખ્યાં છે. એમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે. કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ ‘મુનશી ગ્રંથાવલિ’ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તેઓ સત્યાગ્રહ સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતા. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓમાં તેમના ઇતિહાસના રસ અને જ્ઞાનનો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે. જો કે વિવેચકોનું માનવું  છે કે આકૃતિ વિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે. ડ્યૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતો રસપૂર્ણ વસ્તુપ્રવાહ, સુશ્લિષ્ણ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટ્યાત્મકતા, ચમકદાર સંવાદરચના આદિ નવલકથાના અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળા-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે.

1971માં, તા. 8 ફેબ્રુઆરીના રોજ 83 વર્ષની વયે તેઓનું મુંબઈ ખાતે અવસાન થયું.

આ ઉપરાંત ડિસેમ્બર માસમાં જન્મેલા કે મૃત્યુ પામેલ સાહિત્યકારો વિશેની વિગતો વાંચવા અહીં ક્લિક કરો : ડિસેમ્બર સ્પેશ્યલ

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

શનિવાર

11

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects